Gujarat Farmers : એક તરફ ગુજરાતનો ખેડૂત વિવિધ કુદરતી આફતો સામે પાકને બચાવવા ઝઝૂમી રહ્યો છે. ત્યા બીજી તરફ, સરકારે ખેડૂતોના માથા પર મોટો બોજો ઝીંક્યો છે. ઈક્ફોના ખાતરમાં આ વર્ષમાં બીજીવાર ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે. NPK ખાતરની એક થેલી પર 130 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. પહેલા એક થેલીનો ભાવ 1720 રૂપિયા હતો, જે હવે વધીને 1850 રૂપિયા થયો છે. ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોને સીધી અસર થશે.
રાજ્યના ખેડૂતો પર આવ્યો વધુ એક બોજ
ઈફ્કો કંપનીએ ખાતરના ભાવમાં તોતિંગ વધારો કર્યો. વર્ષ 2025 ની શરૂઆતથી જ ખેડૂતો પર મોંઘવારીનો માર ઝીંકાયો છે. વર્ષની શરૂઆતમાં જાન્યુઆરી મહિનામાં ઈફ્કોએ એનપીકે ખાતરમાં ભાવ વધારો કર્યો હતો. તેના છ મહિના બાદ જુલાઈના અંતમા ફરીથી ખાતરના ભાવ વધારી દેવાયા છે. ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોને સીધી અસર થશે. ઈફકો કંપની દ્વારા NPK ખાતરની થેલીએ 130 રૂપિયાનો વધારો કરાયો છે.
પહેલા એક થેલી પર – ૧૭૨૦ રૂપિયા હતા, હવે ભાવ વધારા બાદ ૧૮૫૦ રૂપિયા થયો છે. ત્યારે દક્ષિણ ગુજરાત ખેડૂત અગ્રણી જયેશભાઈ પટેલની સબસીડી આપવા માટે રજૂઆત કરી છે. યુરિયા ખાતરની જેમ પણ સબસીડી આપવામાં આવે તેવી માંગ કરી છે.
તો ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે, આ ભાવ વધારો ખેડૂતો માટે આત્મઘાતી નિવડશે. ખાતરની જરુર છે ત્યારે જ સરકારે ખેડૂતોને મોટો ઝટકો આપ્યો છે, આ ભાવ વધારાથી ખેડૂતો દેવાદાર બની જશે.
જાન્યુઆરી, 2025 માં કરાયો હતો ભાવવધારો
એનપીકે ખાતરનું ઉત્પાદન કરતી ઈફ્કો (ઇન્ડિયન ફાર્મસ ફર્ટિલાઇઝર કો-ઓપરેટીવ લિમિટેડ) દ્વારા વર્ષની શરૂઆતમા જાન્યુઆરી મહિનામાં એનપીકે ખાતરના ભાવમાં વધારો જાહેર કરાયો છે. અત્યાર સુધી ખેડુતોને એનપીકેની 50 કિલોની એક ગુણ 1470 રૂપિયામાં મળી રહેતી હતી. ત્યારે 50 કિલોની બોરીનો ભાવ 1720 રૂપિયા કરી દેવાયો હતો. અને હવે ફરીથી નવો ભાવવધારો લાગુ કર્યો છે.
સરકાર ખેડૂત વિરોધી છે ખેડૂતોને પીસી રહી છે – અમિત ચાવડા
ખાતરના ભાવ વધારા પર કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે, ખેડુત વિરોધી સરકાર છે. ખેતી માટે જરૂરી દરેક વસ્તુના ભાવ વધારાથી ખેડુત પાયમાલ બન્યો છે. કોંગ્રેસ ખાતરના ભાવ વધારા પર ખેડુતોનો અવાજ બનશે. હાલ પ્રજા બધી રીતે પિસાઈ રહી છે. 2014 પહેલા ભાજપ એમ કહેતી ૧૦૦ દિવસમાં મોંઘવારી ઘટાડીશું. ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરતા હતા. ખેડૂત આર્થિક રીતે પાયમાલ થયો છે. ખેડૂતને ઉત્પાદનના ભાવ નથી મળી રહ્યાં. મોંઘવારી સામે ખાતર ના ભાવ વધાર્યા છે. સરકાર ખેડૂત વિરોધી છે, ને ખેડૂતોને પીસી રહી છે. ખાતર મોંઘું, વીજળી મોંઘી, ખેતરની માપણીનો પ્રશ્ન ઉભો છે.