આજે મહાશિવરાત્રિ એટલે કે મેળાનો અંતિમ દિવસ. છેલ્લા પાંચ દિવસથી લાખો લોકોએ જૂનાગઢના ભવનાથમાં મહાશિવરાત્રિના મેળાનો આનંદ લઈ રહ્યા છે, જેમાં વિદેશીઓ પણ બાકાત નથી રહ્યા. તુર્કિયે, ઈઝરાયલ, યુરોપ સહિતના દેશોમાંથી લોકો શિવરાત્રિના મેળાની મોજ માણવા જૂનાગઢ પહોંચ્યા છે. ત્યારે નેધરલેન્ડથી આવેલા એક કપલ સાથે ભાસ્કરે વાતચીત કરી મેળા વિશેના અનુભવ જાણ્યા હતા. નેધરલેન્ડની યુવતીએ જૂનાગઢને પોતાની પિતૃભૂમિ ગણાવી હતી અને કહ્યું હતું કે, ‘વી લવ ઈન્ડિયા’.
મહાશિવરાત્રિના મેળામાં દેશભરના કિન્નર અખાડાઓમાંથી 50થી વધુ કિન્નર પણ ‘મિની કુંભ’માં હાજરી આપવા પહોંચ્યા છે. કિન્નર અખાડાના ગિરનારી માતાજીએ કહ્યું હતું કે, કિન્નરોથી મોટું કોઈ સંન્યાસી નથી. તો બીજી તરફ ભક્તોથી ભરાયેલા ભવનાથ અદભૂત નજારો ડ્રોન કેમેરામાં કેદ થયો છે.
ભવનાથના મેળાનું વિદેશીઓને ઘેલું લાગ્યું જૂનાગઢમાં મહાશિવરાત્રિના મેળામાં ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જામ્યો છે. જેની મોજ માણવા વિદેશીઓ પણ પહોંચ્યા છે. યુરોપથી આવેલું કપલ અને ઈઝરાયલ-તૂર્કિયેથી આવેલી યુવતીઓ મહાશિવરાત્રિ મેળાના રંગે રંગાયેલા જોવા મળ્યા.
યુરોપિયન કપલે કહ્યું- ‘અહીં અમને ઘર જેવી અનુભૂતિ થાય છે’ ભવનાથમાં મેળાની મોજ માણી રહેલા નેધરલેન્ડના કપલ સાથે ભાસ્કરે વાતચીત કરી હતી. ફ્લોરેન્સ નામની યુવતીએ કહ્યું કે, નેધરલેન્ડ મારી માતૃભૂમિ છે અને આ(જૂનાગઢ) મારી પિતૃભૂમિ છે. અહીં આવીને અમને અમારા ઘર જેવી જ અનુભૂતિ થાય છે.અહીંના જ્યારે અમે ફોટો અમારા પરિવારજનોને મોકલ્યા તો આવતા વર્ષે તેઓએ પણ અહીં આવવાની ઈચ્છા વ્યકત કરી.
જ્યારે પીટરે કહ્યું હતું કે, અમે યુરોપથી અહીં પ્રથમવાર આવ્યા છીએ. અહીં તમામ લોકો પાણી, ફ્રુટ અને ભોજનની ઓફર કરી રહ્યા છે. વી લવ ઈન્ડિયા.
કિન્નરથી મોટો આ ધરતી પર સંન્યાસી કોઈ નથી- ગિરનારી માતાજી શ્રી પંચદશનામ જુના કિન્નર અખાડાના કિન્નર અધ્યક્ષ અને મહામંડલેશ્વર ગિરનારી માતાજીએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા તેને જણાવ્યું હતું કે,કિન્નર અખાડાની સ્થાપના 2016માં થઈ. જેમાં જુના અખાડા સાથે કિન્નર અખાડાનું ગઠન કરવામાં આવ્યું અને બાદમાં મહાકુંભ હોય કે શિવરાત્રી હોય જ્યાં કિન્નર અખાડો આવે છે. જુનાગઢ ભવનાથ તળેટીમાં હાલ 60થી વધુ કિન્નરો આવ્યા છે.જેને ધુણા ધખાવી અલખનો આરાધ શરૂ કર્યો છે. કિન્નરો અહીં અન્નક્ષેત્ર પણ ચલાવી રહ્યા છે અને ભાવિકોને ભોજન પ્રસાદી પીરસી રહ્યા છે.
કિન્નરો ભિક્ષાવૃત્તિ પણ કરે છે અને કિન્નરો અન્નક્ષેત્રો પણ ચલાવે છે’ કિન્નર એ શિવ અને શક્તિનું રૂપ છે. કિન્નર નર પણ છે અને નારાયણી પણ છે. પુરાણોમાં પણ અમારો ઇતિહાસ છે અને ભગવાન શિવ વરદાન આપ્યું હતું કે,કિન્નરો જેને આશીર્વાદ આપશે તેનું જીવન સફળ થશે. હાલ અમારો કિન્નર સમાજ જ્યાં પણ જાય છે ત્યાં લોકોને આશીર્વાદ આપે છે. કિન્નરો ભિક્ષાવૃત્તિ પણ કરે છે અને કિન્નરો અન્નક્ષેત્રો પણ ચલાવે છે અને ભિક્ષાવૃત્તિ પણ કરીએ છીએ અમે ભિક્ષાવૃત્તિ કરી અને અહીં અન્ન ક્ષેત્રો ચલાવીએ છીએ. આજના સમયમાં કિન્નરો બધુ કરી શકે છે.
સ્ત્રી સાધુ બની શકે છે જેમ પુરુષ સાધુ બની શકે છે. પરંતુ એક અવસ્થા અને ઉમર પછી સ્ત્રી પુરુષ સાધુ બની શકે છે. પરંતુ કિન્નર તો જન્મજાત જ કિન્નર રૂપે જ જનમ લે છે. કિન્નર જ્યારે જન્મ બાદ પોતાના માતા-પિતાનો ત્યાગ કરે છે ત્યારથી જ તે સન્યાસી બની જાય છે. કિન્નરથી મોટો આ ધરતી પર સન્યાસી કોઈ નથી.
ગિરનારની ગિરિ કંદરાઓમાં જ્યારે ‘હર હર મહાદેવ’ના નાદ ગુંજે છે અને ભવનાથની તળેટીમાં ભભૂતિધારી સાધુઓ ઊતરે છે ત્યારે આખી અવધપુરી શિવમય બની જાય છે. આ વર્ષે સરકારે ભવનાથ શિવરાત્રિ મેળાને ‘મિની કુંભ’ જાહેર કર્યો છે, જેના કારણે આસ્થાનો મહેરામણ બમણા વેગે ઊમટ્યો છે.
આ મેળાનું સૌથી મોટું આકર્ષણ અહીં આવતા નાગાસાધુઓ અને તેમની અકલ્પનીય તપસ્યા છે. ધૂણી ધખાવી, ચિલમના ધુમાડા સાથે શિવની આરાધના કરતા આ સાધુઓની દુનિયા જેટલી રહસ્યમય છે એટલી જ શ્રદ્ધાથી ભરેલી છે. આ ભીડ વચ્ચે દિવ્ય ભાસ્કરે ત્રણ એવા સાધુ સાથે મુલાકાત કરી હતી, જે આખા મેળામાં સૌથી યુનિક હોય.
નાગાસાધુઓ અને અઘોરીઓની રહસ્યમય દુનિયામાં ડોકિયું કરવા માટે nationgujarat મહાશિવરાત્રિના મેળામાં પહોંચ્યું હતું. જ્યાં પહોંચતાંની સાથે જ ધૂણી ધખાવી અલખની આરાધના કરતા નાગાસાધુઓને જોઈ લાગે કે આ અઘોરીઓ અને નાગાસાધુઓની એક અલગ દુનિયા છે. શરીરે ભસ્મ, ગળામાં રુદ્રાક્ષની માળાઓ, લાંબી જટા અને ચમકતી આંખોમાં જાણે કે શિવની ભક્તિ સમાયેલી હોય એવી અનુભૂતિ થાય છે.
નાગાસાધુઓની વાત કરવામાં આવે તો તેઓ વાસ્તવમાં સનાતન ધર્મના રક્ષક અને શિસ્તબદ્ધ સૈનિકો માનવામાં આવે છે. તેમનું જીવન ગુરુની સેવા અને કઠિન સાધનાથી શરૂ થાય છે. નાગાસાધુ બનવાની પ્રક્રિયા અત્યંત જટિલ છે. કોઈપણ વ્યક્તિ જ્યારે સંસારનો મોહ ત્યાગી અખાડામાં જોડાય છે ત્યારે ગુરુ સૌપ્રથમ તેની કસોટી કરે છે. 12 વર્ષ સુધી બ્રહ્મચર્ય અને શિસ્તનું પાલન કર્યા બાદ જ તેને દીક્ષા આપવામાં આવે છે.