મહાકાલેશ્વર મંદિર માં નુસરત ભરૂચા અને વિવાદ : બોલિવૂડ અભિનેત્રી નુસરત ભરુચા (Nushrratt Bharuccha)
તાજેતરમાં વિશ્વ પ્રસિદ્ધ ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં દર્શન કર્યા હતા. અહીં તેમણે ભગવાન મહાકાલની ભસ્મ આરતીમાં ભાગ લીધો હતો અને પરંપરા મુજબ જલાભિષેક પણ કર્યો હતો. જો કે, તેમની આ ધાર્મિક મુલાકાતે હવે એક નવો વિવાદ છેડી દીધો છે. મુસ્લિમ ધર્મગુરુઓએ નુસરતના આ પગલાંને ઇસ્લામિક સિદ્ધાંતોની વિરુદ્ધ ગણાવ્યું છે.

‘શરિયાની નજરમાં ગુનેગાર’: મૌલાના શહાબુદ્દીન રઝવી
નુસરત ભરુચાની મંદિર મુલાકાત બાદ ‘ઑલ ઈન્ડિયા મુસ્લિમ જમાત’ના રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના શહાબુદ્દીન રઝવીએ આકરા પ્રહાર કર્યા છે. બરેલીથી તેમણે એક નિવેદનમાં જણાવ્યું કે, ‘નુસરત ભરુચા શરિયાની નજરમાં ગુનેગાર છે. એક મુસ્લિમ મહિલાનું હિન્દુ મંદિરમાં જવું, પૂજા-અર્ચના કરવી અને જલાભિષેક કરવો એ ઇસ્લામની વિરુદ્ધ છે. તેમણે એક મોટું પાપ કર્યું છે.’
‘તૌબા’ કરવાની આપી સલાહ
મૌલાના રઝવીએ નુસરત ભરુચાને સલાહ આપતા કહ્યું કે, આ કૃત્ય બદલ અલ્લાહ પાસે ‘તૌબા’ (પશ્ચાતાપ) કરવી જોઈએ. ‘ઇસ્તગફાર’ (ક્ષમા યાચના) પઢવી જોઈએ અને ફરીથી કલમા પઢવા જોઈએ. ઇસ્લામ અને શરિયામાં આવા કાર્યોની કોઈ પરવાનગી નથી.’
શું હતો સમગ્ર મામલો?
નુસરત ભરુચાએ ઉજ્જૈનમાં મહાકાલના દરબારમાં અત્યંત શ્રદ્ધાપૂર્વક પૂજા કરી હતી. મંદિરની પરંપરા અનુસાર તેમણે ભસ્મ આરતીમાં ભાગ લીધો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. જ્યાં એક તરફ ચાહકોએ તેમની આસ્થાના વખાણ કર્યા, ત્યાં બીજી તરફ ધાર્મિક કટ્ટરપંથીઓએ તેને ‘ધર્મ વિરુદ્ધ’ ગણાવી વિવાદ સર્જ્યો છે.
નોંધનીય છે કે, આ મુદ્દે નુસરત ભરુચા તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા અપાઈ નથી.
નુસરત ભરૂચાએ 30 ડિસેમ્બર, મંગળવારના રોજ મહાકાલ મંદિરની મુલાકાત લીધી હતી. જ્યાં તેઓએ ભસ્મ આરતીમાં ભાગ લીધો હતો, અને મહાકાલેશ્વરના દર્શન કર્યા પછી આશીર્વાદ મેળવ્યા હતા. મંદિર સમિતિ વતી શિવકાંત પાંડે દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમણે મહાકાલમાં પોતાની શ્રદ્ધા વિશે વાત કરતા કહ્યું કે, તેઓ દર વર્ષે બાબા બાબાના દર્શન કરવાનો ઇરાદો ધરાવે છે. તેમણે એમ પણ ઉલ્લેખ કર્યો કે, મહાકાલ બાબાના દર્શનની આ તેમની બીજી મુલાકાત હતી.
નુસરત ભરૂચાએ શુભંકર મિશ્રા સાથેની વાતચીતમાં ધર્મ પરના પોતાના વિચારોની ચર્ચા કરી હતી. તેણીએ કહ્યું કે, “મારા માટે, મારી શ્રદ્ધા સાચી છે. તેથી જ હું હજી પણ તેની સાથે જોડાયેલી છું, હજુ પણ મજબૂત છું, અને હું જાણું છું કે મારે આ માર્ગ પર ચાલવું પડશે. જ્યાં પણ તમને શાંતિ મળે, પછી ભલે તે મંદિર હોય, ગુરુદ્વારા હોય કે ચર્ચ હોય, તમારે જવું જોઈએ. હું ખુલ્લેઆમ કહું છું કે: હું નમાઝ પણ પઢું છું. જો મારી પાસે સમય હોય, તો હું દિવસમાં પાંચ વખત નમાઝ અદા કરું છું. મુસાફરી કરતી વખતે હું મારી સાથે નમાઝની સાદડી પણ રાખું છું. મેં હંમેશા માન્યું છે કે, ભગવાન એક જ છે, અને તેમની સાથે જોડાવાના ઘણા રસ્તાઓ છે. અને હું તે બધા માર્ગો શોધવા માંગુ છું.”