Ahmedabad Farki Lassi Video: અમદાવાદમાં આવેલી ખાણી-પીણીની જાણીતી બ્રાન્ડના ફરકી પાર્લરની ગંભીર બેદરકારી સામે આવી છે. મણિનગરમાં કૃષ્ણબાગ નજીક આવેલ પ્રખ્યાત ‘ફરકી’ (Farki) આઉટલેટમાંથી ખરીદેલી પેક્ડ મલાઈ લસ્સીમાંથી જીવાત નીકળવાનો મામલો સામે આવતા ગ્રાહકનો રોષ ભડક્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો ગ્રાહકે સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વ્રજ બારોટ નામના ગ્રાહક તેમના મિત્ર સાથે 4 સપ્ટેમ્બરની સાંજે મણિનગર સ્થિત ફરકી આઉટલેટ પર ગયા અને મલાઈ લસ્સીનો ઓર્ડર આપ્યો હતો. વ્રજ બારોટે જણાવ્યા મુજબ, તેમણે આશરે 4-5 ચમચી જેટલી લસ્સી પી લીધી હતી. ત્યારબાદ જ્યારે તેમણે બીજી ચમચી ભરી, ત્યારે લસ્સીની અંદરથી જીવાત બહાર આવતા જોઈ તેઓ ચોંકી ગયા હતા. તાત્કાલિક તેમણે વીડિયો પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો હતો.
આ ગંભીર ઘટના બાદ ગ્રાહકે આઉટલેટના સ્ટાફ અને મેનેજર સમક્ષ કડક શબ્દોમાં ફરિયાદ કરી હતી. શરૂઆતમાં આઉટલેટના કર્મચારીઓએ ગ્રાહકને લસ્સીના પૈસા રિફંડ કરવાની ઓફર કરી, પરંતુ ગ્રાહક વ્રજ બારોટે તેનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો. તેમણે આઉટલેટના સ્ટાફને જણાવ્યું કે, આ બાબત માત્ર પૈસાની નથી પરંતુ લોકોના સ્વાસ્થ્ય અને ફૂડ સેફ્ટી સાથે જોડાયેલી ગંભીર બેદરકારી છે.
ગ્રાહકે આ અંગે વિરોધ કર્યો, ત્યારે સ્ટાફે બચાવ કરતા લૂલો બચાવ કર્યો કે કદાચ આ જીવડા ઉપરથી લસ્સીમાં પડ્યા હશે. જોકે, ગ્રાહકે આ ખુલાસા સામે સવાલ ઉઠાવતા તાર્કિક દલીલ કરી હતી કે જો જીવડા ઉપરથી પડ્યા હોત તો તે સપાટી પર જ હોત, પરંતુ આ જીવડાં તો લસ્સીની અંદર તળિયેથી નીકળી રહ્યા છે. ત્યારબાદ જ્યારે ગ્રાહકે મેનેજર સાથે વાત કરવાની માંગ કરી, ત્યારે મેનેજરે પણ આ ગંભીર બાબતને હળવાશથી લેતા જણાવ્યું કે જીવડાં લસ્સીમાં ભૂલથી આવી ગયા હશે.
આ મામલે ગ્રાહકે સીધી રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના ફૂડ વિભાગમાં કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાવી ન હતી. પરંતુ સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો વ્યાપક પ્રમાણમાં વાયરલ થયા બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગના મુખ્ય અધિકારી ડૉ. તેજસ શાહે સત્તાવાર નિવેદન આપતા જણાવ્યું હતું કે, “અમે આ સમગ્ર બાબતની ગંભીરતાથી તપાસ કરી રહ્યા છીએ.