હાઇવે પર અકસ્માત થાય તો મદદ કરનારા ‘રાહવીર’ને મળશે ઇનામ! ગડકરીની મોટી જાહેરાત

By: nationgujarat
18 Dec, 2025

Nitin Gadkari on Road Accident: ભારતમાં દર વર્ષે લાખો લોકો રોડ એક્સિડન્ટમાં પોતાનો જીવ ગુમાવે છે. આ ગંભીર સ્થિતિને જોતા કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ લોકસભામાં એક મોટી જાહેરાત કરી છે. જે મુજબ હાઇવે પર અકસ્માત સમયે ઘાયલ વ્યક્તિની મદદ કરનાર માણસ હવે ‘રાહવીર’ તરીકે ઓળખાશે અને તેને સરકાર તરફથી 25,000 રૂપિયાનું રોકડ ઇનામ પણ આપવામાં

અકસ્માતના આંકડા છે ચિંતાજનક

લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન ગડકરીએ જણાવ્યું કે, ભારતમાં દર વર્ષે અંદાજે 5 લાખ અકસ્માત થાય છે, જેમાં 1.80 લાખ લોકોના મોત થાય છે. સૌથી દુઃખદ વાત એ છે કે, આ મૃત્યુ પામનારાઓમાં 67% લોકો 18થી 34 વર્ષની વયના યુવાનો હોય છે. AIIMSના એક રિપોર્ટને ટાંકીને તેમણે કહ્યું કે, ‘જો અકસ્માતનો ભોગ બનેલા લોકોને સમયસર હૉસ્પિટલ પહોંચાડવામાં આવે(ગોલ્ડન અવરમાં સારવાર મળે) તો દર વર્ષે 50,000 લોકોના જીવ બચાવી શકાય તેમ છે

‘રાહવીર’ બનો, પોલીસનો ડર છોડો

સામાન્ય રીતે રોડ અકસ્માત સમયે લોકો પોલીસ કે કાયદાકીય ગૂંચવણોમાં ફસાઈ જવાની બીકે ઘાયલ વ્યક્તિની મદદ કરતાં અચકાતા હોય છે, પરંતુ હવે આ ડર રાખવાની કોઈ જરૂર નથી. આ મામલે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ સ્પષ્ટતા કરી છે કે મદદ કરનાર વ્યક્તિએ પોલીસના ચક્કર કાપવા નહીં પડે. ઉલટાનું, માનવતા બતાવીને ઘાયલને તાત્કાલિક હૉસ્પિટલ પહોંચાડનાર વ્યક્તિને સરકાર ‘રાહવીર’ તરીકે ઓળખાવશે અને તેમને પ્રોત્સાહનના ભાગરૂપે ₹25,000નું ઇનામ પણ આપવામાં આવશે. સરકારનો ઉદ્દેશ્ય લોકોમાં રહેલા ડરને દૂર કરી એક સુરક્ષિત અને મદદરૂપ સામાજિક વાતાવરણ ઊભું કરવાનો છે.

સારવારનો ખર્ચ પણ સરકાર ઉઠાવશે

કેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યું કે, અકસ્માતના પહેલા 7 દિવસની સારવાર ખૂબ મહત્ત્વની હોય છે. તેથી સરકારે નિર્ણય લીધો છે કે, ઘાયલ વ્યક્તિની 7 દિવસ સુધીની સારવાર અને દોઢ લાખ રૂપિયા સુધીનો ખર્ચ સરકાર ઉઠાવશે. આ રકમ સીધી હૉસ્પિટલના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે, જેથી ખાનગી હૉસ્પિટલો પણ પૈસાના અભાવે સારવાર રોકી ન શકે


Related Posts

Load more