શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગરના સંસ્થાપક અને શ્રી મુક્તજીવન સ્વામીબાપાના પ્રથમ પટ્ટશિષ્ય સાધુતાની મૂર્તિ સદ્ગુરૂ શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની ૧૦૩મી પ્રાગટ્ય જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ધ્યાન, ભજન, કીર્તન કરવામાં આવ્યા હતા અને શ્રી અબજીબાપાશ્રીની વાતોની પારાયણ યોજાઈ હતી.
આ પ્રસંગે શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામી,શ્રી હરિવલ્લભદાસજી સ્વામી, શાસ્ત્રી શ્રી હરિકૃષ્ણસ્વરૂપદાસજી સ્વામીએ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમનો દેશ વિદેશના ભક્તો લાભ લઈ શકે તે માટે સ્વામિનારાયણ મંદિર કુમકુમ યુટ્યુબ ચેનલ ઉપર લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી આ પૃથ્વી ઉપર ૧૦૦ વર્ષ રહ્યા અને ૮૦ વર્ષ સાધુ જીવન જીવ્યા. શ્રી મુક્તજીવન સ્વામીબાપાની સાથે શૂન્યમાંથી સર્જન કરવામાં તેમણે મહત્તમ પ્રદાન આપ્યું છે. અખંડ શ્રી સ્વામિનારાયણ ભગવાનનું સ્મરણ કરવું,ભગવાનની મૂર્તિમાં લીન રહેવાની એમણે સ્થિત કેળવી હતી.
ભારતીય સંસ્કૃતિના પ્રચારને પ્રસાર માટે તેઓ આફ્રિકા, યુરોપ, અમેરીકા, કેનેડા, દુબઈ આદિ અનેક દેશોમાં તેમણે
વિચરણ કરેલું છે.
શ્રી મુક્તજીવન સ્વામીબાપાના સિદ્ધાંતોને સાચવવા માટે જ અમદાવાદમાં આવેલા મણિનગરમાં જ સાધુતાની મૂર્તિ સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમની સ્થાપના કરી હતી. આજે આપણી સહુ કોઈની ફરજ બની જાય છે કે, તેમણે ચિંધેલા માર્ગે આપણે સહુએ ચાલવું જોઈએ.