સુરત: નાસીરનગર ભૂતિયા ડિમોલિશનમાં હાઈકોર્ટનું કડક વલણ, કહ્યું-‘ઉચ્ચ અધિકારીઓએ ભારે કિંમત ચૂકવવી પડશે’

By: Nation Gujarat Team
10 Aug, 2026

Surat Nasirnagar Encroachments: સુરતના નાસીરનગર ભૂતિયા ડિમોલિશન કેસમાં હાઈકોર્ટે ફરી એકવાર સરકાર, કોર્પોરેશન અને પોલીસનો કડક ઉધડો લીધો છે. કોર્ટે સરકારને સ્પષ્ટ શબ્દોમાં તાકીદ કરી હતી કે જો કોઈ ઉચ્ચ સરકારી અધિકારી આ બાબતમાં સ્વેચ્છાએ યોગ્ય અને સાચો જવાબ નહીં આપે તો તેણે તેની ભારે કિંમત ચૂકવવી પડશે. અધિકારીઓએ પોતાની નોકરી પણ ગુમાવવી પડી શકે છે અને આ ખર્ચ પોતાના અંગત ખિસ્સામાંથી ચૂકવવો પડશે. કોર્ટે ઉમેર્યું હતું કે જો અધિકારીઓએ આવું સાહસ કરવું જ હતું, તો હવે તેની કિંમત પણ તેમણે જ ચૂકવવી પડશે, સરકાર આ માટે જનતાના રૂપિયા નહીં બગાડે.

આ મામલો મે મહિનામાં વેદ દરવાજા વિસ્તારમાં આવેલા નાસીરનગરમાં 100થી વધુ મકાનો તોડી પાડવા સાથે જોડાયેલો છે. રહીશોએ આરોપ લગાવ્યો હતો કે યોગ્ય પ્રક્રિયાને અનુસર્યા વિના જ આ બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા, જે બાદ આ મામલે કાનૂની વિવાદ શરૂ થયો હતો. આ સમગ્ર ઘટનામાં રાજ્ય વહીવટીતંત્ર, સુરત પોલીસ અને સુરત મનપાના સત્તાધીશોની ભૂમિકાની તપાસ ગોકળ ગતિએ ચાલી છે.

હાઈકોર્ટે અધિકારીઓને વ્યક્તિગત જવાબદારીની આપી ચેતવણી

આજે સોમવારે થયેલી સુનાવણી દરમિયાન, કોર્ટે સત્તાવાળાઓની આકરી ટીકા કરી હતી અને ચેતવણી આપી હતી કે જો વરિષ્ઠ અધિકારીઓ કોર્ટ સમક્ષ યોગ્ય અને સચોટ જવાબો આપવામાં નિષ્ફળ જશે તો તેમણે ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે. કોર્ટે અવલોકન કર્યું હતું કે જો જવાબદાર વરિષ્ઠ અધિકારીઓ તેના નિર્દેશોનું પાલન કરવામાં નિષ્ફળ જશે, તો તેમણે નોકરી ગુમાવવી પડી શકે છે અને આ બાબતમાંથી ઉદ્ભવતા ખર્ચ માટે વ્યક્તિગત નાણાકીય જવાબદારીનો સામનો કરવો પડી શકે છે. સરકારી અધિકારીઓની ક્ષતિઓના પરિણામે થતા ખર્ચને પહોંચી વળવા માટે જાહેર નાણાંનો ઉપયોગ થવો જોઈએ નહીં.

રહીશોના પુનર્વસન માટે પગલાં લેવા નિર્દેશ

આ મામલો હજુ પણ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ વિચારાધીન છે, જેમાં કોર્ટે ડિમોલિશન અને આ કાર્યવાહી માટેની જવાબદારી અંગે સંબંધિત સત્તાવાળાઓ પાસેથી સ્પષ્ટ જવાબો માંગ્યા છે. ડિમોલિશનથી પ્રભાવિત થયેલા રહીશોના પુનર્વસન માટે પગલાં લેવા જવાબદાર સંસ્થાને નિર્દેશ આપ્યો છે.

26 પીડિતોએ ન્યાય મેળવવા માટે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા

મહત્વનું છે કે સુરતના નાસીરનગરમાં થયેલા વિવાદિત અને ભૂતિયા ડિમોલિશનના વિરોધમાં 26 પીડિતોએ ન્યાય મેળવવા માટે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. અરજદારોએ આ કાયદાકીય લડાઈમાં રાજ્ય સરકાર, સુરત મહાનગરપાલિકા (SMC), સુરત પોલીસ કમિશનર, એસ.ઓ.જી.ના ડી.સી.પી. રાજદીપસિંહ નકુમ તેમજ ટોરેન્ટ પાવર કંપની સહિતના પક્ષકારો સામે પિટીશન દાખલ કરી છે.


Related Posts

Load more