બગદાણા ધામના સેવક નવનીત બાલધિયા પર હુમલાના વિરોધમાં કોળી સમાજ મેદાને આવ્યો છે. સુરતથી ભાવનગર 100 ગાડીઓનો કાફલો મહુવા પહોંચ્યો છે.
બગદાણા ધામના સેવક નવનીતભાઈ બાલધિયા પર થયેલા હુમલાના મામલે હવે સમગ્ર કોળી સમાજ મેદાને ઉતરી આવ્યો છે. નવનીતભાઈને માર મારવામાં આવ્યો હોવાના વિરોધમાં સુરતના કોળી સમાજમાં ભારે રોષ ફેલાયો છે. આ ઘટનાને લઈને સુરતથી લગભગ 100 ગાડીઓના કાફલા સાથે કોળી સમાજના આગેવાનો અને સમાજના લોકો મહુવા પહોંચ્યા
તબિયત અંગે માહિતી મેળવી
ભાવનગરની નારી ચોકડી ખાતે કોળી સમાજના આગેવાન ચિરાગભાઈ ઝાલા, પિન્ટુભાઈ કોળી, શૈલેષભાઈ મેર તેમજ ઋષિભારતી બાપુની હાજરીમાં મોટી સંખ્યામાં સમાજના લોકો એકત્રિત થયા હતા.
નારી ચોકડીથી કાફલો મહુવા હોસ્પિટલ પહોંચ્યો જ્યાં પીડિત નવનીતભાઈ બાલધિયાની મુલાકાત લઈ તેમની તબિયત અંગે માહિતી મેળવી હતી. નવનીત બાલધિયા પર હુમલાના કેસમાં પોલીસ દ્વારા SITની રચના કરવામાં આવી છે. SIT દ્વારા તમામ દિશાઓમાં તપાસ શરૂ કરવામાં આવી હોવાનું પોલીસનું કહેવું છે.
લડત ચાલુ રહેશે
કોળી સમાજની મુખ્ય માંગ છે કે આ કેસમાં મુખ્ય આરોપીનું નામ એફઆઈઆરમાં ઉમેરવામાં આવે. આ માંગને લઈને સમાજના લોકો અડગ રહ્યાં છે. લડત ચાલુ રહેશે.
આ પ્રસંગે ઋષિભારતી બાપુએ કડક શબ્દોમાં સરકાર અને તંત્ર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, જ્યાં સુધી સમાજને સંપૂર્ણ ન્યાય નહીં મળે ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે. સમગ્ર ઘટનાને લઈને ભાવનગર જિલ્લામાં તણાવપૂર્ણ પરંતુ શાંતિપૂર્ણ માહોલ જોવા મળ્યો.
શું છે બગદાણા મામલો
પ્રસિદ્ધ લોકગાયક માયાભાઇ આહીરનો વીડિયો વાયરલ થયા બાદ વિવાદ સર્જાયો હતો. આ વાયરલ વીડિયોને લઈને ટ્રસ્ટી શબ્દ અંગે માયાભાઈ સાથે ટેલિફોનિક વાત કરનાર બગદાણાના સેવક પર અજણયા શખસો દ્વારા હુમલો કરાયો હતો. 24 ડિસેમ્બરના મુંબઈના કાંદિવલી ખાતે યોજાયેલ કાર્યક્રમમા માયાભાઇ આહીરના નિવેદન બાદ વિવાદ સર્જાયો હતો. જેમાં માયાભાઇ આહીરે બગદાણાધામ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી શબ્દનો ઉલ્લેખ કરી કોઈ જાહેરાત કરી હતી. આ વીડિયો વાયરલ થતા બગદાણા આશ્રમના સેવકે માયાભાઈને ફોન કરી ‘અહીં બધા માત્ર ટ્રસ્ટીઓ છે કોઈ મેનેજીંગ ટ્રસ્ટી કોઈ નથી’ એમ જણાવ્યું હતું. જે બાબતે માયાભાઇ આહીરે પોતાની ભૂલ સ્વીકારી ટ્રસ્ટી શબ્દ અંગે માફી સાથેનો વિડીયો વાયરલ કર્યો હતો.
માયાભાઈએ માફી પણ માંગી હતી
આ વિવાદ બાદ માયાભાઈ આહીર દ્વારા મેનેજિંગ ટ્રસ્ટી શબ્દને લઈ ભૂલ સ્વીકારતો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો. જેને લઈ તેના માયાભાઈ આહીરના દીકરા જયરાજ આહીરે નવીનભાઈ બાલદીયાને ફોન કરે રૂબરૂ મળવા માટે કહ્યું હતું. જેમાં નવીન બાલોદીયાના ટ્રેક્ટરની ચાવી કોઈ અજાણ્યા શખ્સોએ લઈ લીધી હોય તેવો નવીન બાલોદીયા પર ફોન આવતા તેઓ ઘટના સ્થળ પર દોડી ગયા હતા. જેમાં સાતથી આઠ શખ્સોએ નવીનભાઈ પર ધોકા પાઈપથી હુમલો કર્યો હતો. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને નવીનભાઈ ઈજાગ્રસ્ત તયા હતા, જેના બાદ તેમને તાત્કાલિક મહુવાની હનુમંત હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.