9 પોલીસકર્મીને ફાંસી: લોકડાઉન સમયે પિતા-પુત્રની કસ્ટડીમાં હત્યા મામલે ઐતિહાસિક ચુકાદો

By: Nation Gujarat Team
07 Apr, 2026

Sathankulam Case Verdict | વર્ષ 2020 માં સમગ્ર દેશને હચમચાવી દેનારા તમિલનાડુના સાથનકુલમ કસ્ટોડિયલ ડેથ કેસમાં મદુરાઈની એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. જસ્ટિસ જી. મુથુકુમારને પિતા પી. જયરાજ અને પુત્ર જે. બેનિક્સની હત્યાના ગુનામાં તત્કાલીન ઈન્સ્પેક્ટર એસ. શ્રીધર સહિત તમામ 9 પોલીસકર્મીઓને ફાંસીની સજા ફટકારી છે.

શું હતી આખી ઘટના?

19 જૂન, 2020: લોકડાઉન દરમિયાન નિર્ધારિત સમય કરતા વધુ સમય દુકાન ખુલ્લી રાખવાના આરોપમાં જયરાજ અને બેનિક્સની અટકાયત કરાઈ

પોલીસ સ્ટેશનમાં અત્યાચાર: રાત્રિ દરમિયાન પોલીસ સ્ટેશનમાં બંનેને બેરહેમીથી માર મારવામાં આવ્યો

ક્રૂરતાની પરાકાષ્ઠા: પિતા અને પુત્રને બદલાની ભાવનાથી નગ્ન કરી બેરહેમીથી પીટવામાં આવ્યા હતા

મોત: 22 જૂને પુત્ર બેનિક્સ અને 23 જૂને પિતા જયરાજનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું

આ કેસમાં હાઈકોર્ટે સુઓમોટો અરજી કરી હતી અને તપાસ CBIને સોંપી હતી. તપાસ દરમિયાન એવું પણ સામે આવ્યું હતું કે સ્થાનિક પોલીસ કર્મચારીઓ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને તપાસમાં સહકાર આપી રહ્યા નહોતા, જેના કારણે હાઈકોર્ટે રેવન્યુ ઓફિસરને પોલીસ સ્ટેશનનો કબજો લેવા આદેશ આપ્યો હતો. આ આદેશ ભારતીય પોલીસ ઈતિહાસમાં અત્યંત દુર્લભ હતો.

અંતે પિતા-પુત્રને ન્યાય મળ્યો

અદાલતે નોંધ્યું કે જો હાઈકોર્ટની બેન્ચ દ્વારા સતત દેખરેખ ન રાખવામાં આવી હોત, તો કદાચ સત્ય ક્યારેય બહાર ન આવ્યું હોત. પોલીસ વિભાગમાં કડક સંદેશ પહોંચાડવા માટે આજીવન કેદની સજા પૂરતી નથી, તેથી ફાંસી અનિવાર્ય છે.

દોષિત પોલીસકર્મીઓનું લિસ્ટ 

ઈન્સ્પેક્ટર એસ. શ્રીધર, સબ-ઈન્સ્પેક્ટર કે. બાલકૃષ્ણન અને પી. રઘુ ગણેશ, હેડ કોન્સ્ટેબલ એસ. મુરુગન અને એ. સમદુરાઈ, તેમજ કોન્સ્ટેબલ એમ. મુથુરાજા, એસ. ચેલાદુરાઈ, એક્સ થોમસ ફ્રાન્સિસ અને એસ. વેલમુથુ. (10મો દોષિત પાલદુરાઈ 2020 માં કોવિડથી મૃત્યુ પામ્યો હતો)


Related Posts

Load more