સદગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર ખાતે ભારત વિકાસ પરિષદ – પાલડીના સહયોગથી નિઃશુલ્ક દિવ્યાંગ સાધન સહાય કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આ કેમ્પમાં અનેક દિવ્યાંગોએ લાભ લીધો હતો. આજે આ નિઃશુલ્ક કેમ્પમાં ઘોડી અને સ્ટીકનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમને કૃત્રિમ હાથ, કૃત્રિમ પગ, વ્હીલચેર, કેલીપર્સની જરૂરિયાત છે તેમનું આજે માપ લેવામાં આવ્યું હતું અને તેમને તે વસ્તુઓ તા. ૨૯ માર્ચને રવિવારના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર ખાતે સવારે ૧૦ – ૦૦ વાગે અર્પણ કરવામાં આવશે.
આ કેમ્પ પ્રસંગે દિવ્યાંગોની સાથે કુમકુમ મંદિરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીનો પરામર્શ યોજાયો હતો. જેની અંદર તેઓએ દિવ્યાંગો સાથે તેમના જીવનના પ્રસંગો સાંભળ્યા હતા. ત્યારબાદ દિવ્યાંગોને સમજાવ્યું હતું કે, વિકલાંગતા એ શ્રાપ નથી, કુદરતે આપેલી એક અલગ ક્ષમતા છે. તમારા શરીરમાં તમને કોઈ ખોટ છે તેવું લાગતું હશે, પરંતુ સાથે – સાથે ભગવાને તમને એક વિશિષ્ટ શક્તિ આપેલી જ છે. તેને તમારે શોધવી જોઈએ અને તેનો ઉપયોગ કરવો જોઈએ.
મર્યાદા શરીરની હોય છે, મનની નહિ, એ મંત્ર સાથે જીવશો તો તમે જીવનમાં અનેક પડકારો સામે લડી શકશો. સફળતા એ નથી કે, તમે ક્યારેય પડ્યા નથી. સફળતા એ છે કે દરેક વખતે તમો પડીને પાછા ઊભા થયા છો.
જીવનમાં ક્યારેય હિંમત ના હારતા. શ્રી સ્વામિનારાયણ ભગવાન ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ રાખશો તો દરેક મુશ્કેલીઓ આવશે ત્યારે તેઓ આવીને ઊભા રહેશે અને માર્ગ દેખાડશે.
અમો પણ તમારી સાથે ઊભા જ છીએ… આપણે સાથે મળીને આવતી તકલીફો સામે લડીશું.
આજ દિન સુધી તમો આવેલી મુશ્કેલીઓ સામે લડ્યા છો, તે જ તમો સહુ વંદનને પાત્ર છો. તમને બધાંને આજે મળીને અમોને ખૂબ જ આનંદ થયો.
અંતમાં દિવ્યાંગોને મંદિરમાં ભોજન કરાવવામાં આવ્યું હતું.
અને ભારત વિકાસ પરિષદ – પાલડી તરફથી સાધનો અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે આ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યાં હતા.