ભૂતપૂર્વ ક્રિકેટર આર્યન બાંગર એટલે કે હાલની અનાયા બાંગરે થોડા સમય પહેલાં પોતાનું સેક્સ ચેન્જ ઓપરેશન કરાવીને પોતાની નવી ઓળખ બનાવી છે. તેઓ પોતાની આ નવી ઓળખ સાથે જીવન જીવી રહી છે, પરંતુ આ સફર તેમના માટે જરાય સરળ રહી નથી. જ્યારે તેમણે પોતાની સેક્સ્યુઆલિટીનો ખુલાસો કર્યો હતો, ત્યારે લોકો એકદમ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ દરમિયાન તેઓ સતત એકલતા અનુભવવા લાગી હતી અને સમાજમાંથી તેમને અસંખ્ય વ્યંગ તથા વિચિત્ર વર્તનોનો સામનો કરવો પડ્યો હતો. જે તેમના માનસિક સ્વાસ્થ્ય પર ભારે અસર કરતું હતું.
પાર્ટીઓ અને મિત્રો તરફથી મળેલા કડવા અનુભવો
એક મીડિયા ઇન્ટરવ્યુમાં વાતચીત દરમિયાન અનાયાએ ખુલાસો કર્યો હતો કે એકવાર તેઓ એક પાર્ટીમાં હાજર હતા, ત્યારે એક વયોવૃદ્ધ વ્યક્તિએ ઝૂકીને તેમના નીચેના અંગો તરફ જોવાનો પ્રયાસ કર્યો હતો. જેનાથી તેઓ સંપૂર્ણપણે સ્તબ્ધ થઈ ગઈ હતી. આ સિવાય તેમના એક મિત્રએ પણ તેમના પ્રાઇવેટ પાર્ટ પર ટેપ કરીને સાચું જાણવાનો પ્રયાસ કર્યો હતો. અનાયાએ જણાવ્યું કે તે સમય દરમિયાન તેઓ પોતાની જાતને ખૂબ જ બંધાયેલી અનુભવતી હતી અને તેમનું મન તથા હૃદય અલગ-અલગ દિશામાં દોડી રહ્યા હતા, જેના કારણે ભારે માનસિક સંઘર્ષ ઊભો થયો હતો.
અનાયાએ પોતાની જિંદગીની સૌથી ખરાબ અને હચમચાવી નાખનારી ઘટના વિશે જણાવ્યું કે ટ્રાન્સ બિલના નિયમોને કારણે તેમને પોતાના ડોક્યુમેન્ટ્સ બદલાવવા માટે ફરજિયાત સરકારી હોસ્પિટલ જવું પડ્યું હતું. ત્યાં 6 પુરુષ ડૉક્ટરો અને 3 મહિલા ડૉક્ટરોનું એક પેનલ બેઠી હતી. જેમને આ બાબત પ્રમાણિત કરવાની હતી. તેમને કહેવામાં આવ્યું કે તેમણે પોતાના બધા કપડાં ઉતારીને બતાવવું પડશે કે તેઓ ખરેખર મહિલા છે કે નહીં. અનાયાએ જણાવ્યું કે જે રીતે ગાયનેકોલોજિસ્ટ તપાસ કરે છે, તેવી જ રીતે બધાની સામે તેમનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જે અત્યંત અસહ્ય અને ગેરકાયદેસર હતું.
દસ્તાવેજોના બદલાવમાં પડતી મુશ્કેલીઓ અને ડર
આ દુઃખદ અનુભવ બાદ અનાયાએ તેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો, ત્યારે તેમને ખબર પડી કે તેમની સાથે થયેલું આ વર્તન બિલકુલ ગેરકાયદેસર હતું. આ બધું છતાં આજે પણ તેમના તમામ દસ્તાવેજો પર જૂની તસવીર અને જૂનું નામ જ અંકિત છે. જ્યારે તેઓ બહાર જાય છે ત્યારે લોકો શંકાની નજરે તેમને જુએ છે અને સવાલો પૂછે છે. આ ભય અને સતત રહેતી અસુરક્ષાના કારણે તેમણે હવે ઘરની બહાર જવાનું લગભગ બંધ કરી દીધું છે કારણ કે તેમના મનમાં એક મોટો ડર બેસી ગયો છે કે દસ્તાવેજો પર હજુ પણ આર્યન બાંગર હોવાને કારણે કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટી જાય.