ગૌતમ ગંભીર હેડ કોચ તરીકે લાંબા સમય સુધી નહીં ટકે…’, વર્લ્ડ કપ હીરોના દાવાથી ખળભળાટ

By: nationgujarat
04 Aug, 2024

ગૌતમ ગંભીરે ટીમ ઈન્ડિયાના કોચ તરીકે આકર્ષક શરૂઆત કરી છે. તેમના નેતૃત્વમાં સૂર્યકુમાર યાદવની કપ્તાનીમાં ભારતીય ટીમે શ્રીલંકાને ત્રણ મેચની T20 સીરિઝમાં 3-0થી હરાવી હતી. ગંભીરની મેન્ટરશિપ હેઠળ KKRએ આઈપીએલ 2024નો ખિતાબ પણ જીત્યો હતો.

T20 વર્લ્ડ કપ બાદ રાહુલ દ્રવિડના કોચ પદ છોડવાના નિર્ણય બાદ ગંભીરને આ જવાબદારી મળી છે. જો કે, પૂર્વ ભારતીય ક્રિકેટર અને 2007 T20 વર્લ્ડ કપ વિજેતા જોગીન્દર શર્માનું માનવું છે કે ગંભીર લાંબા સમય સુધી હેડ કોચ તરીકે રહી શકશે નહીં.

જોગીન્દર શર્માનું કહેવું છે કે ગૌતમ ગંભીરના ખેલાડીઓ સાથે મતભેદ હોઈ શકે છે. તેણે શુભંકર મિશ્રાના પોડકાસ્ટ દરમિયાન જણાવ્યું હતું કે, ‘ગૌતમ ગંભીર ટીમની કમાન સંભાળવા જઈ રહ્યો છે પરંતુ હું માનું છું કે ગૌતમ ગંભીર લાંબો સમય ટકી શકશે નહીં. કારણ કે ગૌતમ ગંભીરના પોતાના કેટલાક નિર્ણયો છે. શક્ય છે કે કોઈ ખેલાડી સાથે તેનો મતભેદ થઈ શકે. હું વિરાટ કોહલીની વાત નથી કરી રહ્યો.

ગૌતમ ગંભીરના નિર્ણયો મોટાભાગે એવા હોય છે જે બીજાને પસંદ નથી આવતા. 2007માં ભારતની ટી-20 વર્લ્ડ કપ જીતમાં છેલ્લી ઓવર ફેંકનાર જોગીન્દરે કહ્યું, ‘ગૌતમ ગંભીર સીધુ બોલનાર છે. તે કોઈની પાસે કાનાફૂસી કરતો નથી. ગૌતમ ગંભીર ખુશામતખોર નથી. તેને શ્રેય આપનારા લોકો અમે જ છીએ. તે પોતાનું કામ  સાચા દિલથી કરે છે, ખૂબ પ્રામાણિકતાથી કરે છે.

2027 સુધી જવાબદારી સંભાળશે

ગૌતમ ગંભીરને 2027 સુધી ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચની જવાબદારી મળી છે. ભારતીય ટીમે આ સમયગાળા દરમિયાન ચાર આઈસીસી ઈવેન્ટ્સ રમવાની છે. જેમાં 2027માં યોજાનાર વર્લ્ડ કપનો પણ સમાવેશ થાય છે. ભારતીય ટીમમાં ગંભીર મોટા ફેરફારો કરી રહ્યો છે. રોહિત અને કોહલીએ ટી-20માંથી નિવૃત્તિ લઈ લીધી છે. ટીમ ઈન્ડિયાને જલ્દી જ વનડે અને ટેસ્ટમાં પણ નવો કેપ્ટન શોધવો પડશે. આ કારણે ગંભીર પર મોટી જવાબદારી આવવાની છે.


Related Posts

Load more