Operation Sindoor: સર્વપક્ષીય બેઠકમાંથી બહાર આવતા જ કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ જે નિવેદન આપ્યું તેનાથી પાકિસ્તાનની ચિંતા વધારી દીધી હશે. રિજિજુએ કહ્યું છે કે, ‘ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ છે.’ તેના થોડા સમય પછી ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપ્યો કે જો આપણા પર કોઈપણ પ્રકારનો લશ્કરી હુમલો થાય છે તો કોઈ ગેરસમજ કે શંકામાં ન રહો. આનો ખૂબ જ કડક જવાબ આપવામાં આવશે.
વિદેશ મંત્રી એસ. જયશંકરે ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીની સામે કહ્યું કે, તમે એવા સમયે ભારત આવ્યા છો જ્યારે અમે 22 એપ્રિલે ભારતીય કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં થયેલા બર્બર હુમલાનો જવાબ આપી રહ્યા છીએ. આ હુમલાએ અમને 7 મેના રોજ સરહદ પાર આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કરીને જવાબ આપવા માટે મજબૂર કર્યા.
જયશંકર નું ઈરાની સમકક્ષને આ ખુલ્લેઆમ માઈકની સામે જાણકારી આપવી મહત્વપૂર્ણ છે. વિદેશ મંત્રીએ ઈરાનની સાથે-સાથે પાકિસ્તાન અને તેના સહાનુભૂતિ ધરાવતા દેશોને પણ સંદેશ આપ્યો છે. વિદેશ મંત્રીએ કહ્યું કે, અમારો પ્રતિક્રિયા ટાર્ગેટેડ અને માપેલ હતો. અમારો ઈરાદો પરિસ્થિતિ વધુ ખરાબ કરવાનો નથી. આ પછી જયશંકરે કહ્યું કે, જો આપણા પર લશ્કરી હુમલો થાય છે, તો કોઈને શંકા ન હોવી જોઈએ કે તેનો ખૂબ જ કડક જવાબ આપવામાં આવશે.
ભારતીય વિદેશ મંત્રી એ સૈયદ અબ્બાસને કહ્યું કે, એક પાડોશી અને નજીકના ભાગીદાર તરીકે આ મહત્વપૂર્ણ છે કે તમને પરિસ્થિતિની સારી સમજ હોય.
સર્વપક્ષીય બેઠકમાં સરકારે શું જણાવ્યું?
આ પહેલા કેન્દ્ર સરકારે ગુરુવારે ઓપરેશન સિંદૂર વિશે જાણકારી આપવા માટે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. આ બેઠક અધ્યક્ષતા રક્ષા મંત્રી રાજનાથ સિંહે કરી હતી. ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂરને સફળતાપૂર્વક અંજામ આપીને પાકિસ્તાન અને PoKમાં 9 આતંકવાદી ઠેકાણાઓ પર એર સ્ટ્રાઈક કરી હતી. ભારતીય સેનાએ જણાવ્યું કે, આતંકવાદીઓના આ તમામ ઠેકાણાઓને તબાહ કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તેમણે જણાવ્યું કે, ઓપરેશન સિંદૂરમાં 9 આતંકવાદી ઠેકાણાઓ પર સટીક હુમલા કરવામાં આવ્યા હતા. લગભગ 100 આતંકવાદીઓ માર્યા ગયા. ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ હોવાથી માર્યા ગયેલા આતંકવાદીઓની સંખ્યા અંગે કોઈ ચોક્કસ માહિતી નથી.
રાજનાથ સિંહે સર્વપક્ષીય બેઠકમાં કહ્યું કે, અમે આ મામલો વધારવા માંગતા નથી, પરંતુ જો પાકિસ્તાન કોઈ પણ પ્રકારનો જવાબ આપશે તો અમે પણ પાછળ હટીશું નહીં.
‘ઓપરેશન સિંદૂર’ને લઈ સર્વપક્ષીય બેઠક બાદ કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે, ‘રક્ષા મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં આજની સર્વપક્ષીય બેઠક ખૂબ જ સારી રહી, જેમાં તમામ નેતાઓએ ગંભીરતાથી પોતાના વિચારો રજૂ કર્યા.’ સૌ પ્રથમ રક્ષા મંત્રીએ તમામ નેતાઓને ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપી. આ પછી બધાએ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો અને સૂચનો પણ આપ્યા. બધા નેતાઓએ સેનાને અભિનંદન પણ આપ્યા. બધાએ કહ્યું કે, અમે એકતામાં સરકારને ટેકો આપીશું અને સેનાની દરેક કાર્યવાહીમાં ટેકો આપીશું. હું બધા નેતાઓનો આભાર માનું છું અને તે એક સકારાત્મક બેઠક હતી.