Narmada – ખેડૂતોના વિરોધ ને સાંસદ મનસુખ વસાવાનું સમર્થન અને અહિંસક લડતની અપીલ

By: Nation Gujarat Team
09 Aug, 2026

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખોપી વિસ્તારમાં જંગલ જમીન ખેડવાને લઈને શરૂ થયેલો વિવાદ વધુ ઉગ્ર બની રહ્યો છે. ગઈકાલે સવારથી જ 12 જેટલા ગામોના આદિવાસી ખેડૂતો જંગલ જમીન ખેડવા માટે પહોંચ્યા હતા, પરંતુ વનવિભાગના કર્મચારીઓ દ્વારા તેમને અટકાવવામાં આવ્યા હતા. વનવિભાગની રોકટોક સામે વિરોધ દર્શાવવા માટે આદિવાસી ખેડૂતોએ સ્થળ પર જ ધરણાં શરૂ કરી દીધા હતા. ખેડૂતોએ પોતાની જમીન બચાવવા માટે ગઈકાલે આખી રાત ખેતરોમાં જ ખુલ્લા આકાશ નીચે વિતાવીને વિરોધ પ્રદર્શન ચાલુ રાખ્યું હતું.

વિશ્વ આદિવાસી દિવસે પણ આંદોલન યથાવત રાખવા નિર્ણય

આજે સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સાગબારાના ખેડૂતોએ પોતાના હક અને અધિકારની લડત માટે ધરણાં સ્થળે જ આદિવાસી દિવસ ઉજવવાનો મક્કમ નિર્ધાર કર્યો છે. આંદોલનકારી ખેડૂતોએ અન્ય આદિવાસી ભાઈઓને પણ પોતાના સમર્થનમાં આ ધરણાં પ્રદર્શનમાં જોડાવા માટે ખુલ્લું આહ્વાન કર્યું છે. પોતાની જમીનના અધિકાર માટે લડી રહેલા આદિવાસી ખેડૂતોની આ અડગ લડતના કારણે સમગ્ર નર્મદા જિલ્લામાં આ મુદ્દો ભારે ચર્ચાના કેન્દ્રમાં રહ્યો છે.

સાંસદ મનસુખ વસાવાનું સમર્થન અને અહિંસક લડતની અપીલ

આ સમગ્ર મામલે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પણ આદિવાસી ખેડૂતોની માંગણીઓને સમર્થન આપ્યું છે. તેમણે વનવિભાગ અને તંત્ર સામે આંદોલન કરી રહેલા ખેડૂતોને કાયદાના દાયરામાં રહીને તદ્દન અહિંસક રીતે પોતાની લડત આગળ ધપાવવા માટે આહ્વાન કર્યું છે. સાંસદના સમર્થન બાદ આદિવાસી સમાજમાં એકતાનો સુરેખ સંદેશ ગયો છે, જોકે વહીવટી તંત્ર અને વનવિભાગ દ્વારા આ ગંભીર પરિસ્થિતિને શાંત પાડવા અને શાંતિપૂર્ણ ઉકેલ લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.


Related Posts

Load more