ફિલ્મ અને વેબ સિરીઝને ટક્કર મારતી સુરેન્દ્રનગરની મર્ડર મિસ્ટ્રી:પતિ-સંતાનોને છોડી મહિલા જેઠ સાથે ભાગી

By: Nation Gujarat Team
19 May, 2026

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામમાં થયેલી શાંતિગીરી ગોસ્વામીની રહસ્યમય હત્યાનો ભેદ અમદાવાદ ક્રાઈમ (crime) બ્રાન્ચે ઉકેલી કાઢ્યો છે. ક્રાઈમ બ્રાન્ચે આ ગુનામાં સામેલ જાગૃતિ અને તેના પ્રેમી કાંતિ ઉર્ફે ભરત સાબરિયાની ધરપકડ કરી છે.

મહિલાને પતિના મોટાભાઈ સાથે પ્રેમસંબંધ બંધાયો

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં રહેતા સુખદેવગીરી ગોસ્વામીના લગ્ન જાગૃતિ નામની મહિલા સાથે થયા હતા અને તેમને બે સંતાનો હતા. લગ્નજીવન દરમિયાન જાગૃતિને તેના જેઠ શાંતિગીરી (જે પોતે પણ બે સંતાનોના પિતા હતા) સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. બદનામીથી બચવા માટે જાગૃતિ અને શાંતિગીરી પોતાના સંતાનોને ત્યજીને ભાગી ગયા હતા અને સોલડી ગામે સાથે રહેવા લાગ્યા હતા. બીજી તરફ, સુખદેવગીરીએ પત્ની કે ભાઈની શોધખોળ કર્યા વિના સંતાનોનો ઉછેર શરૂ કર્યો હતો.

શાંતિગીરીની ગેરહાજરીમાં જાગૃતિ અને કાંતિ વચ્ચે પ્રેમ પાંગર્યો

ટ્રક ડ્રાઈવર તરીકે કામ કરતો શાંતિગીરી વ્યવસાયના કારણે 20થી 25 દિવસ ઘરથી બહાર રહેતો હતો. આ દરમિયાન જાગૃતિને સ્થાનિક સ્તરે અન્ય પુરુષો સાથે પણ સંબંધો બંધાયા હતા. શાંતિગીરીએ પોતાના જ સાથી ડ્રાઈવર મિત્ર કાંતિ ઉર્ફે ભરત લાલજી સાબરિયાને એકલો હોવાના કારણે પોતાના ઘરે રહેવા બોલાવ્યો હતો. શાંતિગીરીની ગેરહાજરીમાં જાગૃતિ અને કાંતિ વચ્ચે પ્રેમસંબંધો શરૂ થયા હતા.

જાગૃતિએ કાંતિ સાથે મળી શાંતિગીરીને હટાવવાનો પ્લાન ઘડ્યો

શાંતિગીરી સાથે અવારનવાર થતી તકરારથી કંટાળીને જાગૃતિએ તેને રસ્તામાંથી હટાવી કાંતિ સાથે સ્થાયી થવાનો પ્લાન ઘડ્યો હતો. 7 ઓક્ટોબર 2025ના રોજ જ્યારે શાંતિગીરી ટ્રક લઈને ઘરે પરત ફર્યો ત્યારે પૂર્વ આયોજિત કાવતરા મુજબ જાગૃતિ અને કાંતિએ તેની સાથે ઝઘડો કરી, તેને નીચે પાડી દીધો હતો અને ગળું દબાવી તથા ઓશીકાથી ગૂંગળાવીને તેની હત્યા કરી દીધી હતી.

લાશનો નિકાલ અને ગુનાને છુપાવવાનો પ્રયાસ

હત્યાની રાત્રે જાગૃતિ તરફ આકર્ષાયેલો સ્થાનિક યુવક દીપક તેને મળવા પહોંચ્યો હતો. જાગૃતિ અને કાંતિએ લાશના નિકાલ માટે દીપકની મદદ લીધી હતી. તેમણે તેમના અન્ય એક મિત્ર લલિતની ગાડી મેડિકલ ઇમર્જન્સીનું બહાનું બતાવીને મેળવી હતી. આ ગાડીમાં શાંતિગીરીના મૃતદેહને સુરેન્દ્રનગરની કેનાલ સુધી લઈ જઈને વહાવી દેવામાં આવ્યો હતો. ગુનો છુપાવવા માટે આરોપીઓએ શાંતિગીરીનો મોબાઈલ બંધ કરી દીધો હતો અને ગામમાં એવી અફવા ફેલાવી હતી કે, શાંતિગીરીને મોટું કામ મળતાં તે બે વર્ષ માટે બહાર ગયા છે અને તેમનો નવો નંબર કોઈને આપવાનો નથી. ત્યારબાદ બંને પતિ-પત્નીની જેમ સોલડી ગામમાં જ રહેવા લાગ્યા હતા.

આશ્ચર્યજનક વિગત એ છે કે, આ હત્યાના દોઢ વર્ષ પહેલાં જાગૃતિએ શાંતિગીરી અને કાંતિના કોમન મિત્ર યુનુસ મેમણ (રહે. પાલનપુર-ડીસા) ને શાંતિગીરીની હત્યા કરવા માટે રૂપિયા 25,000ની સોપારી આપી હતી. જોકે, યુનુસે હત્યા કરવા ન માંગતો હોવાથી શાંતિગીરી ઊંઘતો હતો ત્યારે તેના ફોટા પાડીને જાગૃતિને મોકલી આપ્યા હતા અને પૈસા પડાવી લીધા હતા. શાંતિગીરી ઘરે પાછો આવતા જાગૃતિને ખબર પડી હતી કે યુનુસ તેને છેતરી ગયો છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ વી.બી. આલની ટીમે સુરેન્દ્રનગર કેનાલમાંથી મળેલા અજાણ્યા પુરુષના મૃતદેહ અંગે, જેને સ્થાનિક પોલીસે અકસ્માત મોત ગણાવ્યું હતું, બે મહિના સુધી સઘન તપાસ આદરી હતી. આ તપાસ દરમિયાન યુનુસ મેમણ અને સોપારી વાળી કડી હાથ લાગતા પોલીસે જાગૃતિની અટકાયત કરી હતી. કડક પૂછપરછમાં જાગૃતિ ભાંગી પડી હતી અને સમગ્ર કાવતરાની કબૂલાત કરી હતી.હાલ ક્રાઈમ(crime) બ્રાન્ચે મુખ્ય બંને આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી માટે સ્થાનિક પોલીસને (POLICE) સોંપવાની તજવીજ હાથ ધરી છે, જ્યારે દીપક અને લલિત પોલીસ માટે મહત્વના સાક્ષી બન્યા છે.


Related Posts

Load more