વડતાલધામમાં માતૃપિતૃ વંદના સાથે સહજાનંદી શિબિરની પૂર્ણાહુતી યોજાય.

By: Nation Gujarat Team
11 May, 2026

વડતાલધામમાં શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલધામ ખાતે તારીખ 7 મેથી તારીખ 10 મે સુધી યોજાયેલ સહજાનંદી બાળ યુવા શિબિર ૧૦ ની માતૃપિતૃ વંદના સહિત રવિવાર સાંજે શિબીરની પૂર્ણાહૂતિ યોજાઈ હતી. પુર્ણાહુતી સભામાં વડતાલ મંદિરના મુખ્ય કોઠારી દેવપ્રકાશ સ્વામી સહિત મોટી સંખ્યામાં સંતો ઉપસ્થિત રહ્યા હતા. વડતાલ મંદિરના ચેરમેન ડૉ.સંતવલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે વડતાલ ધામમાં તા.7 મેથી તા.10 મે સુધી ચાર દિવસીય સહજાનંદી બાળ યુવા શિબિર ૧૦ નું આયોજન કરવામાં આવ્યું હતું. તા. ૧૦ મે ‌ના રોજ શિબિરના અંતિમ દિવસે મધર્સ ડે હોવાથી 100 ઉપરાંત માતા-પિતાના પૂજન સાથે શિબિરની પુર્ણાહુતી યોજાઈ હતી.
ઉપસ્થિત બાળકોએ શિક્ષાપત્રીની આજ્ઞાનુસાર માતા પિતાનું ચરણ સ્પર્શ કરી પૂજન કર્યું હતું. આ સમયે શિબિરમાં ભાવાત્મક દ્રશ્યો જોઈ માતા-પિતા ભાવુક થઈ ગયા હતા. શિબિરમાં આવેલા રાજકોટ ના બાળકો સંગીતમાં પણ પૂર્ણ તાલીમ બધ હતા. નાના બાળકોએ વિવિધ વિષયો ઉપર સુંદર વક્તવ્ય આપ્યું હતું .રુદ્ર શર્મા નામના આઠ વર્ષીય બાળકેપોતાની વાક્છટા સાથે એક પાત્રીય અભિનય કરી સૌના મન જીતી લીધા હતા. શિબિરમાં ભાગ લીધેલ દરેક બાળકને શ્યામવલ્લભ સ્વામીએ પુષ્પ માળા પહેરાવી અભિવાદન કર્યું હતું. આ શિબિરમાં મુખ્ય કોઠારી દેવપ્રકાશ સ્વામી ઉપસ્થિત રહી શિબિરમાં ભાગ લીધેલ દરેક બાળકોને પ્રોત્સાહિત કરી આવતીસાલ ગ્રીષ્મ શિબિરમાં ભાગ લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. શિબિરનું વ્યવસ્થાપન અને સંચાલન શ્યામવલ્લભ સ્વામી, શાસ્ત્રી નારાયણચરણ સ્વામી – બુધેજ , ગોપાલભગત- જ્ઞાનબાગ ,જ્ઞાનપ્રકાશ સ્વામી – વિરસદ , કે.પી.સ્વામી, પ્રેમનંદનસ્વામી,કાંતિ ભગત રાજકોટ તથા માધવ સ્વામી ઉપસ્થિત રહ્યા હતા.
આ સમગ્ર વ્યવસ્થા ટ્રસ્ટીશ્રી અલ્પિતભાઈ , નિકિતભાઈ પટેલ , જીજ્ઞેશભાઈ વડતાલ ઓફિસ , અજયભાઈ ડાકોર વગેરેએ સંભાળી હતી, એમ વડતાલ મંદિરની યાદીમાં જણાવાયું છે.


Related Posts

Load more