આપમાં પંજાબની સાથે દિલ્હીમાં પણ નવો પડકાર ઊભો થઈ ગયો છે. અત્યાર સુધી આપના મજબૂત ગઢ દિલ્હીમાં પણ ૨૨ ધારાસભ્યો પક્ષ છોડીને ભાજપમાં જોડાય તેવી શક્યતા છે. ભાજપમાં જોડાયેલા સાંસદ રાઘવ ચઢ્ઢાએ આ અંગે સંકેતો આપ્યા છે. પક્ષના આંતરિક સૂત્રો મુજબ હવે આપ માટે દિલ્હીમાં સંગઠનને જાળવી રાખવાનો પડકાર ઊભો થયો છે. આ સિવાય આપ માટે હવે પક્ષ છોડનારા સાત નેતાઓના સ્થાને કયા નેતાઓને જગ્યા આપવી તેની ઓળક કરવાની પ્રાથમિક્તા છે.
આપમાં આવેલા રાજકીય ભૂકંપ વચ્ચે વરિષ્ઠ નેતા અને સાંસદ સંજય સિંહે શનિવારે રાજ્યસભાના અધ્યક્ષને પત્ર લખીને રાઘવ ચઢ્ઢા સહિત પક્ષ છોડનારા સાત સાંસદોને ગૃહમાં અયોગ્ય જાહેર કરવાની માગ કરી છે. તેમણેે કહ્યું, પક્ષપલટા કાયદો સ્પષ્ટ કહે છે કે રાજ્યસભા અને લોકસભામાં કોઈપણ પ્રકારનું વિભાજન અથવા જૂથબંધી ના થઈ શકે. તેને કોઈ કાયદાકીય માન્યતા મળતી નથી. પછી ભલે તે બે-તૃતિયાંશ કેમ ના હોય.
આપમાં આ હોબાળા વચ્ચે પક્ષ છોડનારાં સાંસદ સ્વાતિ માલીવાલ શનિવારે ભાજપમાં જોડાયાં હતાં. તેમણે કહ્યું અરવિંદ કેજરીવાલના સંરક્ષણમાં આપમાં અસાધારણ ભ્રષ્ટાચાર, મહિલાઓ પર અત્યાચાર, ગુંડા તત્વોને પ્રોત્સાહન વધ્યા છે. પંજાબની સાથે છેતરપિંડી થઈ રહી છે અને આ લૂટંફાટ જોતા તેમણે પક્ષ છોડીને ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. જે સિદ્ધાંતો, મૂલ્યો અને પ્રમાણિક રાજકારણના સંકલ્પ સાથે અમે આપની સ્થાપના કરી હતી, તે પક્ષ અરવિંદ કેજરીવાલના ઈશારે આદર્શોથી ભટકી ગયો છે.