BAPS – નવી દિલ્લી સ્વામિનારાયણ અક્ષરધામમાં “ગુરુહરી વંદના” સમારોહ ઉજવાયો

By: nationgujarat
01 Sep, 2024

31 ઑગસ્ટ 2024, નવી દિલ્લી ..દિલ્લી સ્થિત સ્વામિનારાયણ અક્ષરધામમાં “ગુરુહરી વંદના” સમારોહ ભક્તિભાવપૂર્વક સંપન્ન થયો. બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (બી.એ.પી.એસ.) ના અધ્યક્ષ અને ગુરુ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના દિવ્ય સાન્નિધ્યમાં વૈદિક વિધિ દ્વારા સંપુર્ણ ગુરુ પરંપરાને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી. આ પ્રસંગે દિલ્લી ઉપરાંત ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને પુણેમાંથી આવેલા શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.

 

વિશ્વવંદનીય ગુરુ મહંતસ્વામી મહારાજની 91મી જન્મજયંતીનો આ પ્રતીકાત્મક સમારોહ દિલ્લીના ભક્તોએ ભવ્યતા અને દિવ્યતા સાથે ઉજવ્યો. મહંતસ્વામી મહારાજ 13 સપ્ટેમ્બરના રોજ તેમની આયુષ્યના 92મા વર્ષમાં પ્રવેશ કરશે. અનુયાયીઓએ આજના દિવસને “ગુરુહરી વંદના” સમારોહ તરીકે ઉજવ્યો.

 

સંસ્થાના વરિષ્ઠ સંતોએ ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિકતામાં ગુરુની મહિમાના મહત્ત્વ પર પ્રવચનો આપ્યાં. પૂજ્ય શ્રુતિપ્રિયદાસ સ્વામીજીએ ‘લૌકિક વિષયો પ્રત્યે અનાસક્તિ’ પર પોતાનું પ્રવચન રજૂ કરતાં કહ્યું કે “મહંતસ્વામી મહારાજના જીવનમાં ભગવાન જ સર્વસ્વ છે. તેઓ તમામ લૌકિક પદાર્થો અને પંચ વિષયોથી અનાસક્ત છે.” આધુનિક યુગમાં વિપરીત પરિસ્થિતિઓમાં સ્થિર રહેવાનું માર્ગદર્શન આપતાં પૂજ્ય બ્રહ્મવત્સલદાસ સ્વામીજીએ જણાવ્યું કે “સુખ-દુઃખ, માન-અપમાન, જય-પરાજય માનવ જીવનના અંગ છે. આ તમામ પરિસ્થિતિઓમાં સમાન રહેવાની પ્રેરણા મહંતસ્વામી પાસેથી મળે છે. તેઓ સદાય સ્થિર રહે છે અને ભક્તોને પણ સ્થિર રાખે છે.” ગુરુ પ્રત્યે દાસત્વ ભક્તિ જ મુક્તિનો માર્ગ છે, એવું કહેતા પૂજ્ય સંતચરિત સ્વામીજી એ ગુરુજીના ભગવાન સાથે તલ્લીનતાના પ્રસંગોને રજૂ કર્યા. તમામ પ્રવચનોથી સ્વામીશ્રીની અખંડ બ્રાહ્મી સ્થિતિનો બોધ થયો.

સંસ્થાના વરિષ્ઠ સદગુરુ સંત, પૂજ્ય વિવેકસાગર સ્વામીજી અને પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીજીએ મહંતસ્વામી મહારાજની મહિમાના અનેક ઉદાહરણો આપતાં તેમના અક્ષરબ્રહ્મ સ્વરૂપનો પરિચય આપ્યો.

બાળ-યુવાવૃંદે રસપ્રદ સંવાદ, ભક્તિમય કીર્તન અને ઉર્જાવાન નૃત્ય દ્વારા તેમના ગુરુ પ્રત્યે અગાધ સ્નેહ અર્પણ કર્યો. વીડિયોના માધ્યમથી મહંતસ્વામી મહારાજની જીવનકથા રજૂ કરવામાં આવી. તેમના દિવ્ય, કરુણામય, ભક્તિ-પરિપૂર્ણ, નિર્માણકારી ભાવ અને શાલીન વ્યક્તિત્વને તમામે વાસ્તવિક ઘટનાઓના માધ્યમથી જોયું.

આ પ્રસંગે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે તેમના આશીર્વચનમાં કહ્યું કે, “સ્વામિનારાયણ ભગવાને મુમુક્ષો પર અતિ કૃપા કરી છે અને આ પૃથ્વી પર માત્ર જીવોના કલ્યાણ માટે અવતાર લીધો છે. તેમના આ કાર્યને તેમણે પોતાના પછી ગુણાતીત સંતના માધ્યમથી ચાલુ રાખ્યું છે. ભગવાન સ્વામિનારાયણના ધારક સત્પુરુષનું પ્રાકટ્ય હંમેશા આ પૃથ્વી પર રહેશે.”

 


Related Posts

Load more