કાલે ભાજપ છોડતા હોય તો આજે છોડેઃ ચૈતર વસાવા
મનસુખ વસાવાના નિવેદન બાદ ચૈતર વસાવાએ આક્રોશ ઠાલવ્યો છે. ચૈતર વસાવાએ મનસુખ વસાવાના દાવાઓને પાયાવિહોણા ગણાવતા જણાવ્યું હતું કે, ખુદ જિલ્લા કલેક્ટરે આ વાતને નકારી કાઢી છે, છતાં મનસુખ વસાવા લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહ્યા છે. મનસુખ વસાવાએ જાહેરમાં લોકોની માફી માંગવી જોઈએ અને જો તેઓ આ પ્રકારનો ખોટો વાણી વિલાસ બંધ નહીં કરે તો અમારે તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવાની ફરજ પડશે.
મનસુખ વસાવા દ્વારા ચૈતર વસાવા સામે કાર્યવાહી ન થાય તો ભાજપ છોડી દેવાની ઉચ્ચારાયેલી ચીમકી પર વળતો પ્રહાર કરતા ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, “મનસુખ વસાવા કાલે ભાજપ છોડતા હોય તો આજે છોડે, તેનાથી અમને કોઈ જ ફેર પડતો નથી. મનસુખ વસાવા વારંવાર રાજીનામા આપવાના આવા ‘સ્ટંટ’ કરતા રહે છે. સરકારને મજબૂર કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે મારી સામે કાર્યવાહી કરો નહીં તો હું પાર્ટી છોડી દઈશ.
નોંધનીય છે કે, ચૈતર વસાવાએ તાજેતરમાં વડાપ્રધાનના કાર્યક્રમના ખર્ચ અંગે સવાલો ઉઠાવ્યા હતા, જેના જવાબમાં આ આરોપ-પ્રતિઆરોપનો દોર શરૂ થયો છે.