આગામી 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ત્રણેય મુખ્ય પક્ષના ઉમેદવારોએ ઉમેદવારી કરી દીધી છે. આ પહેલાં 9 એપ્રિલના રોજ સુરેન્દ્રનગર વિસ્તારમાં ખેડૂત નેતા તરીકે જાણીતા રાજુ કરપડા 9 એપ્રિલે ભાજપમાં જોડાયા હતા. આ સાથે જ તેમને સુરેન્દ્રનગર
માત્ર સાડા ત્રણ વર્ષના ગાળામાં રાજુ કરપડાની સંપત્તિમાં આશ્ચર્યજનક ઉછાળો જોવા મળ્યો છે. વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી સમયે રજૂ કરેલા સોગંદનામા મુજબ તેમની કુલ સંપત્તિ અંદાજે 61 લાખ હતી, જે વર્ષ 2026માં વધીને 3.12 કરોડે પહોંચી ગઈ છે. આમ તેમની મિલકતમાં 5 ગણો વધારો થયો છે.જ્યારે તેની પાસે રહેલી 55 વીઘા જમીનમાંથી અંદાજે 40 વીઘાનો વધારો થયો છે. જે તેમણે માત્ર વર્ષ 2023ના પ્રથમ પાંચ મહિનામાં જ ખરીદવામાં આવી હોવાનો ખુલાસો થયો છે.
આ ઉપરાંત, દંપતી પાસેના સોના-ચાંદીના દાગીનાની કિંમત ₹12.50 લાખથી વધીને ₹69 લાખ સુધી પહોંચી છે, જેમાં તેમની પત્ની પાસે ₹60 લાખની કિંમતનું 400 ગ્રામ સોનું હોવાનો ઉલ્લેખ છે. વાહનોના કાફલામાં પણ વધારો થયો છે, જેમાં હવે ઇનોવા ક્રિસ્ટા અને મારુતિ અર્ટિગા સહિત કુલ 5 વાહનોનો સમાવેશ થાય છે, જેની અંદાજિત કિંમત ₹28.50 લાખ છે. એફિડેવિટ મુજબ સંપત્તિની સાથે સાથે રાજુ કરપડા પરના દેવામાં પણ વધારો થયો છે. 2022માં વિવિધ બેંક લોન પેટે ₹24.97 લાખનું દેવું હતું, જે 2026માં વધીને ₹48.59 લાખ પર પહોંચ્યું છે. આ ઉપરાંત, કાયદાકીય મોરચે પણ તેમની મુશ્કેલીઓ વધી હોય તેમ જણાય છે; 2022માં તેમની વિરુદ્ધ નોંધાયેલા કોર્ટ કેસોની સંખ્યા 3 હતી, જે હવે વધીને 6 થઈ ગઈ છે.
માત્ર ચાર વર્ષના ટૂંકા ગાળામાં રોકડ રકમમાં ઘટાડો (₹1.54 લાખથી ઘટીને ₹62,170) થયો હોવા છતાં, સ્થાવર મિલકતો અને સોનામાં થયેલો આકસ્મિક અને જંગી વધારો લોકોમાં અનેક સવાલો ઉભા કરી રહ્યો છે. ખાસ કરીને જમીન ખરીદીના સોદાઓ અને આવકના સ્ત્રોતને લઈને રાજકીય વિશ્લેષકોમાં અનેક ચર્ચાઓ છે. આ આંકડાઓ આગામી ચૂંટણીમાં તેમના માટે કેવો માહોલ તૈયાર કરશે તે જોવું રહ્યું.
કોણ છે રાજુ કરપડા?
રાજુ કરપડા મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના દૂધઈ ગામના વતની છે. રાજુ કરપડા 2022 ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ચોટીલા બેઠક પરથી આમ આદમી પાર્ટી તરફથી ચૂંટણી લડ્યા હતા, જેમાં તેમનો પરાજય થયો હતો. પાક વીમાની એક કંપની સામે ખેડૂત તરીકે છેતરપિંડી થયાની પોલીસ ફરિયાદ દાખલ કરાવીને રાજુ કરપડા સૌપ્રથમ લાઇમલાઇટમાં આવ્યા હતા.
2018 બાદ રાજુ કરપડા ખેડૂત આગેવાન સાગર રબારીની સંસ્થામાં જોડાયા હતા. તેમની સુરેન્દ્રનગર જિલ્લાના પ્રમુખ તરીકે નિમણૂક થઈ અને તેમણે ખેડૂતોના પ્રશ્નોને લઈને લડત સુરેન્દ્રનગરના મૂળી તાલુકાથી શરૂ કરી હતી .તેમણે શરૂઆતમાં જમીન માપણીના પ્રશ્નોના મુદ્દે આંદોલનો કર્યાં હતાં. તે ઉપરાંત પાક વીમા યોજનાના પ્રશ્નોને લઈને પણ તેમણે આંદોલનો કર્યાં, જે સુરેન્દ્રનગર જિલ્લા પૂરતાં જ હતાં.2021-22માં રાજુ કરપડા આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. 2022માં તેમને આમ આદમી પાર્ટીએ ચોટીલા વિધાનસભાની ટિકિટ આપી હતી અને તેઓ 45937 મત મેળવીને બીજા સ્થાને રહ્યા હતા. 11 ફેબ્રુઆરી, 2026ના રોજ તેમણે રાજીનામું આપીને સૌને ચોંકાવી દીધા હતા.