સુરતના લસકાણા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના પ્રવક્તા કાળુ વઘાસિયા સામે દુષ્કર્મ અને ધમકીની ફરિયાદ નોંધાતા રાજકીય આલમમાં ખળભળાટ મચી ગયો છે. ‘પત્નીને છૂટાછેડા આપી તારી સાથે લગ્ન કરીશ’ તેવી માયાજાળ રચીને પ્રવક્તાએ પરિણીત મહિલાનું શારીરિક શોષણ કર્યું હતું.
લસકાણા વિસ્તારમાં રહેતી પીડિત મહિલાનો સંપર્ક કાળુ ચતુરભાઈ વઘાસિયાએ ડિસેમ્બર, 2024માં સોશિયલ મીડિયાના માધ્યમથી કર્યો હતો. શરૂઆતમાં સામાન્ય હાય-હેલોથી શરૂ થયેલી વાતચીત બાદ કાળુએ મહિલા સાથે નિકટતા કેળવી હતી. રાજકીય વગ ધરાવતા કાળુએ પોતાની મીઠી વાતોમાં મહિલાને વિશ્વાસમાં લીધી હતી.
કાળુ વઘાસિયાએ મહિલા સમક્ષ પોતાના અંગત જીવનનું દુઃખ રડ્યું હતું. તેણે જણાવ્યું હતું કે, તેને તેની પત્ની સાથે બનતું નથી અને પત્ની લાંબા સમયથી પિયરમાં રહે છે. હું ટૂંક સમયમાં પત્નીને છૂટાછેડા આપી દઈશ અને તારી સાથે લગ્ન કરી તને પત્ની તરીકે સ્વીકારીશ તેવી લાલચ આપી મહિલાને પ્રેમજાળમાં ફસાવી હતી. લગ્નના વાયદા પર વિશ્વાસ કરીને મહિલા કાળુ સાથે સંબંધમાં રહી હતી. આરોપી કાળુ મહિલાને તેના ઘરે તેમજ શહેરની અલગ-અલગ હોટેલોમાં લઈ ગયો હતો. ત્યાં લગ્નની લાલચ આપી અવારનવાર મહિલાની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યા હતા. લાંબો સમય શોષણ કર્યા બાદ જ્યારે મહિલાએ લગ્ન માટે દબાણ કર્યું, ત્યારે આરોપીએ પોતાના અસલી તેવર બતાવ્યા હતા.
મહિલાએ લગ્ન કરવાનું કહેતા જ કાળુ વઘાસિયા ઉશ્કેરાઈ ગયો હતો અને બિભત્સ ગાળો આપી લગ્ન કરવાનો સાફ ઇનકાર કરી દીધો હતો. આરોપીએ મહિલાને ડરાવવા માટે ધમકી આપતા કહ્યું હતું કે, જો તું પોલીસમાં ફરિયાદ કરીશ તો હું તુષાર ઘેલાણીની જેમ મરી જઈશ અને તને તથા તારા દીકરાને જીવવું અઘરું પાડી દઈશ.
આખરે કાળુના ત્રાસ અને ધમકીથી કંટાળીને મહિલાએ લસકાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આમ આદમી પાર્ટીના પ્રવક્તા વિરુદ્ધ રેપ અને જાનથી મારી નાખવાની ધમકી હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રાજકીય હોદ્દો ધરાવતા વ્યક્તિ સામે ગંભીર આક્ષેપો થતા લસકાણા પોલીસ અત્યારે પૂરાવાઓ એકત્રિત કરી રહી છે. સુરતના અગ્રણી બિલ્ડર તુષાર ઘેલાણીએ 1 ફેબ્રુઆરી, 2026ના રોજ પૂનમ ભદોરિયા નામની મહિલા મિત્રના બ્લેકમેઈલિંગ અને આર્થિક છેતરપિંડીથી કંટાળીને લાઈસન્સવાળી રિવોલ્વરથી આત્મહત્યા કરી હતી. દીકરીના કંકોત્રી લેખનના દિવસે જ બનેલી આ ઘટનાએ ખુશીના પ્રસંગને શોકમાં ફેરવી દીધો હતો. મગજના ડાબા ભાગે વાગેલી 9 mmની બુલેટ મગજની આરપાર નીકળી ગઈ હતી અને 5 દિવસની સારવાર બાદ ‘બ્રેઈનડેડ’ જાહેર થતાં તેમનું મૃત્યુ થયું હતું.
પૂનમ ભદોરિયા તુષાર ઘેલાણીને બ્લેકમેઈલિંગ કરી તેમની પાસેથી દુકાનો અને મિલકતો પડાવી રહી હતી, અને દીકરીના લગ્નમાં હોબાળો કરવાની પણ ધમકી આપી હતી. પૂનમ ભદોરિયા અને તેના પરિવારે બ્લૂ પેપિલોન સ્કૂલના વ્યવહારોમાં આશરે ₹2.24 કરોડથી વધુની રકમ પડાવી હોવાનું તપાસમાં સામે આવ્યું છે.