મંગળવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે જો ઈરાન તેમની હત્યા કરશે, તો અમેરિકા ઈરાનનો નાશ કરશે. ઈરાને અગાઉ ટ્રમ્પને દેશના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેની સામે કોઈપણ કાર્યવાહી કરવા સામે ચેતવણી આપી હતી. ટ્રમ્પ દ્વારા ખામેનીના લગભગ 40 વર્ષના શાસનનો અંત લાવવાની હાકલ કર્યાના થોડા દિવસો બાદ ઈરાને આ ચેતવણી આપી હતી.
ન્યૂઝ નેશનના કાર્યક્રમ “કેટી પાવલિચ ટુ નાઇટ” સાથેની એક મુલાકાતમાં ટ્રમ્પે કહ્યું હતું કે, “મારી પાસે ખૂબ જ કડક સૂચનાઓ છે કે જો કંઈ થશે, તો તેઓ તેમને નકશા પરથી ભૂંસી નાખશે.” ઈરાનના સશસ્ત્ર દળોના પ્રવક્તા, જનરલ અબોલફઝલ શેકાર્ચીએ કહ્યું હતું કે, “ટ્રમ્પ જાણે છે કે જો અમારા નેતા તરફ હાથ લંબાવવામાં આવશે, તો અમે ફક્ત તે હાથ કાપી નાખીશું અને તેમનો નાશ કરી દઇશું”ટ્રમ્પે અગાઉ કહ્યું હતું કે તેમણે તેમના સલાહકારોને સૂચના આપી હતી કે જો ઈરાન તેમની હત્યા કરે તો તેને સંપૂર્ણપણે નષ્ટ કરી દેવામાં આવે.
ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિઆને તાજેતરમાં કહ્યું હતું કે, “જો ઈરાની લોકો તેમના જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, તો તેનું કારણ યુએસ સરકાર અને તેના સાથીઓ દ્વારા લાદવામાં આવેલા લાંબા સમયથી ચાલતા દુશ્મનાવટ અને અમાનવીય પ્રતિબંધો છે. આપણા દેશના સર્વોચ્ચ નેતા સામે કોઈપણ હુમલો ઈરાન સામે સંપૂર્ણ યુદ્ધ સમાન હશે.”શનિવારે પોલિટિકો સાથેની એક મુલાકાતમાં, અમેરિકન રાષ્ટ્રપતિએ ખામેનીને “એક બીમાર માણસ” ગણાવ્યા અને કહ્યું કે તેમણે “પોતાના દેશને યોગ્ય રીતે ચલાવવો જોઈએ અને લોકોની હત્યા બંધ કરવી જોઈએ.” ટ્રમ્પે કહ્યું કે ઈરાન માટે નવું નેતૃત્વ શોધવાનો સમય આવી ગયો છે. ઈરાનની બગડતી અર્થવ્યવસ્થાને લઈને 28 ડિસેમ્બરે ફાટી નીકળેલા વિરોધ પ્રદર્શનો પર અધિકારીઓએ હિંસક કાર્યવાહી કરી ત્યારથી અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધી ગયો છે.