ગુજરાતની રાજનીતિમાં મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીની ગુજરાત પોલીસે ધરપકડ કરી લીધી છે. આ દાવો અરવિંદ કેજરીવાલ સહિત અન્ય આપના નેતાઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે. કેજરીવાલે એક્સ પર પોસ્ટ કરી ગુજરાત સરકાર પર નિશાન સાધતા લખ્યું, ‘આજે અમારા રાજ્ય અધ્યક્ષ ઈસુદાન ગઢવીની ધરપકડ કરવામાં આવી. હવે ગુજરાતની એક-એક વ્યક્તિ તેનો બદલો લેશે.’
160 આપ કાર્યકર્તાઓની થઈ ચુકી છે ધરપકડ
કેજરીવાલે એક્સ પર ગંભીર આરોપ લગાવતા લખ્યું- છેલ્લા ત્રણ મહિનામાં ગુજરાતમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ વિરુદ્ધ 145 FIR દાખલ થઈ છે. 160થી વધુ કાર્યકર્તાઓને ભાજપ સરકાર દ્વારા ધરપકડ કરવામાં આવી છે. કેજરીવાલનું કહેવું છે કે ભાજપ ગુજરાતમાં હારના ડરથી તાનાશાહી પર ઉતરી આવી છે.
ભાજપની પોલીસ ખોટા કેસ કરી રહી છે
દિલ્હી વિધાનસભામાં નેતા વિપક્ષ આતિશીએ ધરપકડનો ઉલ્લેખ કરતા લખ્યું- અત્યારે સમાચાર આવ્યા છે કે આપના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીની ધરપકડ કરવામાં આવી છે. આતિશીનું કહેવું છે કે ગુજરાતના લોકો ભાજપથી પરેશાન છે અને 2027મા તેને હટાવવાનું મન બનાવી ચૂક્યા છે. તેથી તેનો મજબૂત વિરોધ કરતી આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ પર ભાજપની પોલીસ ખોટા કેસ કરી રહી છે.