Tathya Patel Bail Update: અમદાવાદ (Ahmedabad) ના ઇસ્કોન બ્રિજ (Iskon Bridge Case) પર 19 જુલાઈ 2023 ની રાત્રે સર્જાયેલા ભયાનક અકસ્માત કેસના મુખ્ય આરોપી તથ્ય પટેલ (Tathya Patel) ને સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપતા નિયમિત જામીન મંજૂર કર્યા છે. પોણા ત્રણ વર્ષના જેલવાસ બાદ આજે તથ્ય પટેલ સાબરમતી જેલમાંથી બહાર આવશે. સુપ્રીમ કોર્ટની શરતોનું પાલન કરીને અને એક કરોડ રૂપિયાના જામીન બોન્ડ ભરીને તે જેલમાંથી મુક્ત થઈ રહ્યો છે.
સુપ્રીમ કોર્ટે આ મામલે કડક શરતો સાથે જામીન આપ્યા છે. તથ્ય પટેલે જામીન બોન્ડ તરીકે 1 કરોડ રૂપિયાની મોટી રકમ કોર્ટમાં જમા કરાવવી પડશે. કોર્ટે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે, આ એક કરોડ રૂપિયાની રકમ અકસ્માતમાં જીવ ગુમાવનાર 9 નિર્દોષ વ્યક્તિઓના પરિવારજનોને સમાન હિસ્સે વહેંચવામાં આવશે. રાજ્ય સરકારે પણ આ રકમની વહેંચણી અંગે પોતાની સંમતિ દર્શાવી છે.
19 જુલાઈ,2023 ની એ મધ્યરાત્રિએ અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર કાળો કેર વર્તાયો હતો. આરોપી તથ્ય પટેલે પોતાની જગુઆર કારને અત્યંત ગતિએ અને બેફામ રીતે હંકારીને બ્રિજ પર ઉભેલા નિર્દોષ લોકોને કચડી નાખ્યા હતા. આ ભયાનક અકસ્માત એટલો જોરદાર હતો કે ઘટનાસ્થળે જ 9 લોકોના કરુણ મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય 13 જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું હતું, અને તથ્ય પટેલ વિરુદ્ધ આઈપીસીની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટના બાદ આખો પરિવાર અને સમાજ ન્યાયની આશામાં લાંબી કાનૂની લડાઈ લડી રહ્યો છે.
19 જુલાઈ, 2023: અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર મોડી રાત્રે તથ્ય પટેલે જગુઆર કાર 24 જણા પર ચડાવી દીધી; 9 લોકોના મોત.
20 જુલાઈ, 2023: સિંદુ ભવન રોડ પર અકસ્માત મામલે બોપલ પોલીસ સ્ટેશનમાં તથ્ય સામે વધુ એક ગુનો દાખલ થયો.
21 જુલાઈ, 2023: મુખ્ય આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલની ધરપકડ કરવામાં આવી.
27 જુલાઈ, 2023: પોલીસે માત્ર એક જ અઠવાડિયામાં કોર્ટમાં 1684 પાનાની ચાર્જશીટ રજૂ કરી.
22 ઓગસ્ટ, 2023: મિરઝાપુર ગ્રામ્ય કોર્ટે આરોપી તથ્ય પટેલના જામીન ફગાવ્યા.
11 સપ્ટેમ્બર, 2023: હાઈકોર્ટે તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલના નિયમિત જામીન મંજૂર કર્યા.
26 સપ્ટેમ્બર, 2023: કોર્ટમાં તથ્ય પટેલ સામે સત્તાવાર રીતે ચાર્જ ફ્રેમ (આરોપનામું) કરવામાં આવ્યું.
18 માર્ચ, 2024: ગુજરાત હાઈકોર્ટે પણ આરોપી તથ્ય પટેલની જામીન અરજી ફગાવી દીધી.
ઓગસ્ટ – સપ્ટેમ્બર, 2024: દાદાના અવસાન બાદ વિધિમાં હાજરી આપવા માટે હાઈકોર્ટ અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટે તેને ટૂંકા સમય માટે શરતી વચગાળાના (Interim) જામીન આપ્યા હતા, જે પૂર્ણ થતાં તેણે જેલમાં પરત શરણાગતિ સ્વીકારી હતી.
ફેબ્રુઆરી, 2026: સુપ્રીમ કોર્ટે નીચલી અદાલત (ટ્રાયલ કોર્ટ) ને May મહિના સુધીમાં મહત્વના 25 સાક્ષીઓની તપાસ અને જુબાની પૂર્ણ કરવા માટે કડક આદેશ આપ્યો.
29 મે, 2026: આશરે પોણા ત્રણ વર્ષ (2 વર્ષ અને 10 મહિના) જેલમાં વિતાવ્યા બાદ, સુપ્રીમ કોર્ટે તથ્ય પટેલના નિયમિત જામીન મંજૂર કર્યા. કોર્ટે તેને ટ્રાયલ કોર્ટમાં Rs 1 કરોડની રકમ જમા કરાવવાની શરતે આ રાહત આપી છે.
એક તરફ તથ્ય પટેલ જેલમાંથી બહાર આવી રહ્યો છે, ત્યારે બીજી તરફ પીડિત પરિવારોમાં શોક અને રોષની લાગણી જોવા મળી રહી છે. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા જય ચૌહાણના પિતાએ ભીની આંખે જણાવ્યું હતું કે, “આ ઘટનાને ત્રણ વર્ષ થવા આવ્યા છે, પણ અમારા પુત્રની સારવાર હજુ ચાલુ છે. 9 પરિવારોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે. તથ્ય પટેલને તો ફાંસી કે આજીવન કેદની સજા મળવી જોઈએ, પરંતુ આજે તેને જામીન મળતા અમને ઘણો અન્યાય થયો હોય તેવું લાગે છે.” તેમણે આકરી માંગ કરતા ઉમેર્યું કે, તથ્યને બચાવવા માટે જે કોઈએ મદદ કરી છે, તેમને ઈશ્વર સજા આપે.
ગંભીર ગુનો: 19 જુલાઈ 2023 ની રાત્રે જગુઆર કાર દ્વારા સર્જાયેલા અકસ્માતમાં 9 લોકોના મોત થયા હતા અને 13 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
ટ્રાયલની ગતિ: ફેબ્રુઆરી મહિનામાં સુપ્રીમ કોર્ટે ટ્રાયલ કોર્ટને મે મહિના સુધીમાં 25 સાક્ષીઓની તપાસ પૂર્ણ કરવા માટે તાકીદ કરી હતી. 18 નવેમ્બર 2025 ના રોજ તથ્ય સામે ચાર્જ ફ્રેમ કરવામાં આવ્યા હતા.
પોણા ત્રણ વર્ષનો જેલવાસ: પોણા ત્રણ વર્ષની કાનૂની લડાઈ બાદ હવે તથ્ય પટેલ નિયમિત જામીન પર મુક્ત થઈ રહ્યો છે.