Vidisha School Bus Accident : મધ્યપ્રદેશના વિદિશા જિલ્લામાં એક દુ:ખદ માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. જિલ્લાના નટેરન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા જોહાદમાં બાળકોને લઈ જતી એક સ્કૂલ બસ કાબુ ગુમાવીને પુલ પરથી નદીમાં પડી ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અકસ્માતે બધાને ચોંકાવી દીધા છે. મુસાફરી દરમિયાન બસમાં 48 બાળકો હતા. સદનસીબે, બસ અકસ્માત સ્થળે પાણી નહોતું, નહીં તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત. હાલમાં, બસ અકસ્માતમાં 15 થી વધુ બાળકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે, જેમાંથી પાંચની હાલત ગંભીર છે.
પિકનિક પર બાળકોને લઈ જતી સ્કૂલ બસ પુલ પાર કરી રહી હતી, તે દરમિયાન આ અકસ્માતની ઘટના સામે આવી છે. બસે કાબુ ગુમાવીને પુલ પરથી નદીમાં ઉતરી પડી હતી. આ અકસ્માતમાં 20 થી વધુ બાળકો ઘાયલ થયા, જેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.
સ્કૂલ બસ પુલ પરથી ઉતરતા જ બાળકો સ્તબ્ધ થઈ ગયા હતા. બસ નદીમાં પડતાં જ બાળકોની ચીચીયારીઓ સાંભળવા મળી હતી. અને ઘાયલોએ મદદ માટે બૂમો પાડવાનું શરૂ કર્યું હતું. બાળકોની બૂમો સાંભળીને સ્થાનિક લોકો તેમના બચાવ માટે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં, નટેરન પોલીસ સ્ટેશનની પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. સાથે જ સ્થાનિક રહેવાસીઓની મદદથી બચાવ કામગીરી શરૂ કરી હતી.
બાળકોને બચાવ્યા બાદ, તેમને હોસ્પિટલ લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમના પરિવારોને પણ જાણ કરવામાં આવી હતી. એમ્બ્યુલન્સની મદદથી, કેટલાક નાના અને ગંભીર રીતે ઘાયલ લોકોને સારવાર માટે ગંજબાસોડા સ્થિત રાજીવ ગાંધી સરકારી જનરલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. ગંભીર હાલતમાં પાંચ વિદ્યાર્થીઓને વિદિશા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
અહેવાલ મુજબ, અશોકનગર જિલ્લાના બહાદુરપુરમાં એક સરકારી શાળાની બસ પિકનિક પર જઈ રહી હતી, ત્યારે તે પલટી ગઈ હતી. બસમાં 11-12 માં ધોરણના વિદ્યાર્થીઓ અને સ્ટાફ હતો. તેઓ પિકનિક માટે સાંચી જઈ રહ્યા હતા.