કુમકુમ મંદિર ખાતે ભગવાનને ચંદનના વાઘાના શણગાર ધરાવવામાં આવ્યા

By: nationgujarat
10 May, 2024

તા. ૧૦મે ને શુક્રવાર અખાત્રીજના રોજ સદ્‌ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર – અમદાવાદ ખાતે વૈશાખ માસની ગરમીમાં ભગવાનને ઠંડક મળે તેવા હેતુથી શ્રી સ્વામિનારાયણ ભગવાનને પ કિલો ચંદનમાંથી વાઘાના શણગાર ધરાવવામાં આવ્યા હતા. આ શણગાર કરવા માટે છેલ્લા સાત દિવસથી તૈયારી કરવામાં આવતી હતી. પથ્થર ઉપર ચંદનના લાકડાને ઘસીને કિશોરો અને યુવાનો દ્વારા લેપ તૈયાર કરવામાં આવે છે.

કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, ભગવાનને ચંદનના શણગાર ધરાવ્યા બાદ આ ચંદનની ગોટીઓ બનાવવામાં આવે છે અને તે ગોટીથી શ્રી સ્વામિનારાયણ ભગવાનના સંતો – હરિભક્તો તે ચંદનથી કપાળમાં તિલક કરે છે.

વૈશાખ માસ આવે છે ત્યારે જે ભાવિક ભક્તો હોય છે તે ભગવાનને રાજી કરવાને માટે તને કરીને ભગવાનની ખૂબ જ સેવા કરે છે.

વૈશાખ માસનો પ્રારંભ થાય એટલે આપણ સહુને અનુભવ છે કે,સખત આગ ઝરતી ગરમી પડે છે. ૪રથી ૪૪ ડીગ્રીથી પણ વધુ ગરમી પડવા લાગે છે. ગરમીથી બચવા માણસો અનેક પ્રકારના પ્રયત્નો કરે છે. આજના સમય પ્રમાણે માણસ ગરમીથી રક્ષણ મેળવવા માટે પંખો,એરકુલર અથવા તો એરકન્ડીશનથી રાહત મેળવે છે અને ભક્તો હોય છે તે પોતાના ઘરે પણ ભગવાનની સમીપે એ.સી. ચલાવે છે. મંદિરોમાં પણ ભગવાનને ઠંડી પ્રાપ્ત થાય તે માટે એ.સી. કરવામાં આવે છે. ભગવાનની પાસે પાણીના કુવારા ગોઠવવામાં આવે છે. પરંતુ આ સાધનો ન હતા ત્યારે ભક્તો ભગવાનને હાથે પંખો લઈને નાંખતા હતા અને ચંદનના લાકડાને પથ્થર ઉપર ઘસીને તેનો લેપ તૈયાર કરીને ભગવાનના શણગાર તૈયાર કરતા હતા. આ શણગારને ચંદનના શણગાર કહેવામાં આવે છે.

અખાત્રીજના દિવસનો મહિમા અપાર છે.

– જગન્નાથપુરી અને અમદાવાદમાં રથયાત્રા જે યોજાય છે તેના રથોના નિર્માણનું કાર્ય આ જ દિવસે પ્રારંભ થાય છે.
– આ દિવસે પરશુરામ ભગવાનનું પ્રાગટ્ય થયું હતું….
– સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં ચંદનના વાઘા ધરાવાનો પ્રારંભ કરવામાં આવે છે.


Related Posts

Load more