ઉત્તર પ્રદેશના ચંદૌલી જિલ્લામાં પવિત્ર છઠ પૂજાની ઉજવણી દરમિયાન એક મોટો અકસ્માત થયો છે. ચંદ્રપ્રભા નદીના ઘાટ પર સેલ્ફી લેવાના ચક્કરમાં એક નાવડી પલટી જતાં તેમાં સવાર અનેક શ્રદ્ધાળુઓ ડૂબી ગયા હતા. આ ગમખ્વાર દુર્ઘટનાને કારણે ઘાટ પર હાજર હજારો લોકોમાં દહેશતનો માહોલ જોવા મળ્યો હતો.પવિત્ર છઠ પૂજાની ઉજવણી દરમિયાન ઉત્તર પ્રદેશમાં એક મોટી અને દુઃખદ ઘટના બની છે. ચંદ્રપ્રભા નદીમાં સોમવારે સાંજે નાવ પલટી જતાં ત્રણ કિશોરો ડૂબી ગયા હતા, જ્યારે ત્રણ અન્ય લોકો તરીને પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યા હતા. આ અકસ્માતની જાણ થતાં જ ગ્રામજનો અને જિલ્લા વહીવટીતંત્રમાં હડકંપ મચી ગયો હતો અને ઘાટ કિનારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.નાવમાં સવાર કિશોરો અને યુવકો સેલ્ફી લેવા લાગ્યા, જેના કારણે નાવનું સંતુલન ખોરવાયું અને તે નદીમાં પલટી ગઈ. આ દુર્ઘટનામાં પીયૂષ, યશ અને અરુણ નામના ત્રણેય કિશોરો ડૂબી ગયા હતા.
આ દુર્ઘટના બાબુરી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના કોડોચક ગામ પાસે આવેલા ઘાટ પર બની હતી. અહેવાલો અનુસાર છઠ પૂજા નિમિત્તે ચંદ્રપ્રભા નદીના કિનારે હજારોની સંખ્યામાં લોકો એકઠા થયા હતા. નદી પર એક કામચલાઉ નાવ ચલાવવામાં આવી રહી હતી. પૂજા દરમિયાન કેટલાક યુવાનો અને શ્રદ્ધાળુઓ આ નાવમાં ચઢી ગયા હતા અને સેલ્ફી લેવાનો પ્રયાસ કરી રહ્યા હતા. સેલ્ફી લેવાની ઉતાવળમાં નાવએ અચાનક સંતુલન ગુમાવી દીધું અને પલટી મારી ગઈ. નાવ પલટી જતાં જ ઘાટ પર અફરાતફરી મચી ગઇ અને લોકોએ બચાવની બૂમાબૂમ શરૂ કરી દીધી.
નોંધનીય છે કે દુર્ઘટના થતાં જ ઘાટ પર હાજર રહેલા કેટલાક હિંમતવાન ગ્રામજનોએ તરત જ નદીના પાણીમાં ઝંપલાવ્યું હતું. ગ્રામજનોના આ સમયસૂચકતા અને ઝડપી બચાવ કાર્યને કારણે ચાર લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં સફળતા મળી હતી.જોકે, હજુ પણ નાવમાં સવાર અન્ય ઘણા લોકો ડૂબી ગયા હોવાની આશંકા છે. ઘટનાની માહિતી મળતા જ બાબુરી પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક ડાઇવર્સની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસની ટીમ અને ડાઇવર્સ દ્વારા નદીના ઊંડા પાણીમાં ડૂબી ગયેલા બાકીના લોકોની સઘન શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે. આ પૂજાના માહોલમાં થયેલી દુર્ઘટનાથી સમગ્ર વિસ્તાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.