Pradeep Guruji Arrested: રાજકોટમાં લોકોની નાડી તપાસી દવા આપતો પ્રદીપ ગુરુજી બની ગયો નકલી નોટોનો માસ્ટર માઇન્ડ!

By: Nation Gujarat Team
19 Mar, 2026
રાજકોટ: નકલી ચલણી નોટોના મોટા કૌભાંડમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મહત્વની કાર્યવાહી કરતાં પ્રદીપ ગુરુજી ઉર્ફે પ્રદીપ જોટાંગિયાની ધરપકડ કરી છે. માહિતી મુજબ, પ્રદીપ જોટાંગિયા પોતાની ગાડીમાંથી જ ઝડપાયો હતો. તે આશ્રમ સંચાલક તરીકે કાર્યરત હતો. ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદ અને સુરતમાં સમન્વયિત કાર્યવાહી હાથ ધરી હતી. અમદાવાદમાંથી અંદાજે 2.10 કરોડ રૂપિયાની નકલી નોટો જપ્ત કરવામાં આવી છે, જ્યારે સુરતમાંથી 80 લાખ રૂપિયાની નકલી નોટો કબજે લેવામાં આવી છે. સુરતના ઉધના વિસ્તારમાં નોટો છાપવાનું પ્રિન્ટિંગ મશીન પણ પોલીસે જપ્ત કર્યું છે. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ ચાલુ છે.
રાજકોટ શહેરમાં પ્રદીપ ગુરુજી તરીકે ઓળખાતા પ્રદીપ જોટાંગિયા સાથે જોડાયેલા મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. શહેર પોલીસ કિડવાઈ નગર વિસ્તારમાં આવેલા તેમના નિવાસસ્થાને પહોંચી તપાસ કરી હતી.
પોલીસે પ્રદીપ જોટાંગિયાના મોટાભાઈ અમિત જોટાંગિયા સાથે પૂછપરછ કરી હતી. અધિકારીઓએ તેમને મકાનની અંદર લઈ જઈ મોબાઈલ ફોન સહિતની વિગતો તપાસી હતી. બંને ભાઈઓ વચ્ચેના સંબંધો અને છેલ્લે ક્યારે સંપર્ક થયો હતો તે અંગે પણ માહિતી લેવામાં આવી હતી. આ સાથે અમિત જોટાંગિયાની કારમાં પણ તપાસ કરવામાં આવી હતી. કારમાં રહેલા દસ્તાવેજો, રોકડ રકમ અથવા અન્ય સામગ્રી અંગે ચકાસણી કરવામાં આવી હતી.
પોલીસના જણાવ્યા મુજબ, મકાનના બંને માળ પર તપાસ હાથ ધરાઈ હતી. તપાસ પૂર્ણ થયા બાદ પીએસઆઈ વી.જી. ડોડીયાએ જણાવ્યું હતું કે ઘર અથવા કારમાંથી કોઈ વાંધાજનક વસ્તુ મળી આવી નથી. પ્રાથમિક માહિતી મુજબ, પ્રદીપ જોટાંગિયા લગભગ બે મહિના પહેલાં રાજકોટ આવ્યો હતો.
બીજી તરફ, અમિત જોટાંગિયાએ મીડિયા સાથેની વાતચીતમાં દાવો કર્યો હતો કે તેમના ભાઈને ફસાવવામાં આવ્યો છે. તેમના જણાવ્યા અનુસાર, પરિવાર વર્ષોથી યોગ સાથે સંકળાયેલો છે અને પ્રદીપ જોટાંગિયા નિયમિત રીતે લોકોને યોગ શીખવતો હતો.

પ્રદીપ જોટાંગિયા ઉર્ફે પ્રદીપ ગુરુજી અંગે પડોશીઓ તરફથી નવા ખુલાસા સામે આવી રહ્યા છે. પ્રદીપ ગુરુજીને નજીકથી ઓળખતી એક પાડોશીએ દાવો કર્યો છે કે તેઓ લગભગ દસ વર્ષ પહેલા લોકોની નાડી તપાસી દવા આપવાનું કામ કરતો હતો.
પાડોશી દક્ષાબેનના જણાવ્યા મુજબ, પ્રદીપ ગુરુજી લોકોની તબિયતને આધારે અલગ-અલગ દવાઓ આપતો હતો અને કેટલાક લોકો તેના સંપર્કમાં પણ હતા. “મારા પિતાના સ્વાસ્થ્ય માટે મારા ભાઈએ પણ તેની પાસેથી દવા મંગાવી હતી,” જોકે, દક્ષાબેને આ સાથે શંકા પણ વ્યક્ત કરી હતી. તેમના કહેવા મુજબ, “મેં મારા પરિવારજનોને અગાઉથી ચેતવણી આપી હતી કે પ્રદીપ ગુરુજી વિશ્વાસપાત્ર નથી.”

Related Posts

Load more