સૌરાષ્ટ્રના વકીલ આલમની વર્ષો જૂની માંગણી એવી સૌરાષ્ટ્રમાં ગુજરાત હાઇકોર્ટની બેંચની સ્થાપના માટે રાજકોટ બાર એસોસિએશન દ્વારા લડત વધુ તેજ બનાવવામાં આવી છે. સૌરાષ્ટ્રના લોકોને ન્યાય મેળવવા માટે અમદાવાદ સુધી લાંબા ન થવું પડે અને સ્થાનિક સ્તરે જ સુલભ તથા ઝડપી ન્યાય મળી રહે તે હેતુથી રાજકોટ બાર એસોસિએશન દ્વારા રાજકીય અગ્રણીઓ અને શાસકોને સાથે રાખીને રજૂઆતોનો દોર શરૂ કરવામાં આવ્યો છે.
આ ઝુંબેશના ભાગરૂપે રાજકોટ બાર એસોસિએશનના પ્રતિનિધિમંડળે રાજકોટના સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા તેમજ દક્ષિણ રાજકોટના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાને રૂબરૂ મળીને આવેદનપત્ર પાઠવ્યું હતું.આ ઉપરાંત બે દિવસ પહેલાં જ બાર એસોસિએશને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ મળીને સૌરાષ્ટ્રમાં હાઇકોર્ટ બેંચની અનિવાર્યતા અંગે વિગતવાર રજૂઆત કરી હતી.ન્યાયિક પ્રક્રિયાને વેગ આપવા અને સ્થાનિક કક્ષાએ સર્વસંમતિ સાધવા માટે વકીલોના મંડળે રાજકોટના મેયર અને શહેર ભાજપ પ્રમુખને પણ આવેદનપત્ર સોંપીને આ લડતમાં સક્રિય સહયોગ આપવા અપીલ કરી છે.
રાજકોટ બાર એસોસિએશનની આ રજૂઆતને ગંભીરતાથી લઈને સાંસદ પરસોત્તમભાઈ રૂપાલાએ ત્વરિત પગલાં ભર્યા છે.તેમણે કેન્દ્રીય કાયદામંત્રી અર્જુન રામ મેઘવાલને પત્ર લખીને સૌરાષ્ટ્રના વિશાળ ભૌગોલિક વિસ્તાર અને અરજદારોની સંખ્યાને ધ્યાને રાખીને વહેલી તકે અહીં હાઇકોર્ટની સર્કિટ બેંચ મંજૂર કરવા માટે મજબૂત ભલામણ કરી છે. હાલમાં રાજકોટ બાર એસોસિએશન દ્વારા તમામ પક્ષના અલગ-અલગ રાજકીય અગ્રણીઓ, સાંસદો અને ધારાસભ્યોનું પૂર્ણ સમર્થન મેળવવા માટેના પ્રયાસો પૂરજોશમાં ચલાવવામાં આવી રહ્યા છે.વકીલ મંડળનું માનવું છે કે જો તમામ રાજકીય ક્ષેત્રે એકસૂર થઈને રજૂઆત કરવામાં આવશે તો કેન્દ્ર સરકાર તરફથી ટૂંક સમયમાં જ સૌરાષ્ટ્રવાસીઓને હાઇકોર્ટ બેંચના રૂપમાં મોટી ભેટ મળી શકે છે.