Canada Student Visa Rejection : કેનેડા સરકારની આકરી વિઝા નીતિઓથી ભારતીય વિદ્યાર્થીઓને મોટો આંચકો લાગ્યો છે. તાજેતરમાં, કેનેડા સરકારે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી વિઝા પર અનેક નિયંત્રણો લાદ્યા છે, જે ભારતીય યુવાનોના વિદેશ જઈને અભ્યાસ કરવાના સપના પર પાણી ફેરવી રહ્યા છે. કેનેડા સરકારના સત્તાવાર આંકડાઓ અનુસાર, ઓગસ્ટ 2025 માં ભારત તરફથી આવેલી 74% સ્ટડી પરમિટની અરજીઓ નામંજૂર (Reject) કરવામાં આવી હતી, જે ગયા વર્ષે આ જ મહિનામાં 32% ના રિજેક્શન રેટ કરતા બમણાથી પણ વધારે છે.
જો કેનેડા સરકારના આંકડાઓ પર ધ્યાન આપવામાં આવે તો, ભારતીયોની સરખામણીમાં ચીન તરફથી અરજી કરનારા માત્ર 24% લોકોની વિઝા અરજીઓ જ ફગાવવામાં આવી છે. આ દર્શાવે છે કે ભારતીય વિદ્યાર્થીઓ પ્રત્યે કેનેડાની નીતિઓ ઘણી કડક બની છે. એટલું જ નહીં, કેનેડિયન સરકાર હવે દેશમાં રહેતા વિદ્યાર્થીઓની ચકાસણી (Verification) કરી રહી છે, જેથી તેમના પર દેખરેખ રાખી શકાય અને ગુનાહિત પ્રવૃત્તિઓ પર નિયંત્રણ મેળવી શકાય.
એક સમય હતો જ્યારે કેનેડા ભારતીય વિદ્યાર્થીઓની પ્રથમ પસંદગી હતું. પરંતુ હવે કેનેડા સરકારના વિઝા નિયમોમાં વધેલી કડકતાને કારણે ભારતીયોની આ પસંદગી બદલાઈ રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચોંકાવનારી વાત એ છે કે કેનેડા જવા માટે ભારતીય ઉમેદવારોની સંખ્યામાં પણ મોટો ઘટાડો થયો છે. ઓગસ્ટ 2023 માં 20,900 ભારતીય ઉમેદવારોએ અરજી કરી હતી, જે 2025 માં ઘટીને માત્ર 4,515 થઈ ગઈ છે. આમ, ભારતીયો હવે કેનેડા જવામાં રસ ગુમાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.
કેનેડા સરકારે આ વિઝા નિયમો કડક કરવા પાછળનું કારણ દેશમાં થઈ રહેલી ફ્રોડ પ્રવૃત્તિઓ રોકવા અને કામચલાઉ પ્રવાસને નિયંત્રિત કરવાના પ્રયાસો ગણાવ્યા છે. કેનેડાના ઇમિગ્રેશન વિભાગના એક રિપોર્ટ અનુસાર, કુલ સ્ટડી પરમિટ અરજીઓમાંથી 40% અરજીઓ રિજેક્ટ કરવામાં આવી છે. નિષ્ણાતોના મતે, 2023 માં કેનેડાના તત્કાલિન વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ એક કેનેડિયન નાગરિકની હત્યામાં ભારતની સંડોવણીનો આરોપ મૂક્યો હતો, જેના પછી બંને દેશો વચ્ચે તણાવ વધ્યો. જોકે ભારત સરકારે આ આરોપને સંપૂર્ણપણે નકારી કાઢ્યો હતો.
આ આરોપ-પ્રત્યારોપ વચ્ચે, કેનેડાએ 1,550 નકલી ભણતર વિઝા અરજીઓનો પર્દાફાશ કર્યો હતો, જેમાંથી મોટા ભાગની અરજીઓ ભારત સાથે સંબંધિત હતી. આ ઘટના બાદ કેનેડા સરકારે વિઝા નીતિઓ વધુ સખત બનાવી દીધી છે અને હાલમાં કેનેડામાં રહેતા વિદ્યાર્થીઓની સતત ચકાસણી કરવામાં આવી રહી છે, જેથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ લગાવી શકાય.
