સરકાર ટૂંક સમયમાં વીજપોલ મુદ્દે ખેડૂતોના હિતમાં નવી નીતિ લાવશે, ચિંતા કરવાની જરૂર નથી’ – કૃષિમંત્રી

By: Nation Gujarat Team
17 Jun, 2026
ગોંડલ ખાતે યોજાયેલા ખેડૂત સંમેલનમાં કૃષિમંત્રી જીતુ વાઘાણીએ ખેડૂતોના હિતમાં એક મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, ભાજપ સરકારે ક્યારેય જગતના તાતનું અહિત વિચાર્યું નથી. ખેતરોમાં વીજ પોલ નાખવા અંગે ચાલી રહેલા વિવાદ મુદ્દે સરકારે ખેડૂતોને મોટી ખાતરી આપતા જણાવ્યું છે કે, ટૂંક સમયમાં જ તેમના હિતમાં એક કલ્યાણકારી નીતિની જાહેરાત કરવામાં આવશે.
સત્તાવાર જાહેરાત ન થાય ત્યાં સુધી ચિંતા કરવાની જરૂર નથી

સંમેલનને સંબોધતા કૃષિમંત્રી જીતુ વાઘાણીએ ખેડૂતોને આશ્વસ્ત કર્યા હતા કે જ્યાં સુધી વીજ પોલ અંગે નવી સત્તાવાર જાહેરાત ન થાય, ત્યાં સુધી કોઈ પણ ખેડૂતને ખેતીકામમાં મુશ્કેલી ન પડે તેવી કડક સૂચના વહીવટી તંત્રને આપી દેવામાં આવી છે. તેમણે ઉમેર્યું કે, “જેમનું મન ચોખ્ખું હોય તેને જ ઈશ્વર સફળતા આપે છે. અમારી સરકાર ખેડૂતોના પડખે ઊભી છે અને ભૂતકાળમાં પણ જે કોઈ પ્રશ્નો આવ્યા છે તેનું યોગ્ય નિવારણ સરકારે જ કર્યું છે.”
CM અને રાજ્યના ઊર્જામંત્રી સતત મોનિટરિંગ કરી રહ્યાં છે’

ખેડૂતોની ચિંતાનો ઉલ્લેખ કરતા મંત્રીએ જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યના ઊર્જામંત્રી પોતે આ બાબતે સતત ચિંતિત છે અને મોનિટરિંગ કરી રહ્યા છે. સરકાર એવી નીતિ ઘડી રહી છે જેનાથી રાજ્યના એક પણ ખેડૂતને આર્થિક કે વ્યવહારિક નુકસાન ન ભોગવવું પડે. આ નીતિ આખરી તબક્કામાં છે અને ટૂંક સમયમાં જ તેની સત્તાવાર જાહેરાત મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવશે.
આ સંમેલન બાદ સ્થાનિક ખેડૂતોમાં વર્ષો જૂની વીજ પોલની સમસ્યાનો કાયમી ઉકેલ આવવાની આશા જાગી છે. કૃષિમંત્રીએ મંચ પરથી વારંવાર ભારપૂર્વક જણાવ્યું હતું કે ખેડૂતોએ સહેજ પણ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આ સરકાર ખેડૂતોની, ખેડૂતો દ્વારા અને ખેડૂતોના વિકાસ માટે કામ કરતી સરકાર છે.

Related Posts

Load more