Rajkot TRP Game Zone Case: ગુજરાતને હચમચાવી દેનારી રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે આજે રાજકોટ મહાનગરપાલિકા (RMC) ના કમિશનરે એક ઐતિહાસિક અને અત્યંત કડક નિર્ણય લઈને અગ્નિકાંડ માટે જવાબદાર 6 ભ્રષ્ટ અધિકારીઓને તાત્કાલિક અસરથી નોકરીમાંથી ડિસમિસ (બરતરફ) કરવાનો આદેશ કર્યો છે, જ્યારે પૂર્વ ટાઉન પ્લાનર મનસુખ સાગઠિયાના તમામ ભથ્થાં રદ કરીને માત્ર પ્રોવિઝનલ પેન્શન આપવાની જાહેરાત કોર્ટમાં કરી છે.
એબીપી અસ્મિતાના સતત અહેવાલો અને જનતાના આક્રોશના દબાણ હેઠળ તંત્રએ સામાન્ય રીતે જોવા મળતા માત્ર સસ્પેન્શનના બદલે સીધા ડિસમિસલની આ પ્રથમ અને સૌથી મોટી દાખલારૂપ કાર્યવાહી કરી છે.
રાજકોટ મનપાના ઇતિહાસમાં આ પહેલો એવો કિસ્સો છે જ્યાં અગાઉ સસ્પેન્ડ કરાયેલા અધિકારીઓને ગુનાની ગંભીરતા જોતાં સીધા જ નોકરીમાંથી કાયમ માટે બરતરફ કરી દેવામાં આવ્યા છે. મનપા કમિશનર દ્વારા લેવાયેલા આ આકરા પગલાની સત્તાવાર જાણકારી કોર્ટ સમક્ષ પણ રજૂ કરવામાં આવી છે, જેનાથી કાયદાકીય મોરચે પણ દોષિતોની મુશ્કેલીઓ વધી ગઈ છે. મનપા દ્વારા ડિસમિસ કરાયેલા અધિકારીઓમાં મુખ્ય ફાયર ઓફિસર રોહિત વિગોળા, ટાઉન પ્લાનિંગના અધિકારી ગૌતમ જોશી, મુકેશ મકવાણા, જયદીપ ચૌધરી અને રાજેશ મકવાણાનો સમાવેશ થાય છે.
અગાઉ સસ્પેન્ડ કરાયેલા પાંચ ભ્રષ્ટ અધિકારીઓને રાજકોટ મનપા કમિશનર દ્વારા અદાલત સમક્ષ સત્તાવાર જાણકારી આપીને સેવામાંથી કાયમી ધોરણે ડિસમિસ કરી દેવામાં આવ્યા છે. પીડિત પરિવારોને ન્યાય અપાવવા અને વહીવટી તંત્રમાં દાખલારૂપ કડક પગલાં લેવાના હેતુથી તાજેતરમાં કોર્ટ કાર્યવાહી દરમિયાન રાજકોટ મહાનગરપાલિકા ખાતે આ અભૂતપૂર્વ આદેશ જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાતના વહીવટી ઈતિહાસમાં અગાઉ સસ્પેન્ડ કરાયેલા અધિકારીઓને આટલા મોટા પાયે સીધા જ નોકરીમાંથી બરતરફ (ડિસમિસ) કરવાનો આ પ્રથમ ઐતિહાસિક કિસ્સો છે.
ભ્રષ્ટ બાબુઓ સામે મનપાનો કડક સકંજો
એબીપી અસ્મિતાના સતત સચોટ અને સત્ય અહેવાલોના કારણે તંત્ર આ આકરી કાર્યવાહી કરવા માટે મજબૂર બન્યું છે. મનપાના આદેશ અનુસાર ડિસમિસ કરાયેલા મુખ્ય અધિકારીઓમાં ફાયર ઑફિસર રોહિત વિગોળા, ટાઉન પ્લાનિંગ (TP) વિભાગના અધિકારી ગૌતમ જોશી, મુકેશ મકવાણા, જયદીપ ચૌધરી અને રાજેશ મકવાણાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, સૌથી ભ્રષ્ટ અને વિવાદાસ્પદ ભૂતપૂર્વ અધિકારી મનસુખ સાગઠિયા સામે કડક વલણ અપનાવતા તેના તમામ ભથ્થા તાત્કાલિક અસરથી રદ કરવામાં આવ્યા છે, અને તેને માત્ર પ્રોવિઝનલ પેન્શન જ મળશે.
આ અગ્નિકાંડ નહીં પણ હત્યાકાંડ છે: વશરામ સાગઠિયા
આ મોટી કાર્યવાહી બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા વશરામ સાગઠિયાએ મીડિયાનો આભાર માનતા જણાવ્યું હતું કે, માધ્યમોની મહેનતના કારણે જ આજે અધિકારીઓ પર આકરા પગલાં લેવાયા છે. તેમણે આ ઘટનાને અગ્નિકાંડ નહીં પણ તંત્ર પ્રેરિત ‘હત્યાકાંડ’ ગણાવ્યો હતો અને ઉમેર્યું હતું કે હજુ પણ પડદા પાછળના અનેક જવાબદારો સામે કડક કાર્યવાહી થવી જરૂરી છે. બીજી તરફ વકીલ પરશોત્તમ પીપળીયાએ પણ એબીપી અસ્મિતાની ન્યાયની લડતને બિરદાવી જણાવ્યું હતું કે, આ નિર્ણયથી પીડિત પરિવારોને મોટી રાહત મળી છે અને ન્યાય પ્રણાલી પર ભરોસો વધ્યો છે.