India Faces Setback : ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવનું સૌથી મોટું નુકસાન ભારતીય ક્રિકેટ ચાહકોને થવા જઈ રહ્યું છે. સમાચાર છે કે, ભવિષ્યમાં યોજાનારા ICC ટૂર્નામેન્ટો ભારતની બહાર ટ્રાન્સફર થઈ શકે છે. ઓસ્ટ્રેલિયાના અખબાર ‘ધ એજ’માં પ્રકાશિત અહેવાલ મુજબ, ICC 2029 ચેમ્પિયન્સ ટ્રોફી અને 2031 વનડે વર્લ્ડ કપને ભારતની બહાર ખસેડવા પર વિચાર કરી રહ્યું છે. ભારત અને પાકિસ્તાન એકબીજાના દેશમાં રમવાનો ઇનકાર કરી રહ્યા હોવાથી ઉભી થતી લોજિસ્ટિક્સ સમસ્યાઓ ટાળવા માટે આ પગલું લેવામાં આવી શકે છે.
ભારતની ટૂર્નામેન્ટ ઓસ્ટ્રેલિયામાં યોજાશે!
‘ધ એજ’માં 16 ફેબ્રુઆરીના રોજ છપાયેલા સમાચાર મુજબ, જો ભારત પાસેથી 2029ની ચેમ્પિયન્સ ટ્રોફી અને 2031ના વનડે વર્લ્ડ કપની યજમાની જાય છે, તો તેમાં ઓસ્ટ્રેલિયાનું નામ સૌથી આગળ હશે. ઓસ્ટ્રેલિયામાં અગાઉ 2015માં વનડે વર્લ્ડ કપ અને 2022માં ટી-20 વર્લ્ડ કપનું સફળ આયોજન થઈ ચૂક્યું છે.
ભારત-પાકિસ્તાન વચ્ચે સમજૂતી
ભારત અને પાકિસ્તાને અગાઉ ICC સાથે એક સમજૂતી કરી હતી. જેમાં વૈશ્વિક ટૂર્નામેન્ટો દરમિયાન એકબીજાના દેશોમાં ન રમવા પર સહમતિ બની હતી. ભારત દ્વારા 2025 ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન જવાનો ઇનકાર કર્યા બાદ આ નિર્ણય લેવાયો હતો. હાલની પરિસ્થિતિ જોતા એવી શક્યતા છે કે 2027 સુધીની આ સમજૂતીને ભવિષ્યના ટૂર્નામેન્ટો સુધી પણ લંબાવવામાં આવી શકે છે.
કોલંબોમાં રમાઈ રહી છે ભારત-પાક મેચ
ભારત અને શ્રીલંકાની સંયુક્ત યજમાનીમાં રમાઈ રહેલા ટી-20 વર્લ્ડ કપ 2026માં પાકિસ્તાન પોતાની તમામ મેચો કોલંબોમાં જ રમી રહ્યું છે. પાકિસ્તાન સામે રમવા માટે ભારતીય ટીમ શ્રીલંકા ગઈ હતી, જ્યાં પાકિસ્તાનની શરમજનક હાર થઈ હતી. હવે જો સેમીફાઈનલ કે ફાઈનલમાં બંને ટીમો આમને-સામને આવશે, તો તે મુકાબલા પણ કોલંબોમાં જ રમાશે.