દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલ મેચમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શ્રીલંકાને 72 રનથી હરાવીને એશિયા કપ 2026નો ખિતાબ જીતી લીધો છે. ભારતીય મહિલા ખેલાડીઓએ મેદાન પર શાનદાર પ્રદર્શન કરીને ટ્રોફી પોતાના નામે કરી, પરંતુ વિજેતા બન્યા પછી પણ ટ્રોફી ભારતીય ટીમના હાથમાં નથી આવી શકી. આ ઘટનાએ વર્ષ 2025ના મેન્સ એશિયા કપની યાદો તાજી કરી દીધી છે.
મેચ પૂરી થયા બાદ એશિયન ક્રિકેટ કાઉન્સિલના ચેરમેન અને પીસીબી પ્રમુખ મોહસિન નકવી સ્ટેડિયમ પહોંચ્યા હતા. મોહસિન નકવી વિજેતા ભારતીય ટીમને પોતાના હસ્તે ટ્રોફી આપવા માંગતા હતા. પરંતુ બીસીસીઆઈ આ વાત પર સહમત ન થઈ. ભારતીય પક્ષે અન્ય કોઈ અધિકારીના હસ્તે ટ્રોફી અપાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જો કે, ભારતનો પ્રસ્તાવ સ્વીકારવામાં આવ્યો ન હતો. આ કારણે સ્ટેડિયમમાં લાંબો સમય સુધી ગતિરોધ ચાલુ રહ્યો હતો.
આ વિવાદના કારણે પુરસ્કાર વિતરણ સમારોહમાં અત્યંત મોડું થયું હતું. મોહસિન નકવીએ માત્ર શ્રીલંકાની ટીમને રનર અપ ચેક આપ્યો હતો. ભારતીય ટીમ અને કેપ્ટન હરમનપ્રિત કૌરને ટ્રોફી તથા મેડલ્સ આપ્યા વગર જ સમારોહ પૂર્ણ જાહેર કરાયો હતો. બીજી બાજુ બીસીસીઆઈના સચિવ દેવજીત સૈકિયા અને ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા સ્ટેડિયમમાં હાજર હતા, પરંતુ તેઓ મંચ પર ગયા ન હતા.
ભારતીય મહિલા ટીમજી કોચ અમોલ મજુમદારે આ મામલે સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું કે ટીમ બીસીસીઆઈના નિર્ણયની સાથે મજબૂતીથી ઊભી છે. સ્ટેડિયમની મોટી સ્ક્રીન પર ભારતને ચેમ્પિયન જાહેર કરવામાં આવ્યું હતું. ટીમનું મુખ્ય ધ્યાન હવે આગામી એશિયન ગેમ્સ પર છે અને ખેલાડીઓ પોતાના શાનદાર પ્રદર્શનથી ખુશ છે.