સેઉટામાં 60,000 ઘૂસણખોરોનો ધસારો: સ્પેન બોર્ડર પર ફ્રાન્સે સેના ઉતારી, ઈટાલીએ લીધો આકરો નિર્ણય

By: Nation Gujarat Team
01 Aug, 2026

Ceuta Migration Crisis: ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોને જાહેરાત કરી છે કે મોરક્કોના ઉત્તરમાં સ્થિત સ્પેનિશ વિસ્તાર સેઉટા (Ceuta)માં મોટી સંખ્યામાં ગેરકાયદે ઇમિગ્રન્ટ્સના પ્રવેશ બાદ ફ્રાન્સે સ્પેન સાથેની પોતાની સરહદો પર સુરક્ષા અને કંટ્રોલ વધુ કડક કરી દીધો છે.

ઇમેન્યુઅલ મેક્રોનનું નિવેદન

ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને જણાવ્યું કે, ‘સેઉટામાં શેંગેન વિસ્તારની જેમ મુક્ત અવરજવરની સુવિધા નથી. જોકે, મેં ગૃહ મંત્રીને જરૂર પડે તો સ્પેન સાથે જોડાયેલી આપણી સરહદો પર કંટ્રોલ વધુ મજબૂત કરવા નિર્દેશ આપ્યા છે. આ સુરક્ષા માટે 4 મોબાઈલ પોલીસ યુનિટ, એક વિમાન અને ડ્રોન તહેનાત કરવામાં આવ્યા છે.’

સેઉટામાં સર્જાયેલી ગંભીર સ્થિતિ

સેઉટાના સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક દિવસોમાં જમીન અને દરિયાઈ માર્ગે આશરે 60,000 ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ ઘૂસણખોરી કરી ચૂક્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, પોઈને પોઈને દરિયો તરીને વિસ્તારમાં પહોંચવાના પ્રયાસમાં 57 ઇમિગ્રન્ટ્સના મોત પણ થયા છે. સ્પેનિશ સરકારના જણાવ્યા પ્રમાણે, શુક્રવાર બપોર સુધીમાં આશરે 48,000 ઇમિગ્રન્ટ્સ મોરક્કો પરત જવા માટે સ્પેનિશ વિસ્તાર છોડી ચૂક્યા હતા.

ઈટાલીનો શેંગેન એગ્રીમેન્ટ સ્થગિત કરવાનો સંકેત

બીજી તરફ, ઇટલીના વડાંપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ સ્પષ્ટ કર્યું છે કે રોમ પોતાની સરહદો અને નાગરિકોની સુરક્ષા માટે અસાધારણ પગલાં ભરવા તૈયાર છે. તેઓ સ્પેન સાથેના શેંગેન એરિયા કરારને સસ્પેન્ડ કરવા પર પણ વિચાર કરી રહ્યા છે. વડાંપ્રધાન મેલોનીએ સોશિયલ મીડિયા પર લખ્યું કે, ‘સેઉટાથી આવી રહેલી તસવીરો ચોંકાવનારી છે. અનિયંત્રિત ગેરકાયદે ઇમિગ્રેશન યુરોપની સરહદો માટે મોટો ખતરો છે. ઈટાલી આ બધું શાંતિથી સહન નહીં કરે.’

સ્પેનની નીતિ સામે ઈટાલીના ડેપ્યુટી PMનો વિરોધ

ઈટાલીના ડેપ્યુટી પીએમ એન્ટોનિયો તજાનીએ પણ આ જ મુદ્દે અવાજ ઉઠાવ્યો છે. તેમણે સ્પેન સરકાર દ્વારા 5 લાખથી વધુ અનિયમિત ઇમિગ્રન્ટ્સને સ્પેનિશ અને યુરોપિયન નાગરિકતા આપવાના નિર્ણયને ખૂબ જ ખોટો ગણાવ્યો હતો. આ સાથે જ તેમણે કહ્યું કે, ‘હું સ્પેન માટે શેંગેન એરિયા બંધ કરવાના પક્ષમાં છું. અસંબંધિત અને અનિયંત્રિત ઇમિગ્રેશન રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમ છે અને મેડ્રિડ સરકારનો આ નિર્ણય માનવ તસ્કરીને પ્રોત્સાહન આપે છે.’


Related Posts

Load more