BREAKING: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર, 26 એપ્રિલે મતદાન, 28મીએ મત ગણતરી

By: Nation Gujarat Team
01 Apr, 2026

Gujarat Local Body Election: ગુજરાતમાં લાંબા સમયથી જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી તે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું ચિત્ર આખરે સ્પષ્ટ થઈ ગયું છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આજે બુધવારે(1 એપ્રિલ, 2026) સાંજે ગાંધીનગર ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં રાજ્યની 15 મહાનગરપાલિકાઓ (જૂનાગઢ અને ગાંધીનગર સિવાય તમામ), 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતો માટેનો ચૂંટણી કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. મતદાન 26 એપ્રિલ, 2026 યોજાશે, જ્યારે મત ગણતરી 28 એપ્રિલે હાથ ધરાશે. આ વખતની ચૂંટણીમાં ઓબીસી (OBC) અનામત બેઠકોના નવા રોટેશનનો અમલ કરાશે.

ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીની જાહેરાત

મનપા: 15 (જૂનાગઢ અને ગાંધીનગર સિવાય તમામ

જિલ્લા પંચાયત: 34

તાલુકા પંચાયત: 260 (17 નવી તાલુકા પંચાયત સહિત)

નગર પાલિકા: 84

મતદારો: 4 કરોડ 18 લાખ 91 હજાર 700

આચાર સંહિતા: આજથી અમલી

ચૂંટણી કાર્યક્રમ પર એક નજર

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરાયેલ વિગતો મુજબ ચૂંટણીનું શિડ્યુલ પર નજર કરીએ તો..

ચૂંટણીનું જાહેરનામું: 6 એપ્રિલ, 2026

ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 11 એપ્રિલ, 2026

ફોર્મની ચકાસણી: 13 એપ્રિલ, 2026

ઉમેદવારી ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ: 15 એપ્રિલ

મતદાનની તારીખ: 26 એપ્રિલ, 2026

મતગણતરી અને પરિણામ: 28 એપ્રિલ, 2026

નવી મહાનગરપાલિકાઓમાં પ્રથમ વખત યોજાશે ચૂંટણી

રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જે 8 નવી નગરપાલિકાઓને ‘મહાનગરપાલિકા’નો દરજ્જો આપવામાં આવ્યો છે, ત્યાં પ્રથમ વખત કોર્પોરેશન સ્તરે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેમાં આણંદ-કરમસદ, ગાંધીધામ, મહેસાણા, મોરબી, નડિયાદ, નવસારી, પોરબંદર, સુરેન્દ્રનગર, અને વાપી શહેરનો સમાવેશ થાય છે. આ નવગઠિત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વહીવટી માળખું બદલાયા બાદ આ પ્રથમ મોટી રાજકીય કસોટી છે, જેના પર સમગ્ર રાજ્યની નજર ટકેલી છે.

OBC અનામતનું નવું સમીકરણ

આ વખતની ચૂંટણીની સૌથી મોટી વિશેષતા ઓબીસી (OBC) અનામત બેઠકોનું નવું રોટેશન છે. ઝવેરી કમિશનના રિપોર્ટ બાદ અમલી બનેલી નવી જોગવાઈઓ મુજબ, આ વખતે જિલ્લા પંચાયત પ્રમુખની 7 બેઠકો OBC માટે અનામત રાખવામાં આવી છે. આ નવા જ્ઞાતિ સમીકરણો રાજકીય પક્ષો માટે નવી રણનીતિ ઘડવા મજબૂર કરશે.

વહીવટદારોના શાસનનો આવશે અંત

ઉલ્લેખનીય છે કે, રાજ્યની અનેક જિલ્લા અને તાલુકા પંચાયતોની મુદત પૂર્ણ થઈ ગઈ હોવા છતાં સીમાંકન અને અનામતના પ્રશ્નોને કારણે ચૂંટણીમાં વિલંબ થયો હતો. હાલમાં આ સંસ્થાઓમાં વહીવટદારો કાર્યરત છે. હવે ચૂંટણીની જાહેરાત થતા જ રાજ્યમાં આચારસંહિતા લાગુ થઈ જશે અને લોકશાહી ઢબે નવા જનપ્રતિનિધિઓની પસંદગીનો માર્ગ મોકળો થશે.


Related Posts

Load more