વર્લ્ડ કપ ટ્રોફી અમદાવાદના મંદિરમાં લઈ જવા મુદ્દે ભડક્યા પૂર્વ ખેલાડી! કહ્યું- ટીમ ઈન્ડિયા પર શરમ આવે છે

By: Nation Gujarat Team
10 Mar, 2026

Kirti Azad Secularism Statement: ભારતે ન્યૂઝીલેન્ડને હરાવીને ટી20 વિશ્વ કપ 2026નું ટાઇટલ જીત્યું, જે બાદ ટીમ ઇન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને હેડ કોચ ગૌતમ ગંભીર હનુમાન મંદિર દર્શન કરવા પહોંચ્યા હતા. જોકે, ટ્રોફી સાથે મંદિર જવાની આ ઘટના પર તૃણમૂલ કોંગ્રેસ(TMC)ના સાંસદ અને પૂર્વ ક્રિકેટર કીર્તિ આઝાદે આકરી આપત્તિ વ્યક્ત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર આ મુદ્દે સવાલો ઉઠાવતા કહ્યું કે આપણો દેશ ધર્મનિરપેક્ષ છે, તેથી ટ્રોફીને કોઈ એક ચોક્કસ ધાર્મિક સ્થળ પર લઈ જવી તે યોગ્ય નથી.

ટ્રોફી મસ્જિદ કે ચર્ચમાં કેમ ન લઈ ગયા?: કીર્તિ આઝાદ

કીર્તિ આઝાદે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જ્યારે કોઈ ખેલાડી રમે છે ત્યારે તે કોઈ ધર્મ માટે નહીં પણ આખા દેશ માટે રમતો હોય છે. તેમણે 1983ના વર્લ્ડ કપ વિજયને યાદ કરતા કહ્યું કે ત્યારે પણ ટીમમાં હિન્દુ, મુસ્લિમ, શીખ અને ખ્રિસ્તી એમ તમામ ધર્મના ખેલાડીઓ હતા. તેમણે સંજુ સેમસન અને મોહમ્મદ સિરાજ જેવા ખેલાડીઓના પ્રદર્શનના વખાણ કરતા સવાલ કર્યો કે આ ટ્રોફી દરેક ભારતીયની છે, તો પછી તેને મસ્જિદ, ચર્ચ કે ગુરુદ્વારામાં કેમ લઈ જવામાં ન આવી?

રમત અને કળાનો કોઈ ધર્મ હોતો નથી

કીર્તિ આઝાદે વધુમાં જણાવ્યું કે, રમત અને કળાનો કોઈ ધર્મ હોતો નથી. ભારત અને પાકિસ્તાન વચ્ચે આ જ તફાવત હોવો જોઈએ. કીર્તિ આઝાદે સ્પષ્ટ કર્યું કે તેઓ પોતે હિન્દુ છે અને મેચ પહેલા કે પછી વ્યક્તિગત રીતે મંદિરે જવામાં તેમને કોઈ વાંધો નથી, પરંતુ આખી ટીમની ટ્રોફીને ધર્મ સાથે જોડવી તે ભારતની ધર્મનિરપેક્ષ છબીને નુકસાન પહોંચાડે છે. તેમણે અંતમાં કહ્યું કે આ ટીમ આખા ભારતનું પ્રતિનિધિત્વ કરે છે, કોઈ એક વ્યક્તિના પરિવારનું નહીં.

 

 


Related Posts

Load more