LPG Cylinder Crisis : અમેરિકા-ઈઝરાયલ અને ઈરાનના યુદ્ધના કારણે ગેસનો સપ્લાય અસર થતા ભારતમાં રસોઈ ગેસની અછત ઉભી થવાની અફવાઓ ચાલી રહી છે. આ કારણે અનેક ગ્રાહકો જરૂર ન હોવા છતાં LPG સિલિન્ડરનું બુકિંગ કરી રહ્યા છે. હવે આ મામલે પેટ્રોલિયમ મંત્રાલયની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજાઈ છે, જેમાં સ્પષ્ટ કહેવાયું છે કે, મધ્ય-પૂર્વના દેશોમાંથી છ ટેન્કર અને એક LPG ભરેલા 22 ટેન્કર ભારત આવી રહ્યા છે. મંત્રાલયે સ્પષ્ટ કહ્યું છે કે, ભારત પાસે એલપીજીનો પૂરતો ભંડાર છે અને આ પરિસ્થિતિ વચ્ચે પણ ટેન્કરો ભારત આવી રહ્યા છે. આ સાથે મંત્રાલયે એમ પણ કહ્યું છે કે, 29 રાજ્યોમાં કોમર્શિયલ સિલિન્ડરની સપ્લાય ફરી શરૂ કરી દેવામાં આવી છે
29 રાજ્યોમાં કોમર્શિયલ સિલિન્ડરની સપ્લાય ફરી શરૂ
પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ દેશવાસીઓને આશ્વાસન આપ્યું છે કે, ‘ભારત પાસે ક્રૂડ ઓઈલનો પર્યાપ્ત ભંડાર છે. એલપીજીનું દૈનિક બુકિંગ અચાનક 75 લાખથી વધીને 88 લાખ પર પહોંચી ગયું છે.’ મંત્રાલયે પ્રજાને અપીલ કરી છે કે, ગભરાવાની જરૂર નથી, કારણ કે કેન્દ્ર સરકાર રસોઈમાં ઉપયોગ થતા ગેસને પ્રાથમિકતા આપી રહી છે. જે લોકો સિલિન્ડરની કાળાબજારી કરી રહ્યા છે, તેઓ વિરુદ્ધ કડક કાર્યવાહી ચાલી રહી છે. આ ઉપરાંત 29 રાજ્યોમાં કોમર્શિયલ સિલિન્ડરની સપ્લાય ફરી શરૂ કરવામાં આવી છે. કોમર્શિયલ સિલિન્ડરના ગ્રાહકોને પીએનજી કનેક્શન લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે
ઈરાની અખાતમાંથી 22 ટેન્કર ભારત આવી રહ્યા છે : મંત્રાલય
મધ્ય-પૂર્વમાં યુદ્ધના કારણે વિકટ પરસ્થિતિ ઉભી થઈ છે, ત્યારે મંત્રાલયે ઈરાની જળમાર્ગમાં ભારતીય ધ્વજવાળા જહાજોની સુરક્ષાની પણ સંપૂર્ણ માહિતી આપી છે. મંત્રાલયે કહ્યું છે કે, ‘ઈરાની અખાતમાં હાલ ભારતના કુલ 22 ટેન્કરો છે. આ ટેન્કરોમાંથી 6 એલપીજી ભરેલા, 1 એલએનજી, 4 ક્રૂડ ઓઈલ અને એક કેમિકલ ભરેલા ટેન્કરો સામેલ છે. જ્યારે અન્ય ટેન્કરો વેપાર સંબંધીત માલ-સામાન ભરેલા છે. આ ટેન્કરો દેશની ઊર્જા, ઉદ્યોગો, રસોઈ ગેસ અને વીજળી માટે ખૂબ જ મહત્ત્વના છે. ભારત સરકારે આ જહાજોને સુરક્ષિત લાવવા માટે નૌકાદલ અને રાજદ્વારી ચેનલોનો ઉપયોગ કરી રહી છે.
ભારત અમેરિકા, ઈઝરાયલ, ઈરાનના સંપર્કમાં
ચાર મંત્રાલયોની જોઈન્ટ પ્રેસ કોન્ફર્સમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે સ્પષ્ટ કહ્યું છે કે, ‘ભારત દેશની ઊર્જા સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે મધ્ય-પૂર્વના સંકટ પર સંપૂર્ણ દેખરેખ રાખી રહી છે.. વર્તમાન સ્થિતિ વચ્ચે ભારત અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન સાથે સતત સંપર્કમાં છે. મધ્ય-પૂર્વની વર્તમાન સ્થિતિના કારણે ભારત સહિત વૈશ્વિક ક્રૂડ ઓઈલ સપ્લાય અને તેની કિંમતોને અસર પડી છે. કેન્દ્ર સરકાર રાજદ્વારી ચેનલો દ્વારા તે સુનિશ્ચિત કરી રહી છે કે, મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા સંકટ વચ્ચે ભારતની દરિયાઈ વેપાર માર્ગમાં કોઈપણ અચડણો ઉભી ન થાત
જહાજ શિવાલિક અને નંદા દેવીએ હોર્મુઝ ક્રોસ કર્યું, 16-17એ પહોંચશે ભારત
આ તમામ ઘટનાક્રમ વચ્ચે ભારત માટે એક મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. ઈરાની અખાતમાં ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતીય જહાજ શિવાલિક અને નંદા દેવીએ હોર્મુઝ પાર કરી લીધું છે અને આ બંને જહાજ 16 અને 17 તારીખે ભારત પહોંચવાની તૈયારીમાં હોવાની વિગતો સામે આવી છે. ઈરાની અખાતમાં ભારતીય ધ્વજવાળા કુલ 24 જહાજો છે, જેમાંથી આ બે જહાજે હોર્મુઝ પાર કરી લીધો છે અને તેો મુદ્રા અથવા કંડલા પોર્ટ પર પહોંચવાની સંભાવના છે