જામનગરમાં ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું:કોંગી કાર્યકરે સ્ટેજ નજીક આવી છુટ્ટો ઘા કરતાં મામલો બિચક્યો,

By: Nation Gujarat Team
06 Dec, 2025

જામનગરમાં આજે આમ આદમી પાર્ટીની જન સભામાં કોંગ્રેસના કાર્યકરે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતાનો ઘા કરતા હોબાળો થયો હતો. જે બાદ આદમી પાર્ટીના કાર્યકરોએ કોંગી કાર્યકરને માર મારતા મામલો બિચક્યો હતો. મહત્વનું છે કે, ગોપાલ ઇટાલિયાએ વર્ષ 2017માં તત્કાલીન ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા પર જૂતાનો ઘા કર્યો હતો.

જૂતા ફેકનારને સારવાર અર્થે ખસેડાયો છત્રપાલસિંહ જાડેજા નામના કોંગ્રેસના કાર્યકર્તાએ ગોપાલ ઇટાલિયા પર જૂતાનો ઘા કરતાં કાર્યક્રમમાં રહેલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છત્રપાલસિંહ તૂટી પડ્યા હતા અને ઢોર માર માર્યો હતો. આ દરમિયાન પોલીસે 15થી 20 મિનિટ બાદ માંડ છોડાવીને જીપમાં બેસાડી જી.જી હોસ્પિટલે સારવાર અર્થે લઈ જવામાં આવ્યો છે.

પ્રદિપસિંહ જાડેજા પર ફેંકાયેલા જૂતાનો બદલો લીધો’ ઇટાલિયા પર જૂતુ ફેકનાર મેમાણા ગામના છત્રપાલસિંહ જાડેજાએ જણાવ્યું કે, અગાઉ પ્રદિપસિંહ જાડેજા કે જેઓ ગુજરાત રાજ્ય સરકારમાં મંત્રી હતા, ત્યારે તેઓ ઉપર જાહેર સભા દરમિયાન જુતું ફેંકવામાં આવ્યું હતું ત્યારથી પોતાને વસવસો રહી ગયો હતો અને પોતાના સમાજનો બદલો વાળવાના ભાગરૂપે આજે મોકો ગોતીને તે ઘટનાનો બદલો વાળ્યો હતો, અને પોતાની જાતને સંતોષ વ્યક્ત કર્યો હોવાનું પણ તેઓએ જણાવ્યું છે.

2017માં પ્રદીપસિંહ જાડેજા પર ઇટાલિયાએ જૂતાનો ઘા કર્યો હતો 2 માર્ચ, 2017ના દિવસે ગુજરાત વિધાનસભાની બહાર તત્કાલીન ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા મીડિયાના સવાલોનો જવાબ આપી રહ્યા હતા અને કેમેરા ચાલુ હતા એ દરિમાયન ગોપાલ ઇટાલિયાએ અચાનક પ્રદીપસિંહ પર જૂતાનો ઘા કર્યો હતો અને ભ્રષ્ટાચાર હાય હાય, તાનાશાહ હાય હાયના નારા લગાવ્યા હતા. ગોપાલ ઇટાલિયાના જૂતુ ફેકવાના 8 વર્ષ બાદ આજે જામનગરમાં ગોપાલ ઇટાલિયા પર કોંગ્રેસના કાર્યકર છત્રપાલસિંહે જૂતાનો ઘા કર્યો છે.

ગુજરાતના લોકો પરિવર્તન માટે પોતાનું મન બનાવી ચૂક્યા’ ઇટાલિયા પર જૂતા ફેંકવાની ઘટનાને લઈ અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરી જણાવ્યું હતું કે, ગુજરાતમાં AAPની વધતી જતી લોકપ્રિયતાએ ભાજપ અને કોંગ્રેસ બંનેને હચમચાવી દીધા છે. અમે ભાજપની નિષ્ફળતાઓ પર સવાલ ઉઠાવીએ છીએ, પરંતુ કોંગ્રેસ જ પીડા અનુભવી રહી છે શા માટે?

Related Posts

Load more