ધાબુ ભાડે આપો’ને 1.50 લાખની કમાણી કરો:અમદાવાદીઓને બે દિવસની બેઠી આવક,

By: Nation Gujarat Team
13 Jan, 2026

ઉત્તરાયણને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ગુજરાતમાં અમદાવાદની ઉત્તરાયણની મજા જ કંઈક અલગ છે. તેમાં પણ પોળ વિસ્તારમાં તો ઉત્તરાયણના એક બે મહિના પહેલા જ તૈયારીઓ શરૂ થઈ જતી હોય છે. છેલ્લા કેટલાક વર્ષોથી ‘ટેરેસ ટુરિઝમ’નો ટ્રેન્ડ શરૂ થયો છે. આ વર્ષે પણ ખાડીયા અને રાયપુરમાં આવેલી પોળોના ધાબાઓનું બુકીંગ ફૂલ થઈ ગયું છે. NRI સહિતના લોકો દ્વારા રૂપિયા 25 હજારથી દોઢ લાખ રૂપિયા સુધીનું ભાડું ચૂકવી ધાબા ભાડા રાખવામાં આવ્યા છે.

ઉત્તરાયણના તહેવાર પર છેલ્લા કેટલાક વર્ષોથી ધાબા ભાડા આપવાની સાથે અલગ અલગ પેકેજ પણ પૂરા પાડવામાં આવી રહ્યા છે. જેમાં ધાબાની સાથે પતંગરસિકો માટે બ્રેકફાસ્ટ, લંચ, ડીનર અને સાંજના સમયે ધાબા પર ડાન્સ પાર્ટીનું આયોજન કરાતું હોય છે. આ વર્ષે અમદાવાદના પોળ વિસ્તારમાં કેવી તૈયારીઓ છે તેને લઈ દિવ્ય ભાસ્કરે અહીંના સ્થાનિક લોકો સાથે વાતચીત કરી હતી.

પોળમાં પતંગ ચગાવવાનો NRIમાં ક્રેઝ અમદાવાદ શહેરમાં પોળ વિસ્તારમાં રહેતા લોકો હાલ અન્ય વિસ્તારમાં રહેવા ગયા હોય તેઓ પણ ઉત્તરાયણ પર તો પોળ વિસ્તારમાં જ આવતા હોય છે. આ ઉપરાંત NRI પણ મોટી સંખ્યામાં અમદાવાદ આવતા હોય છે. જેઓ અમદાવાદના રાયપુર અને ખાડીયાની પોળમાં પતંગ ચગાવવાનું પસંદ કરતા હોય છે. ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણની ઉજવણી માટે પોળ વિસ્તારમાં આવેલી ઈમારતોના ધાબા ભાડા પર રાખતા હોય છે.

પોળના ધાબાનું ભાડું દસ હજારથી દોઢ લાખ સુધી આ અંગે વાડા પોળના અજય મોદીએ જણાવ્યું હતું કે, અમે વર્ષ દરમિયાન ટેરેસ મેન્ટેન કરીએ છીએ. મ્યુનિસિપલ ટેક્સ અને લાઈટ બિલ જેવા ખર્ચ આ ટેરેસના ભાડામાંથી નીકળી જાય છે. અહીં આવતા ગેસ્ટને પતંગબાજીનો જે આનંદ મળે છે તે અદભૂત હોય છે. અમારા ટેરેસ પર આ વર્ષે પંજાબથી એક કપલ આવી રહ્યું છે, તો ઘણા NRI પણ ઉત્તરાયણ માટે અહીં આવે છે. ભાડા 10,000 થી શરૂ કરીને 1,50,000 સુધી હોય છે. ઘણા પરિવારો ફૂડ પેકેજ પણ આપે છે, જેમાં ઉંધીયું-પુરી, જલેબી, તલની ચીકી અને ભજિયા જેવી વાનગીઓનો સમાવેશ થાય છે. અન્ય સુવિધાઓમાં પીવાનું મિનરલ વોટર, બેસવા માટે ખુરશીઓ અને વડીલો કે બાળકો માટે આરામ કરવા માટે એક અલગ રૂમની સગવડ પણ આપવામાં આવે છે.

તેમના જણાવ્યા મુજબ, આ ટેરેસ ટુરિઝમને કારણે માત્ર ઘરમાલિકો જ નહીં, પરંતુ આસપાસના નાના વેપારીઓને પણ મોટો ફાયદો થાય છે. નાસ્તાની દુકાનો, પતંગ-દોરીના વિક્રેતાઓ અને ગૃહ ઉદ્યોગ ચલાવતી મહિલાઓ (જેઓ બાજરીના વડા કે અન્ય નાસ્તો બનાવે છે) તેઓને પણ આ બે દિવસ દરમિયાન 2,000 થી 5,000 સુધીની વધારાની આવક થાય છે.

પતંગની સાથે બ્રેક ફાસ્ટ, લંચ અને ડીનરની પણ વ્યવસ્થા પોળમાં રહેતા અને ઉત્તરાયણ પર ધાબા ભાડે આપનાર જિજ્ઞેશભાઈ રામીએ જણાવ્યું હતું કે, ઉત્તરાયણ એટલે અમદાવાદીઓ માટે એક બહુ મોટો તહેવાર છે. 14મી અને 15 મી તારીખે અમદાવાદીઓ જેટલી મજા કરે છે એટલી કદાચ જ બીજે ક્યાંય જોવા મળતી હશે. છેલ્લા 4-5 વર્ષથી એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે. જે લોકો અમદાવાદની બહાર રહેવા ગયા છે અથવા જે વિદેશીઓ છે તેઓ ખાસ ઉત્તરાયણની મજા માણવા માટે અમદાવાદ આવે છે. તેઓ આખા દિવસ માટે ધાબા ભાડે રાખે છે, જેથી તેઓ પોતાના પરિવાર અને મિત્રો સાથે આ તહેવાર માણી શકે. સામાન્ય રીતે ધાબાનું ભાડું 20 થી 25 હજાર રૂપિયા જેવું હોય છે. આ ઉપરાંત જો સવારનો નાસ્તો, બપોરનું લંચ અને સાંજનો નાસ્તો (Hi-tea) પણ સામેલ હોય, તો વ્યક્તિ દીઠ 1500 થી 2000 રૂપિયા સુધીનો ચાર્જ લેવામાં આવે છે.

સાંજે 4 થી 6:30 વાગ્યા સુધીનો જે નજારો હોય છે તે જોવા જેવો હોય છે. દિવાળીમાં પણ ન જોવા મળે તેવી અદભુત આતશબાજી અને આખું આકાશ પતંગોથી ભરાયેલું હોય છે. જૂની હવેલીઓ અને પોળના ધાબાઓ એકબીજા સાથે જોડાયેલા હોવાથી માહોલ ખૂબ જ આનંદદાયક બની જાય છે.

સ્થાનિકો માટે ઉત્તરાયણનું પર્વ આવકનું સ્ત્રોત બન્યો ગીતાબેન રાણાએ જણાવ્યું હતું કે, હું અને મારા હસબન્ડ અમે બંને હેન્ડીકેપ છીએ. મારી દીકરી પણ બોલતી-સાંભળતી નથી. તો અમારે ઘણો બધો ખર્ચો લાગી જાય છે. અમે પહોંચી નથી વળતા. અમે મધ્યમ ક્લાસના માણસો છીએ, એટલે પહોંચી નથી વળતા. જે ટેરેસમાં NRI આવે કે આજુબાજુના દૂરના એરિયામાંથી આવે, તો અમે એમને ટેરેસ ભાડે આપીએ છીએ. આમ પર્સન દીઠ ખાવા-પીવા સાથે 3 થી 4 હજાર હોય છે, પણ અમે હેન્ડીકેપ હોવાના કારણે જમવાનું નથી આપી શકતા. એટલે ખાલી ટેરેસ ભાડે આપીએ તો દિવસના 1000 થી 2000 રૂપિયા, સામે જેવો કસ્ટમર. પણ દિવસના 2000 ફિક્સ, ખાવા-પીવાના પેકેજ વગર. અને પેકેજ સાથે 3 થી 3.5 હજાર. મને 20 થી 30 હજારની મદદ થઈ જાય છે, અને ખાસ કરીને એ મદદ મારી બેબીને ખૂબ ઉપયોગી આવે છે.


Related Posts

Load more