US Iran Peace Talks : મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને રોકવા માટે પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં શાંતિ મંત્રણાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. અમેરિકા અને ઈરાન વચ્ચેની અત્યંત મહત્વપૂર્ણ ગણાતી શાંતિ મંત્રણા કોઈ પણ નક્કર પરિણામ વગર પૂર્ણ થઈ છે. બે અઠવાડિયાના યુદ્ધવિરામ બાદ બંને દેશોના પ્રતિનિધિમંડળો કોઈ કરાર પર પહોંચવામાં નિષ્ફળ રહ્યા છે, જેના કારણે વૈશ્વિક સ્તરે ફરી ચિંતાના વાદળો ઘેરાયા છે.
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સે (US Vice President JD Vance) રવિવારે, 12 એપ્રિલના રોજ એક પ્રેસ કોન્ફરન્સ (Press Conference)ને સંબોધિત કરતા આ અંગે સ્પષ્ટતા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, “ઈરાન અમેરિકાની શરતો સ્વીકારવા તૈયાર નથી. મંત્રણામાં રહેલી ખામીઓ અને અવરોધોને કારણે અમે કોઈ પણ સોદા વગર વોશિંગ્ટન પરત ફરી રહ્યા છીએ.” વાન્સે ઉમેર્યું હતું કે આ સ્થિતિ અમેરિકા કરતાં ઈરાન માટે વધુ નુકસાનકારક સાબિત થઈ શકે છે.
આ વાટાઘાટોમાં મધ્યસ્થી તરીકે પાકિસ્તાન (Pakistan)ની ભૂમિકા અંગે વાન્સે સકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો. તેમણે કહ્યું કે, “પાકિસ્તાને મતભેદો ઉકેલવામાં શાનદાર ભૂમિકા ભજવી છે. અમે સતત 21 કલાક સુધી ચર્ચાઓ કરી, પરંતુ ઈરાની પ્રતિનિધિમંડળ (Iranian Delegation) અમારી મહત્વપૂર્ણ શરતો પર સંમત થયું નથી.” ઉલ્લેખનીય છે કે, મધ્ય પૂર્વમાં શાંતિ સ્થાપવા માટે આ મંત્રણાને ખૂબ જ મહત્વની માનવામાં આવતી હતી, પરંતુ હાલ પૂરતી આ આશા પર પાણી ફરી વળ્યું છે.