ગિરનાર પર અંબાજી મંદિરના ભંડારામાં દારૂ-નોનવેજની પાર્ટી,10 પૂજારી સહિત 11ની હકાલપટી

By: Nation Gujarat Team
13 Mar, 2026

ગિરનાર પર આવેલા અંબાજી મંદિરના ભંડારામાં દારૂ-નોનવેજની મહેફિલ થઈ હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા ખળભળાટ મચ્યો છે. વાઈરલ વીડિયોમાં બેથી ત્રણ લોકો બેફામ ગાળાગાળી કરી કથિત રીતે નોનવેજ આરોગતા અને દારુ પીતા જોવા મળી રહ્યા છે. પવિત્ર ભૂમિ પર આ રીતેની મફેફિલનો વીડિયો વાઈરલ થતા ભક્તોમાં રોષની લાગણી ફેલાઈ છે. મામલાની ગંભીરતાને જોતા તંત્ર દ્વારા તાત્કાલીક અસરથી મંદિરના 10 પૂજારી અને એક રસોઈયાને સસ્પેન્ડ કરી મંદિર પરિસરમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

જોકે, અંબાજી મંદિરના ભંડારામાં દારૂ નોનવેજની પાર્ટીના વીડિયો બાદ ફરી એક વીડિયો વાઈરલ થયો છે, જેમાં પૂજારીઓ દાનપેટીમાંથી પૈસા ફેરવી પોતાના ગજવા ભરી રહ્યા છે. કાઠી ક્ષત્રિય સમાજના અગ્રણી મહિપતસિંહ બસિયાએ કલેકટર અને તંત્રને યોગ્ય કાર્યવાહી કરવા કરી અપીલ કરી છે.

સીસીટીવીમાં આ લોકો દાનપેટીમાંથી પૈસા કાઢતા પણ જોવા મળ્યા છે કાઠી ક્ષત્રિય સમાજના અગ્રણી મહીપાલસિંહ બસીયાએ ગિરનાર સ્થિત અંબાજી મંદિર પરિસરમાં બનેલી અશોભનીય ઘટના અંગે ઉગ્ર રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ પવિત્ર ધાર્મિક સ્થળ પર જે પ્રકારે માંસાહાર અને દારૂની મિજબાની માણવામાં આવી છે તે સહેજ પણ ચલાવી લેવાય એવી બાબત નથી અને આવી નીચ કક્ષાની પ્રવૃત્તિ કરનારા શખ્સોએ કરોડો હિન્દુઓની આસ્થાને ઠેસ પહોંચાડી છે, જેનો સમાજ ક્યારેય સ્વીકાર નહીં કરે.

તેમણે વધુમાં આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, આ ઘટના પાછળ જે પૂજારીઓ અને વ્યક્તિઓ સામેલ છે તેઓ હવે પોતાની ભૂલ છુપાવવાનો પ્રયાસ કરી રહ્યા છે જેમાં તેમણે ખાસ કરીને દુષ્યંતગીરી અને કુંદનગીરી નામના શખ્સોનો ઉલ્લેખ કરીને દાવો કર્યો હતો કે, સીસીટીવીમાં આ લોકો દાનપેટીમાંથી પૈસા કાઢતા પણ જોવા મળ્યા છે છતાં કલેક્ટર કે પ્રાંત અધિકારીના ધ્યાને આ વાત કેમ નથી આવી તેવો પ્રશ્ન પણ તેમણે ઉઠાવ્યો હતો.

દોષિતોને મંદિરોમાંથી હંમેશા માટે પદભ્રષ્ટ કરે મહીપાલસિંહની માંગણી કરી છે કે ગિરનાર ક્ષેત્રના અંબાજી મંદિર તેમજ ભીડભંજન મહાદેવ મંદિર પર કબજો જમાવીને બેઠેલા આવા અસામાજિક તત્વો જેઓ શ્રદ્ધાળુઓ સાથે ગેરવર્તન અને માથાકૂટ કરે છે તેમને તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવે અને સરકાર તથા જિલ્લા વહીવટી તંત્ર આ સમગ્ર મામલાની તટસ્થ તપાસ કરી દોષિતોને મંદિરોમાંથી હંમેશા માટે પદભ્રષ્ટ કરે જેથી ધાર્મિક સ્થળોની ગરિમા જળવાઈ રહે.

વીડિયો ઉતારનાર વ્યક્તિની ઓળખ પણ જાહેર કરવાની તૈયારી બતાવી ​જૂનાગઢના વાંઝાવાડ વિસ્તારના રહેવાસી અને ‘હિન્દુ જાગૃતિ એકતા’ સંગઠન સાથે જોડાયેલા મહીપાલસિંહ વસીયાએ અંબાજી મંદિરમાં બનેલી તાજેતરની ઘટના અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે આ ઘટનાને અત્યંત નિંદનીય ગણાવતા તેમણે હિન્દુ ધર્મ અને આસ્થાના હિતમાં પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે. મહીપાલસિંહે કહ્યું કે, વીડિયોમાં દેખાતા ત્રણેય યુવકોના નામ, સરનામાં અને મોબાઈલ નંબર મેળવીને તેઓ વહીવટી તંત્ર તેમજ મીડિયા સમક્ષ રજૂ કરશે, સાથે જ આ વીડિયો ઉતારનાર વ્યક્તિની ઓળખ પણ જાહેર કરવાની તૈયારી બતાવી છે.

વિજય ત્રિવેદીના વ્યવસાય સામે આંગળી ચીંધી છે ​આ વિવાદમાં સૌથી મહત્વનો મુદ્દો પૂજારીઓની નિમણૂકનો છે. મહીપાલસિંહના દાવા મુજબ મંદિરમાં પરંપરાગત રીતે ગૌસ્વામી પરિવાર સેવા આપતો હોવા છતાં વિજયભાઈ ત્રિવેદી અને ચૌહાણ પરિવારના સભ્યો પૂજારી તરીકે કેવી રીતે આવ્યા તે મોટો પ્રશ્ન છે. તેમણે ખાસ કરીને વિજય ત્રિવેદીના વ્યવસાય સામે આંગળી ચીંધી છે, જેઓ વ્યવસાય અલગ હોવા છતાં પૂજારી તરીકે કઈ રીતે ફરજ બજાવી શકે તે બાબતે શંકા વ્યક્ત કરી છે. તેમના મતે સરકાર અને બાપુને અંધારામાં રાખીને આ નિમણૂકો કરવામાં આવી હોઈ શકે છે.

બાકીના નાણાં વચેટિયાઓ હડપી લેતા હોવાની શક્યતા ​તદુપરાંત, પૂજારીઓના પગારના આર્થિક વ્યવહારોમાં પણ તેમણે ગેરરીતિની આશંકા વ્યક્ત કરી છે. અંદાજે 14,000 થી 15,000 રૂપિયાના પગારમાંથી સેવા આપતા પૂજારીઓને કદાચ અડધી જ રકમ મળતી હોઈ શકે અને બાકીના નાણાં વચેટિયાઓ હડપી લેતા હોવાની શક્યતા તેમણે દર્શાવી છે. આથી, આ સમગ્ર નિમણૂક પ્રક્રિયા અને નાણાકીય પાસાઓની ઊંડી તપાસ કરી સત્ય બહાર લાવવા માટે તેમણે ભારપૂર્વક માંગણી કરી છે.

પવિત્ર સ્થળને અપવિત્ર કર્યાનો વીડિયો વાઈરલ થતા કાર્યવાહી માતાજીના મંદિરના ભંડારામાં નોનવેજ અને દારુ આરોગતા હોવાનો વીડિયો વાઈરલ થયાનો ​આ ગંભીર મામલો વહીવટી તંત્રના ધ્યાને આવતા જ કલેક્ટર અને મામલતદારની સૂચનાથી તાત્કાલિક તપાસના આદેશો આપવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં તથ્ય જણાતા, મંદિરની ગરિમા લજવનારા 11 કર્મચારીઓને તાત્કાલિક અસરથી ફરજમુક્ત (સસ્પેન્ડ) કરી દેવામાં આવ્યા છે. વહીવટી તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે ધાર્મિક લાગણી દુભાવનારા કોઈ પણ શખ્સને છોડવામાં આવશે નહીં.

શુદ્ધિકરણ અને પોલીસ ફરિયાદની તૈયારી ​ઘટના બાદ મામલતદારની દેખરેખ હેઠળ મંદિર પરિસર અને ખાસ કરીને ભોજનાલયના ભાગને પવિત્ર કરવા માટે શાસ્ત્રોક્ત વિધિ મુજબ ‘શુદ્ધિકરણ’ કરવામાં આવ્યું છે. એસડીએમ ચરણસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી ગિરનાર પર્વત પર આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હોવાની વારંવાર ફરિયાદો મળી હતી પરંતુ થોડો સમય પહેલા જો અંબાજી મંદિરના ભંડારામાં મટન અને દારૂ પાર્ટી થતો હોવાનો વિડિયો સામે આવ્યો હતો જેને લઈ મંદિર સાથે જોડાયેલા 10 પૂજારીઓ અને એક રસોઈયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આ તમામ લોકોને હંગામી જે સમયે મામલતદાર હેઠળ આ મંદિરની વ્યવસ્થા સંભાળવામાં આવી હતી તે સમયે આ લોકોની નિમણૂક કરાઈ હતી. હાલ આ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે અને આગળના સમયમાં જે તપાસમાં સામે આવશે તેને લઈ કસુર વાર વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે

ઇતિહાસ અને વિવાદની પૃષ્ઠભૂમિ: તનસુખગીરી બાપુના દેવલોક પામ્યા બાદની સ્થિતિ ​ગિરનાર અંબાજી મંદિરના વિવાદના મૂળ ઘણા ઊંડા છે. વર્ષો સુધી આ મંદિરનું સંચાલન ગાદીપતિ મહંત તનસુખગીરી બાપુ દ્વારા કરવામાં આવતું હતું. પરંતુ તેમના બ્રહ્મલીન થયા બાદ મંદિરના વહીવટ અને વારસાને લઈને ભારે વિવાદ સર્જાયો હતો. આંતરિક જૂથવાદ અને ગાદી માટેની ખેંચતાણને જોતા, પરિસ્થિતિ વણસે નહીં તે હેતુથી વહીવટી તંત્રએ મંદિરનો વહીવટ પોતાના હસ્તક લીધો હતો. હાલમાં આ મંદિર સરકારી વહીવટદાર હેઠળ કાર્યરત છે.

આ ઘટના માટે જવાબદારો સામે FIR કરવામાં આવે- દુષ્યંતગીરી અપારનાથી ભીડભંજન મહાદેવ અંબાજી મંદિરમાં વર્ષોથી પૂજા-આરતીની પરંપરા જાળવતા ધનસુખગીરી બાપુના પરિવારના સભ્ય દુષ્યંતગીરી અપારનાથીએ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડિયો અંગે સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું છે કે આ વિડિયોમાં તેમના પરિવારનો કોઈ સભ્ય કે નિલકંઠ મહાદેવ અથવા ભીડભંજન મહાદેવ મંદિરના કોઈ પૂજારી સામેલ નથી. વીડિયોની સત્યતા તપાસતા એવું જણાય છે કે તેમાં દેખાતા લોકો નાના છોકરાઓ છે અને આ ઘટના દિવાળીના સમયની હોઈ શકે છે, કારણ કે વીડિયોમાં ફટાકડાના અવાજો સ્પષ્ટપણે સાંભળવા મળી રહ્યા છે.

​આ અયોગ્ય કૃત્યને ગંભીરતાથી લઈને મંદિરમાં ફરજ બજાવતા કુલ 12 કર્મચારીઓ સામે કડક પગલાં ભરી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેમાં 10 પૂજારી, 1 સફાઈ કામદાર અને 1 ભંડારીનો સમાવેશ થાય છે. આ સસ્પેન્ડ કરાયેલા કર્મચારીઓની યાદીમાં વિજય ત્રિવેદી અને કિશોરગીરીના નામોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. દુષ્યંતગીરીએ સરકાર, પ્રાંત અધિકારી, કલેક્ટર અને મામલતદારને નમ્ર અપીલ કરી છે કે આ ઘટના માટે જવાબદાર વ્યક્તિઓ સામે તત્કાલ FIR દાખલ કરી કડક પોલીસ કાર્યવાહી કરવામાં આવે અને દોષિતો પર આજીવન ગિરનાર આવવા પર પ્રતિબંધ લાદવામાં આવે તેવી માંગ કરી છે.

અંબાજી મંદિરની ગાદીના વિવાદ બાદ એક વર્ષ પહેલા મામલતદારને વહીવટ સોંપાયો હતો જૂનાગઢના ગિરનાર પર્વત પર આવેલા અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બ્રહ્મલીન થયા બાદ અંબાજી મંદિરની ગાદીને લઈ વિવાદ વકર્યો હતો. ગિરનારના સાધુ-સંતો દ્વારા આક્ષેપ પ્રતિઆક્ષેપ બાદ આજે જૂનાગઢ કલેક્ટર દ્વારા અંબાજી મંદિરનો વહીવટ એક વર્ષ પહેલા મામલતદારને સોંપવામાં આવ્યો હતો. જ્યાં સુધી ગુરુ દત્તાત્રય, અંબાજી મંદિર, અને ભીડભંજન મંદિરના કાયમી મહંતની નિમણૂક ન થાય ત્યાં સુધી વહીવટ કર્તા તરીકે મામલતદારની નિમણૂક કરવામાં આવી હતી. અંબાજી મંદિર, દત્તાત્રેય મંદિર ભીડભંજન મંદિરનો વહીવટ મામલતદારને સોંપવામાં આવ્યો હતો ત્યારે મહેશગિરિએ કહ્યું હતું કે, વિવાદ ખાલી અંબાજી મંદિરનો જ છે તો દત્તાત્રેય મંદિરનો વહિવટ મામલતદારને સોંપવાની જરૂર ન હતી.

સનાતન ધર્મની આસ્થા સાથે ચેડાંનો આક્ષેપ,વિશ્વ હિન્દુ પરિષદ લાલઘૂમ ​જૂનાગઢના ભવનાથ સ્થિત પવિત્ર ગિરનાર પર્વત પર બિરાજમાન લાખો શ્રદ્ધાળુઓના આરાધ્ય દેવી મા અંબાના મંદિર પરિસરમાં બનેલી અત્યંત આઘાતજનક અને શરમજનક ઘટનાને પગલે હિન્દુ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિશ્વ હિન્દુ પરિષદ – જૂનાગઢ મહાનગર દ્વારા આ મામલે જિલ્લા કલેક્ટરને લેખિત આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી છે કે, ધાર્મિક સ્થાનોની પવિત્રતા જોખમાય તેવા કૃત્યો કરનારા તત્વો સામે કોઈ પણ પ્રકારની રહેમ રાખ્યા વગર કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. સોશિયલ મીડિયામાં વહેતા થયેલા અહેવાલો મુજબ, પવિત્ર જગ્યા પર માંસાહાર અને નશાની મહેફિલ જામી હોવાની વિગતો સામે આવતા સનાતની ધર્મપ્રેમી જનતાની લાગણી દુભાઈ છે, જેના પરિણામે પ્રશાસન પોતે જ ફરિયાદી બનીને આ કેસમાં પારદર્શી તપાસ કરે એવી માંગ ઉઠી છે.


Related Posts

Load more