શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી સાળંગપુરધામમાં ભવ્ય રંગોત્સવ, 51,000 કિલો ઓર્ગેનિક રંગોથી હોળી ઉજવણી

By: Nation Gujarat Team
03 Mar, 2026
શ્રીસ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શા. હરિપ્રકાશદાસજી સ્વામીની પ્રેરણાથી તથા પ.પૂ. કોઠારી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શનથી હોળી-ધુળેટી પર્વ નિમિત્તે 03 માર્ચ 2026ના રોજ એટલે કે, પૂર્ણિમાના દિવસે ગુજરાતનો સૌથી મોટો રંગોત્સવ યોજાયો હતો. જે અંતર્ગત દાદાને હોળીના દિવસે વિશેષ શણગાર કરી તથા સાત કલરના 51,000 કિલો ઓર્ગેનિક રંગો જેમાં ગુલાબી, લાલ, પીળો, નારંગી દ્વારા દિવ્ય રંગોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. રંગોત્સવની શરૂઆત હનુમાનજીની આરતી અને હનુમાન ચાલીસા કરીને કરવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે, આ મહોત્સવ માટે ખાસ ઓર્ગેનિક કલર તૈયાર કરાવવામાં આવ્યો હતો, જે સ્પેશિયલ ઓર્ડર આપીને છોટાઉદેપુરથી બનાવડાવવામાં આવ્યો હતો. આ વખતે મુખ્યત્વે ચાર રંગો – પિંક, રેડ, યલો અને ઓરેન્જમાં જ કલર હતા. આ ઉપરાંત, ઉત્સવમાં 1000 કિલો મિક્સ ફૂલો જેમાં હજારી અને ગુલાબ દ્વારા ભક્તો પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી.

પ.પૂ.શા. હરિપ્રકાશદાસજી સ્વામીના સાંનિધ્યમાં અને કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી, શુકદેવ સ્વામી (ગોકુલધામ નાર) સહિત અનેક સંતો અને દેશ-દુનિયાથી પધારેલા 1.50 લાખથી વધુ સંખ્યામાં આવેલા ભક્તો એક સાથે દાદાના રંગે રંગાયા હતા. આજે સવારે શણગાર આરતી બાદ ફુલડોલોત્સવમાં દાદાનું વિશેષ પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું. આ પછી સંતોને રંગ લગાવીને ભક્તોની સાથે રંગોત્સવ ઉજવવામાં આવ્યો હતો.હરિપ્રકાશ સ્વામીએ જણાવ્યું હતું કે, આજે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીના આંગણે ભવ્ય રંગોત્સવ યોજાયો હતો. જેમાં મંગળા આરતી, શણગાર આરતી અને રંગોત્સવ દરમિયાન દેશ-વિદેશથી આવેલા 1.50 લાખથી વધુ ભક્તો ઉમટ્યા હતા. દાદાના ભક્તોને રંગોત્સવમાં રંગોથી કોઈ ઇન્ફેક્શન ન થાય એ માટે મંદિરના સંતો દ્વારા 51,000 કિલો રંગ છોટાઉદેપુર ખાતે બનાવડાવવામાં આવ્યો હતો
હોળી-ધૂળેટીના દિવસે દાદાને પંચરંગી વાઘા-રંગબેરંગી ફૂલોનો દિવ્ય શણગાર કરાયો. મંગળા આરતી 5:30 કલાકે અને શણગાર આરતી સવારે 7:00 કલાકે થઈ. સવારે 07:30થી 11:00 કલાક દરમિયાન મંદિરના પરિસરમાં જેમાં શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામી અને કોઠારી વિવેકસાગર સ્વામી સહિતના સંતો અને ભક્તો એકસાથે દાદાના રંગે રંગાયા. 7 પ્રકારના 51 હજાર કિલો ઓર્ગેનિક રંગો દાદાને અર્પણ કરાયા. મંદિર પરિસરમાં 70થી 80 ફૂટ ઊંચા કલરના 500 બ્લાસ્ટ કરાશે, તો કલરને એર પ્રેશર મશીન દ્વારા ભક્તો પર ઉડાડ્યા.
આ હોળીને વધારે મનોરંજક બનાવવા માટે ઢોલીઓ નાસિક ઢોલના તાલે ધૂમ મચાવી અને ભક્તો હોળી રમ્યા બાદ રાસની રમઝટ બોલાવી- સંતોના સાનિધ્યમાં ભવ્ય રંગોત્સવ ઉજવ્યો. દાદા સમક્ષ વિવિધ રંગ, પિચકારી પણ મૂકવામાં આવ્યા. 100 રિબિન બ્લાસ્ટ અને રંગીન ફાયરવર્ક્સ કરવામાં આવ્યા. દેશના અનેક ભક્તો રંગોત્સવમાં ભાગ લેવા આવ્યા. દાદાના આ ભવ્ય રંગોત્સવમાં પૂજ્ય સ્વામીજીના માર્ગદર્શન હેઠળ કલરને એર પ્રેશર મશીનથી ભક્તો ઉપર ઉડાડ્યા.

હોળી (પૂર્ણિમા)ના પરમ પવિત્ર અવસર પર શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને દિવ્ય રંગોના શણગાર અને મુખ્ય મંદિરને ફૂલોથી પરિસરને કલરફુલ કાપડથી ડેકોરેશન કરવામાં આવ્યું છે. ગુજરાતના સૌથી મોટા હોળી ઉત્સવનું સેલિબ્રેશન કરવા માટે દાદાના ભક્તો યુવાનો – યુવતીઓ, ભાઈઓ – બહેનો, નાના બાળકોથી માંડી વડીલ વૃદ્ધ સુધી ગુજરાતભરમાંથી એવમ્ રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને વિદેશથી પણ દાદા સંગે – સંતોને સંગે હોળી સેલિબ્રેશન માટે આવ્યા.

Related Posts

Load more