યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ શું BCCI કોચ ગૌતમ ગંભીરની કરશે હકાલપટ્ટી ?

By: Nation Gujarat Team
21 Jul, 2026

head coach: ટીમ ઈન્ડિયાનો યુકે (UK) પ્રવાસ અત્યંત નિરાશાજનક સાબિત થયો છે. આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામે રમાયેલી કુલ 10 મેચોમાંથી ભારતીય ટીમ માત્ર 1 જ મેચમાં જીત મેળવી શકી છે. આ કંગાળ પ્રદર્શન વચ્ચે હવે એવા સમાચાર છે કે મુખ્ય કોચ ગૌતમ ગંભીર આગામી ઝિમ્બાબ્વે પ્રવાસ અને એશિયન ગેમ્સમાં ટીમ ઈન્ડિયાના કોચ તરીકે જોવા નહીં મળે. તેમની ગેરહાજરીમાં ભારતના દિગ્ગજ પૂર્વ ક્રિકેટર અને BCCI ના સેન્ટર ઓફ એક્સેલન્સના વડા VVS લક્ષ્મણ મુખ્ય કોચ તરીકે ટીમની જવાબદારી સંભાળશે.

યુકે પ્રવાસમાં ટીમ ઈન્ડિયાની સ્થિતિ પર નજર કરીએ તો, સૌથી પહેલા શ્રેયસ ઐયરની આગેવાનીમાં ભારતીય T20 ટીમે આયર્લેન્ડનો પ્રવાસ ખેડ્યો હતો. અહીં ભારતનો 0-2 થી કારમો પરાજય થયો હતો. આ પછી ટીમ ઈંગ્લેન્ડ પહોંચી, જ્યાં 5 મેચની T20 સિરીઝમાં પણ ભારતને 0-4 થી શરમજનક હારનો સામનો કરવો પડ્યો. ત્યારબાદ, શુભમન ગિલની કેપ્ટનશિપમાં ઈંગ્લેન્ડ સામે રમાયેલી ODI સિરીઝમાં પણ ભારતીય ટીમ 1-2 થી હારી ગઈ. આમ, આખા યુકે પ્રવાસમાં રમાયેલી 10 મેચોમાંથી ટીમ ઈન્ડિયા માંડ 1 મેચ જીતી શકી.

આ ખરાબ પ્રદર્શનના કારણે ગૌતમ ગંભીરને કોચ પદેથી હટાવવામાં નથી આવ્યા, પરંતુ તેમને આગામી શ્રેણીઓ માટે આરામ આપવામાં આવ્યો છે. 23 જુલાઈથી શરૂ થઈ રહેલી ઝિમ્બાબ્વે સામેની સિરીઝ માટે ગંભીરને બ્રેક અપાયો છે. આ ઉપરાંત 19 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર દરમિયાન એશિયન ગેમ્સ પણ રમાવાની છે, જેમાં પણ ગંભીર કોચ તરીકે નહીં જાય. આ સમયગાળા દરમિયાન દિગ્ગજ ક્રિકેટર VVS લક્ષ્મણ ભારતીય ટીમના હેડ કોચનો કાર્યભાર સંભાળશે.એશિયન ગેમ્સ અને વેસ્ટ ઈન્ડિઝ સિરીઝની તારીખો ટકરાઈ

એશિયન ગેમ્સમાં ગંભીર કોચ કેમ નહીં હોય તેનું મુખ્ય કારણ સમયપત્રકનો ટકરાવ છે. એક તરફ 19 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર સુધી એશિયન ગેમ્સ ચાલશે, તો બરાબર એ જ સમયે વેસ્ટ ઈન્ડિઝની ટીમ ભારત પ્રવાસે આવવાની છે. 27 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર સુધી ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 5 T20 અને 3 ODI મેચોની સિરીઝ રમાશે. આ સિરીઝની તારીખો એશિયન ગેમ્સ સાથે ટકરાતી હોવાથી, VVS લક્ષ્મણ એશિયન ગેમ્સમાં રમવા જનારી ટીમ ઈન્ડિયાના કોચ રહેશે, જ્યારે ગૌતમ ગંભીર વેસ્ટ ઈન્ડિઝ સામેની હોમ સિરીઝ માટે મુખ્ય ભારતીય ટીમ સાથે જ હાજર રહેશે


Related Posts

Load more