ઈરાન-ઈઝરાયેલ-અમેરિકા વચ્ચે ફાટી નીકળેલા જંગની ગંભીર અસર હવે ભારત પર પડી છે. વિશ્વના સૌથી મોટા પ્રાકૃતિક ગેસ ઉત્પાદક દેશ કતરે ભારતને કરવામાં આવતી લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG)ની નિકાસમાં 40 ટકા સુધીનો મોટો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. ઈરાન દ્વારા કતરમાં આવેલા અમેરિકી સૈન્ય મથકો અને ગેસ પ્લાન્ટ્સ પર કરવામાં આવેલા મિસાઈલ હુમલા બાદ કતરે આ નિર્ણય લેવો પડ્યો છે.
ઈરાનના હુમલાથી કતર સંકટમાં, પ્લાન્ટ બંધ
સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈરાને સોમવારે કતર એનર્જીના બે મુખ્ય પ્લાન્ટ ‘રાસ લફ્ફાન ઇન્ડસ્ટ્રિયલ સિટી’ અને ‘મેસાઈદ ઇન્ડસ્ટ્રિયલ સિટી’ પર ડ્રોન અને મિસાઈલોથી ભીષણ હુમલો કર્યો હતો. આ હુમલા એટલા શક્તિશાળી હતા કે સુરક્ષાના કારણોસર કતરે તેના ગેસ પ્લાન્ટનું ઉત્પાદન હાલ પૂરતું અટકાવી દેવું પડ્યું છે. આ પ્લાન્ટ્સ બંધ થવાથી વિશ્વભરના ગેસ સપ્લાય ચેઈન પર વિપરિત અસર પડી છે.
ભારતની જરૂરીયાતનું 40 ટકા LNG કતરનું
ભારત તેની કુલ ઉર્જા જરૂરિયાતના મોટા હિસ્સા માટે કતર પર નિર્ભર છે. ભારત દર વર્ષે અંદાજે 27 મિલિયન ટન LNG આયાત કરે છે, જેમાંથી 40 ટકા હિસ્સો એકલું કતર પૂરું પાડે છે. આ ગેસનો ઉપયોગ પાવર જનરેશન, ખાતર ઉત્પાદન, CNG વિતરણ અને ઘરોમાં પાઇપ્ડ ગેસ કનેક્શન માટે કરવામાં આવે છે. સપ્લાયમાં કાપ આવતા ગેસ માર્કેટર્સ દ્વારા હવે ઉદ્યોગોને અપાતા ગેસમાં 10થી 40 ટકા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે, જોકે CNG રિટેલિંગ માટે ફ્લો રેટ જાળવી રાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.