અમદાવાદના સૌથી વ્યસ્ત અને ઉત્તર ગુજરાતથી શહેરમાં પ્રવેશ કરવા માટેના મુખ્ય રોડ તરીકે ગણાતા એવા સુભાષબ્રિજ પર તિરાડ અને સ્પાનનો ભાગ બેસી જવાની ઘટના મામલે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. બ્રિજ નિર્માણ અને કન્સલ્ટન્ટ એજન્સીઓએ સુભાષબ્રિજના ટેસ્ટિંગની કામગીરી શરૂ કરી છે. અલગ અલગ ચાર એજન્સી અને કન્સલ્ટન્ટ દ્વારા બ્રિજના રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. આગામી 15 ડિસેમ્બર સુધી બ્રિજના ટેસ્ટની કામગીરી ચાલવાની હોવાના કારણે હજી એક અઠવાડિયા સુધી બ્રિજ બંધ રહેશે.
વડોદરાની જિયો ડાયનેમિક્સ કંપની બે દિવસ બાદ રિપોર્ટ આપશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં સૂત્રોના જણાવ્યા મુજબ, શહેરના સુભાષબ્રિજ પર પડેલી તિરાડ અને ભાગ બેસી જવા મામલે બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા અલગ અલગ ત્રણ એજન્સી પાસે આખા સુભાષબ્રિજના ટેસ્ટિંગની કામગીરી કરાવવામાં આવી રહી છે. આજે 8 ડિસેમ્બરના રોજ વડોદરાની જીઓ ડાયનેમિક્સ નામની કંપની દ્વારા સુભાષબ્રિજની તપાસ કરવામાં આવી રહી છે. બ્રિજના તમામ પિસર અને તમામ સ્પાનના ઇન્ટિગ્રિટી ટેસ્ટ કરવામાં આવશે. તમામ પાસાં પર તપાસ કરીને બે દિવસ બાદ બ્રિજનો રિપોર્ટ આપવામાં આવશે.
સોમવારે સાંજ સુધીમાં તમામ ટેસ્ટ પૂર્ણ થઈ ગયા બાદ બ્રિજ અંગેનો નિર્ણય લેવાશે આજે SVNIT સુરતની ટીમ બ્રિજ ઇન્સ્પેક્શન માટે અમદાવાદ આવવાની હતી, જોકે હવે ટીમ આવતીકાલે 9 ડિસેમ્બરના રોજ મંગળવારે સુભાષબ્રિજના ઇન્સ્પેક્શન અને ટેસ્ટ માટે આવશે. બે દિવસ બાદ IIT મુંબઈ અને IIT રૂડકીની ટીમ પણ બ્રિજના ઇન્ફેક્શન અને ટેસ્ટ માટે આવશે, જેથી આખા અઠવાડિયા દરમિયાન સુભાષબ્રિજના ટેસ્ટ અને ઇન્સ્પેક્શનની કામગીરી કરવામાં આવશે. સોમવારે સાંજ સુધીમાં તમામ ટેસ્ટ પૂર્ણ થઈ ગયા બાદ બ્રિજ અંગેનો નિર્ણય લેવામાં આવી શકે છે.
એક અઠવાડિયા સુધી બ્રિજના ઇન્સ્પેક્શન-ટેસ્ટની કામગીરી અલગ અલગ એજન્સીઓ કરશે મ્યુનિસિપલ કોર્પોરેશનનાં સૂત્રોના જણાવ્યા મુજબ, એક અઠવાડિયા સુધી બ્રિજના ઇન્સ્પેક્શન અને ટેસ્ટની કામગીરી અલગ અલગ એજન્સીઓ દ્વારા કરવામાં આવશે. એ તમામ એજન્સીઓનાં સૂચનો અને રિપોર્ટના આધારે રાજ્ય સરકાર નિર્ણય લેશે.
અલગ અલગ પોલીસ સ્ટેશનના 250 પોલીસકર્મીની ટ્રાફિકમાં બદલી સુભાષબ્રિજ બંધ થતાં વાડજ સર્કલ ખાતે ટ્રાફિકની સમસ્યા વધી છે. વાડજબ્રિજની બંને તરફ સવાર-સાંજના સમયે ટ્રાફિક ખૂબ જ વધી રહ્યો છે, જેને લઈને પોલીસ કમિશનર વાડજ ટ્રાફિક નિરીક્ષણ માટે પહોંચ્યા હતા. શહેરમાં ટ્રાફિકની સમસ્યા વધતાં અલગ અલગ પોલીસ સ્ટેશનના 250 પોલીસકર્મીની ટ્રાફિકમાં બદલી કરવાનો જી. એસ. મલિકે નિર્ણય કર્યો છે.
રસ્તો સાંકડો હોવાથી ટ્રાફિક થતાં વાહનોની લાંબી લાઇન સુભાબ્રિજ બંધ હોવાથી વાહનચાલકો હવે દૂધેશ્વર થઈ વાડજ તરફ જઈ રહ્યા છે. વાડજ સર્કલ ખાતે બ્રિજનું કામ ચાલુ હોવાથી રસ્તો સાંકડો હોવાથી ટ્રાફિક થતાં વાહનોની લાંબી લાઇન લાગે છે, જેના કારણે લાંબા સમય સુધી લોકોએ ટ્રાફિકમાં ઊભા રહેવું પડે છે. છેલ્લા 4 દિવસમાં અનેક વાહનચાલકોની ટ્રાફિકની ફરિયાદ હતી.
વાડજબ્રિજથી વાડજ સર્કલ સુધી પોલીસ કમિશનરનું નિરીક્ષણ આજે શહેર પોલીસ કમિશનર જી. એસ. મલિક વાડજ ટ્રાફિકની સમસ્યાને લઈને સ્થળ પર પહોચ્યા હતા. પોલીસ કમિશનર દ્વારા વાડજબ્રિજથી વાડજ સર્કલ સુધી ચાલીને નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. રસ્તો સાંકડો હોવાનું પોલીસ કમિશનરના ધ્યાન પર આવતાં AMCના અધિકારીને બિનજરૂરી વસ્તુઓ દૂર કરી રસ્તો પહોળો કરવા સૂચના આપી હતી.
‘250 પોલીસકર્મીની પોલીસ સ્ટેશનથી ટ્રાફિકમાં ઓર્ડર કરાશે’ પોલીસ કમિશનર જી.એસ મલિકે જણાવ્યું હતું કે વાડજ ખાતે ટ્રાફિકની સમસ્યા ખૂબ વધી હતી. હજુ AMC દ્વારા સુભાષબ્રિજ અંગે કોઈ ટાઇમ લાઇન આપવામાં આવી નથી, જેથી લોકોને ટ્રાફિકની સમસ્યાનો સામનો ન કરવો પડે તથા ટ્રાફિક ઓછો થાય એ માટે AMCના અધિકારીઓને વાડજમાં બનતા બ્રિજના કારણે રસ્તો સાંકડો થયો છે એેમ બિનજરૂરી વસ્તુઓ હટાવી રસ્તો પહોળો કરવા સૂચન આપ્યા છે. આ ઉપરાંત શહેરના અલગ અલગ ટ્રાફિક-પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 250 પોલીસકર્મીની ટ્રાફિક-પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવશે.