નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં જંગલ જમીનના ખેડાણ અને અધિકારોને લઈને શરૂ થયેલો વિવાદ વધુ ઘેરો બન્યો છે. ધોધમાર ચાલુ વરસાદ હોવા છતાં આદિવાસી ખેડૂતો અને સ્થાનિક ગ્રામજનો પોતાના હક માટે ગાંધી ચિંધ્યા માર્ગે અહિંસક આંદોલન પર અડગ ઊભા છે. ચોમાસાની ઋતુમાં ખુલ્લામાં ધરણાં કરી રહેલા આદિવાસીઓએ જણાવ્યું હતું કે આસપાસના જંગલ વિસ્તારમાંથી દીપડા અને ઝેરી વીંછી જેવા હિંસક વન્યજીવો પણ દેખાઈ રહ્યા છે. આમ છતાં, જીવના જોખમે પણ લોકો પોતાના અધિકાર માટે આંદોલન સ્થળ પરથી હટવા તૈયાર નથી.
જંગલ જમીન પરના પરંપરાગત ખેડાણના અધિકારોનો આ પ્રશ્ન આદિવાસી સમાજની રોજીરોટી સાથે સીધો જોડાયેલો છે. આ લડતમાં હવે વિવિધ સામાજિક અને રાજકીય આદિવાસી આગેવાનોનું પણ પૂર્ણ સમર્થન સાંપડી રહ્યું છે. ગ્રામજનોનું કહેવું છે કે જંગલ જમીન જ તેમની આજીવિકાનો મુખ્ય સ્ત્રોત છે. એક તરફ આદિવાસીઓ ભારે મુશ્કેલીઓ વચ્ચે આંદોલન કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ સરકાર દ્વારા હજુ સુધી કોઈ સ્પષ્ટ ઉકેલ કે વલણ દાખવવામાં ન આવતાં સમગ્ર આદિવાસી વિસ્તારના લોકોમાં ભારે ચિંતા અને અસંતોષ વ્યાપ્યો છે.
સાગબારાના 12થી વધુ ગામોના હજારો આદિવાસી પરિવારો વર્ષોથી જે જમીન પર ખેતી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે, તે જમીનના કાયદેસરના હક ન મળતાં તેમનું ભવિષ્ય અંધકારમય બન્યું છે. ગાંધીવાદી પદ્ધતિથી ચાલી રહેલા આ આંદોલનને વહીવટી તંત્ર કે સરકાર ક્યારે સાંભળશે અને આટલા દિવસોથી ચાલી રહેલા સળગતા પ્રશ્નનો આખરે શું આદરણીય અને કાયમી નિવેડો આવશે તે એક મોટો પ્રશ્નાર્થ બનીને ઊભો રહ્યો છે.