રાજકોટ મનપાની ચૂંટણીને લઇ તૈયારીઓ તેજ:ઉમેદવાર પસંદગી માટેનિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે

By: Nation Gujarat Team
01 Apr, 2026

રાજકોટ મહાપાલિકાની ચૂંટણીને લઈ તૈયારીઓ તેજ બની છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા આજથી બે દિવસ રાજકોટ શહેર ભાજપ કાર્યાલય કમલમ ખાતે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે જેમાં પ્રદેશ ભાજપ દ્વારા 9 નિરીક્ષકોની નિમણુંક કરવામાં આવી છે.તે 9 નિરીક્ષકોમાં રાજ્ય સરકારના મંત્રી દર્શનાબેન વાઘેલા, જીતુભાઈ પટેલ, જીમેશભાઈ સેવક, પૂર્વ સાંસદ ભાવનાબેન, યુવા મોરચાના મહામંત્રી ડો.નરેશ દેસાઈ, રાજેન્દ્રભાઈ પટેલ, નટુજી ઠાકોર, સુરેશભાઈ પટેલ અને સીતાબેન પટેલ ઉપસ્થિત રહી દાવેદારોને સાંભળી રાજકોટના 18 વોર્ડની યાદી બનાવી પ્રદેશમાં મોકલી આપશે.

આજે સવારે 9 વાગ્યાથી શરુ થનાર સેન્સ પ્રક્રિયા માટે શહેર ભાજપ દ્વારા દરેક વોર્ડના કાર્યકર્તાઓને સૂચના આપવામાં આવી છે અને દરેક વોર્ડ વાઇઝ ચોક્કસ સમય આપવામાં આવ્યો છે જે આપેલા સમય મુજબ વોર્ડના દાવેદારો સમયસર ઉપસ્થિત રહી કાર્યાલય ખાતે વોર્ડના પ્રભારી, પ્રમુખ, મહામંત્રીને સાથે રાખી ફોર્મ જમા કરાવી શકશે. આ માટે સક્રિય સભ્ય નંબર અને કોર્પોરેશનની મતદારયાદીના ભાગ ક્રમ નંબર તેમજ ચુંટણી કાર્ડ સાથે રાખવા સુચના આપવામાં આવી છે.એટલું જ નહિ આરક્ષિત સીટ માટે પ્રમાણપત્ર, ભુતકાળમાં કોઇ પણ જાતના ગુના હોય તો પોલીસ વિગત કે રિપોર્ટ સાથે જોડવા પણ સૂચના આપવામાં આવી છે. અને નિરીક્ષકો સમક્ષ માત્ર વ્યક્તિગત રજુઆત જ કરવાની રહેશે સમર્થકોના જૂથ સાથે રજુઆત કરવા મનાઈ ફરમાવવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

રાજકોટ મહાપાલિકાની આગામી ચૂંટણીને લઇ ભારતીય જનતા પાર્ટીએ હજુ સુધી ઉમેદવારો અંગેનો ક્રાઈટેરિયા જાહેર કર્યો નથી. પરંતુ પક્ષના વર્તુળોમાં ચર્ચાતી વિગતો મુજબ ત્રણ ટર્મ ચૂંટણી લડી ચૂક્યા હોય, 60 વર્ષથી વધુની ઉંમર હોય, સંગઠનમાં મહત્વના પદ ઉપર હોય તેને ટિકિટ નહીં અપાય તેવી ચર્ચા ચાલી રહી છે. જો કે હજુ સુધી આ પરિપ્રેક્ષ્યની સત્તાવાર જાહેરાત કરાઇ ન હોવાથી આવતીકાલે સેન્સ પ્રક્રિયા દરમિયાન ભાજપના સક્રિય સભ્ય હોય તેવા કોઇ પણ વ્યક્તિ દાવેઘરી કરી શકશે. ઉલ્લેખનીય છે કે પક્ષની સક્રિય સભ્યની વ્યાખ્યા એવી છે કે જેમણે ઓછામાં ઓછા 100 સભ્ય બનાવ્યા હોય તેને સક્રિય સભ્ય કહેવામાં આવે છે.

વર્ષ 2021ની ગત મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય જીત સાથે રાજકોટ મનપામાં શાસન કર્યું હતું. આ ચૂંટણીમાં પણ ભાજપ દ્વારા માત્ર 12 કોર્પોરેટરને જ રિપીટ કરવામાં આવ્યા હતા અને બાકીના 60 નવા ચહેરા મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા આમ છતાં 72 પૈકી 68 બેઠક પર ભાજપે ભવ્ય જોત મેળવી હતી. એક માત્ર વોર્ડ નંબર 15માં કોંગ્રેસના ચાર ઉમેદવારોએ જીત હાસિલ કરી હતી જો કે વોર્ડ નંબર 15માં ભાજપ અત્યાર સુધી કોઈ ચૂંટણીમાં જીત મેળવી શક્યું નથી. પરંતુ આ વખતે પ્રદેશ ભાજપ દ્વારા યુવા પ્રમુખ ડો. માધવ દવેને વોર્ડ નંબર 15માં જીત હાસિલ કરવા માટે ચેલેન્જ આપી છે જેમાં પરિવર્તન થશે કે પુનરાવર્તન તે જોવું મહત્વનું રહેશે.


Related Posts

Load more