આણંદ : ઉજ્જવળ ભવિષ્યના સપના જોઈને જે દીકરીને હોંશેહોંશે વિદેશ ભણવા મોકલી હતી, તેનો કફનમાં લપેટાયેલો મૃતદેહ જોઈને માતાપિતા ભાંગી ગયા હતા. આણંદની વિધિ મેધાની કેનેડામાં હત્યા થઈ હતી. ત્યારે ઘટનાના 23 દિવસ બાદ વિધિનો મૃતદેહ વતન આવ્યો હતો. દીકરીને ચોધાર આસુંએ માતાપિતાએ વિદાય આપી હતી.
ગમગીન માહોલમાં દીકરીની અંતિમ યાત્રા નીકળી
કેનેડામાં હત્યાનો ભોગ બનેલી બોરસદની દીકરી વિધિ મેધા અંતિમ સંસ્કાર આજે આણંદમાં કરાયા હતા. 23 દિવસ બાદ કફનમાં લપેટાયેલો વિધિનો મૃતદેહ વતન પહોંચ્યો હતો. દીકરીના ઉજ્જવળ ભવિષ્યના સપના અધૂરા રહી જતા પરિવાર શોકમાં ગરકાવ બની ગયા હતા. ગત મોડી રાત્રે વિધિનો મૃતદેહ બોરસદ સ્થિત પિતૃગૃહે પહોંચ્યો હતો. સવારે ભારે આક્રંદ અને ગમગીન માહોલમાં દીકરીની અંતિમ યાત્રા નીકળી હતી. માતા-પિતાએ કંપતા હાથે પોતાની લાડકી દીકરીને અંતિમ વિદાય આપી હતી.
વતનની માટીમાં વિલિન થઈ બોરસદની દીકરી વિધિ કલ્પેશ મેઘા
હત્યા તયાના 23 દિવસની રાહ બાદ પરિવારને વ્હાલસોયી દીકરીના અંતિમ દર્શન થયા હતા. વિધિના અંતિમ દર્શન માટે બોરસદમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. વિદેશમાં હત્યાનો ભોગ બનેલી દીકરીની વિદાયે સમગ્ર બોરસદ શોકમગ્ન બન્યું છે. સપનાઓ લઈને કેનેડા ગયેલી વિધિ આજે પંચમહાભૂતમાં વિલીન થઈ છે. પરિવારના આક્રંદથી અંતિમ યાત્રામાં હાજર લોકોની આંખો પણ ભીની થઈ હતી. આમ, વતનની માટીમાં બોરસદની દીકરી વિધિ કલ્પેશ મેઘા વિલિન થઈ છે.
સમગ્ર પંથકમાં શોકની લાગણી, સૌએ શ્રદ્ધાંજલિ અર્પી હતી. સાથે જ વિધિ મેઘાની હત્યાના કેસમાં ન્યાયની માંગ વધુ પ્રબળ બની છે.
23 દિવસ પહેલા થઈ હતી હત્યા
ગત મહિને 14 મેના રોજ વિધિ સાથે તેના પિતાની છેલ્લા વાત થઈ હતી. તેના બાદ તેનો કોઈ સંપર્ક થયો ન હતો. આ કારણે તેના માતાપિતા ચિંતાતુર બન્યા હતા. આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, વિધિ તેના ઘરમાં મૃત હાલતમાં મળી છે. વિધિનો મૃતદેહ તેના ઘરમાંથી લોહીથી લથપથ હાલતમાં મળ્યો હતો. દીકરીની હત્યાની ખબર સાંભળીને માતાપિતાના પગ તળેથી જમીન સરકી ગઈ હતી.
22 વર્ષીય વિધી કલ્પેશકુમાર મેધા ચાર વર્ષ પહેલા કેનેડામાં ગઈ હતી. તે ત્યાં રહીને અભ્યાસ કરી રહી હતી, સાથે જ નોકરીની સાથે સાથે પીઆરની તૈયારી પણ કરી રહી હતી. પહેલા તે તેના મામા સાથે રહેતી હતી, પરંતું છેલ્લા દોઢ વર્ષથી તે અલગ રહેતી હતી. તેની હત્યા કેસમાં 40 વર્ષીય જોશુઆ સેંટ ઓંમરની ધરપકડ કરવામાં આવી છે.