ભાજપના તોફાનમાં ક્યાં ફંટાઈ જશો ખબર નહીં પડે…’ કોંગ્રેસને સહયોગી પક્ષે કેમ ચેતવી?

By: nationgujarat
19 Nov, 2025

Congress and Shiv Sena News : આગામી BMC ચૂંટણીમાં એકલા હાથે લડવાનો સંકેત આપ્યા બાદ કોંગ્રેસ પાર્ટી હવે પોતાના જ સહયોગી પક્ષોના નિશાના પર આવી ગઈ છે. મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી (MVA)ના સાથી પક્ષ શિવસેના (UBT) એ બિહાર ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર પર જોરદાર કટાક્ષ કર્યો છે. શિવસેના (UBT)ના નેતા આનંદ દુબેએ ચેતવણી આપી છે કે જો કોંગ્રેસ મુંબઈમાં એકલી લડશે તો તે માત્ર 2-4 બેઠકો પર જ સમેટાઈ જશે.

“તમારી નાવમાં કાણું છે, અમારી નાવમાં બેસશો તો પાર ઉતરશો” 

મીડિયા સાથે વાત કરતાં આનંદ દુબેએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું, “મહાવિકાસ અઘાડીમાં કોંગ્રેસ એકમાત્ર રાષ્ટ્રીય પક્ષ છે, તેથી તેને ક્યારેક-ક્યારેક રાષ્ટ્રીય પક્ષ હોવાનું સપનું યાદ આવી જાય છે. લાગે છે કે કોંગ્રેસ બિહારમાં જે દુર્દશા થઈ તે ભૂલી ગઈ છે. જ્યાં પણ કોંગ્રેસને લાગે છે કે તે ખૂબ શક્તિશાળી છે, ત્યાં તે હારી જાય છે.”

કોંગ્રેસને ચેતવતાં જુઓ શું કહ્યું … 

તેમણે કોંગ્રેસને ચેતવણી આપતા કહ્યું, “મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતાઓ ખૂબ ઉત્સાહિત થઈ જાય છે. તેમને ખબર નથી કે તેમની નાવમાં એક કાણું છે અને તેઓ દરિયાની વચ્ચે જઈને ડૂબી જશે. જો અમારી નાવમાં બેસી જશો, તો નૈયા પાર થઈ જશે. નહીં તો, ભાજપના તોફાન અને લહેરોમાં ક્યાં ડૂબી જશો તેની ખબર પણ નહીં પડે.”આનંદ દુબેએ બિહારના પરિણામોનો ઉલ્લેખ કરતાં કહ્યું, “બિહારમાં RJD સાથે રહીને પણ કોંગ્રેસ 61માંથી માત્ર 6 બેઠકો પર આવી ગઈ. મુંબઈમાં તો એવું લાગે છે કે તેઓ (એકલા લડશે તો) 2-4 બેઠકો પર આવી જશે.” ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં સંપન્ન થયેલી બિહાર વિધાનસભા ચૂંટણીમાં, મહાગઠબંધનમાં સામેલ કોંગ્રેસે 61 બેઠકો પર ચૂંટણી લડી હતી અને તેમાંથી માત્ર 6 પર જ જીત મેળવી શકી હતી, જ્યારે NDA ગઠબંધને 200થી વધુ બેઠકો જીતીને સરકાર બનાવી છે.


Related Posts

Load more